એપશહેર

મોરબી હોનારત: મૃત્યુઆંક 70ને પાર પહોંચ્યો, મચ્છુ નદીમાં પડેલા કેટલાક બાળકોનો હજુય લાપતા

ઘટનાસ્થળ પર તેમજ હોસ્પિટલોમાં પોતાના સ્વજનોને ફોટા લઈને શોધવા આમથી તેમ દોડી રહ્યા છે લોકો, અમુક કિસ્સામાં વાલીઓની લાશ મળી, પરંતુ બાળકો લાપતા. ચેકડેમ તોડીને નદીનું પાણી ખાલી કરવાની તૈયારી શરુ કરાઈ. બાળકોની ડેડ બોડી બહાર કઢાઈ ત્યારે રેસ્ક્યુ ટીમના લોકો પણ હચમચી ઉઠ્યા, કેટલાક બાળકોને બચાવી લેવામાં મળી સફળતા.

Authored byનવરંગ સેન | I am Gujarat 30 Oct 2022, 10:40 pm


મોરબી: મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલ પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આ ઘટનાનો મૃત્યુઆંક 70 સુધી પહોંચી ગયો છે, જોકે ઘણા લોકો હજુય હોસ્પિટલમાં પોતાના સંબંધીઓને શોધવા આમથી તેમ ફાંફા મારી રહ્યા છે. જેમાં ઘણા લોકોના સંબંધીઓના મૃતદેહ મળ્યા છે, પરંતુ તેમની સાથે રહેલા બાળકોનો હજુય કોઈ પત્તો નથી. આ ઘટના બની ત્યારે બ્રિજ પર મોટી સંખ્યામાં બાળકો પણ પોતાના માતાપિતા તેમજ વાલીઓ સાથે ઝૂલતા પુલ પર ફરવા આવ્યા હતા. બીજી તરફ, નદીમાં કાદવ અને જળકુંભી પણ મોટા પ્રમાણમાં હોવાથી નદીમાં હજુય કેટલા લોકો છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવી શક્યો. બીજી તરફ, રેસ્ક્યુ કરાયેલા બાળકોના વાલીવારસોને શોધવા પણ હાલ કામગીરી શરુ કરાઈ છે.

ઘટનાસ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ગુમ થયેલા સ્વજનોને શોધવા તેમના ફોટા લઈને ફરી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. નદીમાંથી કેટલાક બાળકોની બોડી કાઢવામાં આવતા કઠણ હ્રદયના માણસ પણ રડી પડે તેવી કરુણ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોરબી સિવિલ હોસ્પિટલમાં મોહસિન માડકિયા નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના મિત્ર આરિફના પત્ની અને દીકરાનું આ ઘટનામાં મોત થયું છે, પરંતુ તેમની દીકરી હજુય ગુમ છે. આરિફના જામનગરથી મોરબી આવેલા બહેન પણ આ ઘટનામાં મોતને ભેટ્યાં છે, જ્યારે તેમના બે બાળકો ગુમ છે, આરિફના ભાઈનું એક બાળક પણ હાલ લાપતા છે.

આ હોનારત બાદ જે લોકો હજુય ગુમ છે તેમને જીવીત હાલતમાં રેસ્ક્યુ કરી શકાય તેવી શક્યતાઓ પાંખી બની છે. દુર્ઘટનાના શરુઆતના સમયમાં બચાવકાર્યમાં જોતરાયેલા લોકોએ પણ તેની ભયાનકતાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, 50થી વધુ લોકો તો બ્રિજ પર જ લટકેલા હતા, જે લોકોને તરતા આવડતું હતું તેઓ બહાર આવી રહ્યા હતા, જ્યારે બાકીના લોકો પોતાનો જીવ બચાવવા હવાતિયા મારી રહ્યા હતા. ઘટના બની ત્યારે જ અંધારું થઈ ગયું હોવાથી બચાવકાર્યમાં ભારે મુશ્કેલી આવી રહી હતી.

સ્થાનિક તંત્ર દ્વારા ચેકડેમ તોડીને નદી ખાલી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે, ત્યારે નદીનું પાણી ઓસર્યા બાદ જ તેમાં હજુ કોઈ લોકો ફસાયેલા છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ શકશે. નદીમાં કાદવ અને લીલ પણ વધુ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે નેવીને પણ રેસ્ક્યુ કરવા માટે કામે લગાડવામાં આવશે. અમદાવાદથી પણ ફાયરબ્રિગેડની ટીમ રવાના કરાઈ છે, અને NDRFની ટીમો પણ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી છે. મોરબી હોસ્પિટલો ફુલ થઈ જવાથી રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો