રાજકોટ: આ વર્ષે વારંવાર બદલાતા વાતાવરણને કારણે કેસર કેરી પકવતા ખેડૂતો અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સારો પાક થવાની આશા નથી. પરંતુ જૂનાગઢના માળિયા તાલુકાના પિપળવા ગામના ખેડૂત ચીમન સોલંકીને આ વાતની કોઈ ચિંતા નથી. ચીમનભાઈને તો આ વર્ષે ડબલ પાક થવાની આશા છે, સાથે જ આવનારા વર્ષોમાં ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થશે તેમ માનવું છે.
ઈઝરાયલ-સાઉથ આફ્રિકાની પદ્ધતિ
ચીમનભાઈ ખેતી માટે ઈઝરાયલ અને સાઉથ આફ્રિકાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. પાકને પાણી આપવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી પાણી બચાવે છે સાથે જ વધારે ઘનતામાં વાવેતર કરવાની પદ્ધતિ અપનાવે છે. પાંચ વર્ષ પહેલા ચીમનભાઈએ આ પદ્ધતિઓ અમલમાં મૂકી હતી જેનો ફાયદો તેમને આ વર્ષે મળ્યો. ચીમનભાઈએ કહ્યું કે, “છેલ્લા 5 વર્ષોમાં પ્રથમવાર આંબા પરથી કેરીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. ખેતીની જૂની પદ્ધતિથી મારા પિતા અને દાદા એક વીઘા જમીનમાં આંબાના 100-120 ઝાડ ઉગાડતાં હતા, મેં નવી પદ્ધતિથી એક વીઘા જમીનમાં 200 આંબા ઉગાડ્યા છે.”
આમણે શીખવી પદ્ધતિ
જૂનાગઢના બાગાયતી વિભાગના અધિકારી મનદીપ પરસાણિયાએ ચીમનભાઈને આ પદ્ધતિ શીખવાડી છે. આ પદ્ધતિ ઈઝરાયલ અને સાઉથ આફ્રિકાના ફળના બગીચાઓમાં સામાન્ય છે. પરસાણિયાએ અમારા સહયોગી TOIને કહ્યું કે, “અમે આ પદ્ધતિ જૂનાગઢના 3 ખેતરોમાં અપનાવી હતી, પરંતુ માત્ર સોલંકીના ખેતરમાં જ તેનું પરિણામ મળ્યું. અમે બીજા ખેતરોમાં પણ આ પદ્ધતિનો પ્રયોગ કરવા માગીએ છીએ.”
ડાળી કાપીને વાવ્યા વધુ ઝાડ
પરસાણિયાએ કહ્યું કે, “અમારા પૂર્વજોએ ક્યારેય આંબાની ડાળીઓ કાપી ન હતી, જેના કારણે બે આંબા વચ્ચેનું અંતર 35-40 ફૂટ રહેતું. આ પદ્ધતિમાં ઝાડ પરથી એકવાર ફળોની ઉપજ મેળવ્યા પછી અમે ઝાડની ડાળીઓ કાપી નાખીએ છીએ, જેથી કરીને એટલી જ જગ્યામાં બીજું વૃક્ષ વાવી શકાય. ઝાડની ડાળીઓ કાપવાથી ફૂલ પણ વધારે બેસે છે.”
આ પદ્ધતિથી આવક વધી
ચીમનભાઈએ એક વીઘામાં જ્યાં પહેલા 25-30 ઝાડ ઉગાડતા હતા ત્યાં આજે 150-200 આંબા ઉગાડ્યા છે. પહેલા એક વીઘા જમીનમાંથી તેમની આવક 25,000-30,000 હતી જે કેરીના બંપર ઉત્પાદનને કારણે વધીને હવે 60,000-70,000 રૂપિયા થઈ છે. ચીમનભાઈનો દાવો છે કે ફળ પણ વધારે સારું છે. ચીમનભાઈએ કહ્યું કે, “આ વર્ષે વારંવાર બદલાતા હવામાનને કારણે કેસર કેરીના ઉત્પાદનને અસર થઈ છે. પરંતુ આમ થવા પાછળનું બીજું કારણ છે કે ખેડૂતોએ આંબાની યોગ્ય માવજત નથી કરી. જેના કારણે આંબાના મૉર ગરમીમાં બળીને ખરી પડ્યા.”
ખરાબ હવામાન સામે ન હાર્યા
કેરીનું હબ ગણાતા તાલાલાથી ચીમનભાઈનું ખેતર 20 કિલોમીટરના અંતરે જ છે. હવે કેરી પકવતા અન્ય ખેડૂતોએ પણ ચીમનભાઈ પાસેથી સલાહ લેવાની શરુ કરી છે. વિષમ હવામાનમાં પણ કેવી રીતે કેરીનું વધારે ઉત્પાદન મેળવી શકાય તેનું ઉદાહરણ પિપળવાના ખેડૂતો પૂરું પાડી રહ્યા છે. ચીમનભાઈએ કહ્યું કે, “ગ્રાહકોને સીધી જ કેરી વેચવા માટે અમે એક સહકારી મંડળી શરૂ કરવા માગીએ છીએ.”
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.