એપશહેર

કોંગ્રેસની ગણતરી ખોટી પાડવા મોદીએ ખેલ્યો આ દાવ

નવરંગ સેન | I am Gujarat 29 Nov 2017, 2:19 pm
I am Gujarat modi addressed election rally in prachi
કોંગ્રેસની ગણતરી ખોટી પાડવા મોદીએ ખેલ્યો આ દાવ


પીએમે કોંગ્રેસ પર કર્યા મોટા પ્રહાર

રાજ્યમાં કોંગ્રેસ પાટીદારો ઉપરાંત ઓબીસી અને દલિતોના મતથી ભાજપને હંફાવવાની નીતિ પર આગળ વધી રહી છે, ત્યારે પીએમે આજે ઓબીસી મત કોંગ્રેસને મળતા અટકાવવા એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ આજે સોમનાથ નજીક પ્રાંચીમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ પર ઓબીસીના હક્ક પર તરાપ મારવાનો આરોપ મૂક્યો હતો. પીએમે આજે ગુજરાત આવેલા અને સોમનાથના દર્શને જનારા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને પણ આડે હાથે લીધા હતા. તેમણે કોંગ્રેસ પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કોંગ્રેસને પસંદ નહોતો.

કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઈ છે

મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય હવે સમાપ્ત થઈ ગયું છે. હવે આ પાર્ટી ટકી શકે તેમ નથી. તે દેશ માટે બોજ બની ગઈ છે. કોંગ્રેસ પાસે ન નેતા છે કે ન નીતિ છે, કે ન તો જમીન કે જનતા લોકો સાથે કોઈ નાતો છે. આવા લોકો ભારતનું ભાગ્ય ન બનાવી શકે.ક્લિક કરો અને વાંચો, મોરબીમાં પીએમે કઈ મોટી વાત કહી?

રાષ્ટ્રપતિને નહેરુએ સોમનાથ નહોતા આવવા દીધા

સોમનાથના દર્શને જનારા રાહુલ ગાંધીનું નામ લીધા વગર મોદીએ તેમના પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આજે જેમને સોમનાથ દાદા યાદ આવે છે તેમને મારે પૂછવું છે કે તમારા પિતાજીના નાના, તમારા દાદીના પિતાજી જે આ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા, અને જ્યારે સરદાર સોમનાથનો પુન:રુદ્ધાર કરતા હતા ત્યારે તેમના નાકના ટેરવા ચઢી ગયા હતા. ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુને સરદારે સોમનાથના ઉદ્ઘાટન સમયે આમંત્રણ આપ્યું ત્યારે જવાહરલાલ નહેરુએ રાજેન્દ્ર બાબુને પત્ર લખીને સોમનાથ ના કાર્યક્રમમાં જવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સરદાર સાહેબે સોમનાથનું મંદિર બનાવ્યું તેની સામે પણ તમારે આટલો વાંધો, તેમણે નર્મદાનું સપનું જોયું તેની સામે પણ તમારે આટલો વાંધો?

કોંગ્રેસે ઓબીસી પંચને બંધારણીય દરજ્જો ન આપ્યો

70 વર્ષ સુધી દેશને જવાબ ન આપનારા આજે અમારી પાસે જવાબ માગવા નીકળ્યા છે. હું તેમને પૂછવા માગું છું કે આ દેશમાં બક્ષીપંચના લોકોએ જ્યારે તમારી દિલ્હીમાં સરકાર હતી, તમારા કુટુંબીજનો દેશ પર રાજ કરતા હતા ત્યારે આ દેશના પછાત વર્ગના લોકોએ એસસી અને એસટી કમિશનની માફક ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માગ કરતા રહ્યા, પણ આજે તમે ઓબીસીના વોટ લેવા તેમના નામે જાતિવાદનું ઝેર પ્રગટાવી ભાઈ-ભાઈ વચ્ચે ખાઈ પેદા કરી ગુજરાતને દેશને તબાહ કરી રહ્યા છો. સંસદમાં પણ સૌથી વધુ સાંસદો ઓબીસીના હોવા છતાં ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા અંગે સરખો જવાબ પણ ન આપ્યો.

ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપીને રહીશું

પીએમે કહ્યું હતું કે, મારી સરકાર ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવાનું બિલ પાર્લામેન્ટરમાં લાવી. લોકસભામાં અમારી બહુમતિ હતી જેથી તે બિલ પસાર થઈ ગયું, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસે આ કાયદો પસાર ન થવા દીધો. ઓબીસીના હક્કને રોકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસ ગમે તેટલી આડે આવે, ગમે તેટલા હવનમાં હાડકાં નાખે, ઓબીસીનું અહિત કરવા ગમે તેટલા કારસા કરે, પરંતુ દિલ્હીમાં બેઠેલો તમારો જણ તેને સફળ નહીં થવા દે. હું વાયદો કરું છું કે અમારી સરકાર ઓબીસીને આ અધિકાર આપીને રહેશે.

કોંગ્રેસની બધી પ્રવૃત્તિ પર તાળાં લાગી ગયા છે

કોંગ્રેસ પર વરસતા મોદીએ કહ્યું હતું કે, દેશના તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની ન કરનારાને હવે મોદીના આવવાથી તકલીફ થાય છે. તેમની બધી પ્રવૃત્તિ પર આજે તાળાં લાગી ગયા છે. કોંગ્રેસ પર પીએમે દેશના જવાનોની 40 વર્ષ જૂનીવન રેન્ક વન પેન્શન માગણી ન સ્વીકારવાનો પણ આરોપ મૂક્યો હતો.

કોંગ્રેસમાં ગપ્પાં મારવાની સ્પર્ધા ચાલે છે

કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં ગપ્પા મારવાની હરિફાઈ ચાલી રહી છે, અને જેમ-જેમ ગપ્પું ઉપર જતું જાય તેમ મોટું થતું જાય છે. જ્યારે અમારી સરકારે વન રેન્ક વન પેન્શન આપવાની કવાયત હાથ ધરી ત્યારે બહાર આવ્યું કે કોંગ્રેસે જે 500 કરોડ તેના માટે ફાળવ્યા હતા માત્ર ધુપ્પલ હતા. આ યોજના માટે 12 હજાર કરોડની જરુર હતી, છતાંય અમે તે મુશ્કેલ કામ પૂરું કર્યું.

માછીમારોના ગામ સુધી અમે પાણી પહોંચાડ્યું

મોદીએ જણાવ્યું હતું કે, અફાટ સાગરના તટે જીવતા માછીમારો પાસે પીવાનું પાણી નહોતું. નર્મદાનું પાણી માછીમારોના ઘર સુધી અમારી સરકાર લાવી. પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી માછીમારોને છોડાવવા સરકારે સફળ પ્રયાસ કર્યાનો પણ પીએમે દાવો કર્યો હતો. પીએમે પોતાના ભાષણમાં સૌની યોજના ઉપરાંત છેક મુંબઈ સુધી રો-રો ફેરી શરુ કરવાનો પણ નિર્ધાર પ્રાંચીમાં પોતાના ભાષણમાં કર્યો હતો.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો