એપશહેર

રાજકોટ: વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધો ધરાવતી એકની એક દીકરીની સગા બાપે હત્યા કરી

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓનર કિલિંગનો કેસ સામે આવ્યો છે.જ્યાં અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી દીકરીની બાપે હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર પણ કર્યું હતું

TNN 7 Aug 2020, 7:53 am
રાજકોટઃ વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડતાં 54 વર્ષના બાપે ગુરુવારે એકની એક દીકરીની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
I am Gujarat ઈલાના પરિવારજનો


ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શાહનગર સોસાયટીમાં રહેતા આરોપી ગોપાલ નકુમનો આ બાબતને લઈને 20 વર્ષની દીકરી ઈલા સાથે જોરદાર ઝઘડો થયો હતો. અને બાદમાં તેણે સાંજના સમયે દીકરીને કપડા ધોવાના ધોકાથી ત્યાં સુધી ફટકારી જ્યાં સુધી તેનું મોત ન નીપજ્યું.

દીકરીને મારી નાખ્યા બાદ નકુમ સીધો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગયો હતો અને પોતાનો ગુનો કબૂલતા સરેન્ડર કર્યું હતું.

'પ્રાથમિક પૂછપરછ દરમિયાન નકુમે અમને કહ્યું કે, યુવક બીજા ધર્મનો હોવાથી તે દીકરીના સંબંધોના વિરુદ્ધમાં હતો. બાપ-દીકરી વચ્ચે ઝઘડો થતાં તેણે તેને મારી નાખી હતી', તેમ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું.

ઈલા કાલાલાડ રોડ પર આવેલી મહિલા કોલેજમાં BAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના અને પાપાડોશમાં રહેતા ફરદીન વચ્ચે આશરે એક વર્ષ પહેલા પ્રેમ પાંગર્યો હતો.

ગોપાલે પોલીસને તેમ પણ કહ્યું કે, એક મહિના પહેલા તેની પત્ની સવિતા કાર્ડિયેક અરેસ્ટના કારણે મૃત્યુ પામી હતી. આરોપીના જણાવ્યા પ્રમાણે, ઈલાએ ફરદીન સાથે લગ્ન કરવાની જીદ પકડતા અને વારંવાર આ મુદ્દે ઝઘડો થતાં સવિતા તણાવમાં રહેતી હતી, તેમ વાળાએ કહ્યું હતું.

સવિતાના મોત બાદ ગોપાલ અને ઈલાએ હનુમાન મંદિર ચોકના શિવપરામાં આવેલું ભાડાનું મકાન છોડી દીધું હતું અને તેઓ બે કિમી દૂર આવેલા ગાંધીગ્રામમાં રહેવા જતા રહ્યા હતા. ગોપાલ તેની દીકરી ફરદીનથી દૂર રહે તેમ ઈચ્છતો હતો. જો કે, ફરદીનના પરિવારને તેમના લગ્ન સામે કોઈ વાંધો નહોતો.

ગુરુવારે સવારે ઈલાએ નાસ્તો કરવાની કે કંઈ પણ ખાવાની ના પાડી દીધી હતી અને જીદ પકડી હતી કે ગોપાલ ફરદીન સાથે લગ્ન કરવાની સંમતિ આપે. તેણે તેના પિતાને કહ્યું કે, જો તે લગ્ન માટે હા પાડશે તો જ તે કંઈક ખાશે. જેના કારણે ગોપાલને ગુસ્સો આવ્યો હતો અને કપડા ધોવાના ધોકાથી ઈલાને બેરહેમીથી ફટકારી હતી.

હંગામો સાંભળીને ત્યાં દોડી આવેલા પાડોશીએ જોયું કે, ગોપાલ ઘરની બહાર નીકળી રહ્યો હતો અને ઈલા જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી.

તેણે તરત જ પોલીસને જાણ કરી હતી અને ઈલાને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જો કે, ત્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો