એપશહેર

દ્રષ્ટિહીન ‘વોટર મેન’નો અદ્દભુત દ્રષ્ટિકોણ! આગામી પેઢી માટે પૈસા નહીં પણ પાણી બચાવે છે રાજકોટના આ વડીલ

રાજકોટમાં રહેતા મહેન્દ્ર સિંહ ઝાલાની આંખોને વોલીબોલ વાગવાને કારણે નુકસાન થયું, ધીરે ધીરે તેમની જોવાની ક્ષમતા ઓછી થતી ગઈ અને તેમણે રાજીનામું આપી દેવુ પડ્યું. પરંતુ મહેન્દ્ર સિંહે પોતાના નસીબને ફિટકાર લગાવવાના સ્થાને નવરાશના સમયને નેક કામમાં ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો અને આજે તેમને વોટર મેનનો ખિતાબ મળ્યો છે. દર ચોમાસામાં તેઓ એક લાખ લિટર પાણીનો સંગ્રહ કરે છે.

Authored byNimesh Khakhariya | Edited byZakiya Vaniya | TNN 12 May 2022, 9:40 am
રાજકોટ- મન હોય તો માળવે જવાય, આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ રાજકોટમાં રહેતા 60 વર્ષીય મહેન્દ્રસિંહ ઝાલાએ તેને સાકાર કરી બતાવી છે. આપણે જીવનમાં નાની એવી સમસ્યા આવે તો હાર માની લઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, પરંતુ મહેન્દ્રસિંહ ઝાલાએ જીવનના પડકારોનો સામનો કર્યો અને અનેક લોકો માટે ઉદાહરણ બન્યા. મહેન્દ્રસિંહ જોઈ નથી શકતા પરંતુ તેમનો આત્મવિશ્વાસ અને ધગશ ભલભલાને દિવસે તારા બતાવી શકે છે. તેઓ જણાવે છે કે, મારી આંખોમાં પ્રકાશ નથી પરંતુ એક ચિનગારી એવી છે જે આપણી આગામી પેઢીના જીવનને પ્રકાશિત કરી શકે છે.
I am Gujarat Mahendrasinh zala
ચોમાસામાં એક લાખ લિટર પાણીનો સંગ્રહ કરે છે મહેન્દ્રસિંહ.


જ્યારે મહેન્દ્રસિંહ ઝાલાએ આંખની 90 ટકા દ્રષ્ટિ ગુમાવી દેવાને કારણે સરકારી નોકરી છોડવી પડી તો તેઓ હતાશ નહોતા થયા. તેમનું લક્ષ્ય હતું પાણીની તંગીની સમસ્યાનું નિરાકરણ લાવવું અને તે પોતાના ધ્યેયને વળગી રહ્યા. નોકરી ગુમાવ્યા પછી પોતાના નસીબને કોસવા અને પોતાની કમીઓ પર પસ્તાવો કરવાના બદલે તેમણે રાજકોટ સ્થિત કોઠારિયા કોલોની ખાતે પોતાના ઘરમાં જળ સંચયના એક પ્રોજેક્ટની શરુઆત કરી. તેમને પોતાના કામમાં સફળતા મળી અને જળશક્તિ વિભાગ દ્વારા તેમને વોટર હીરોનો અવોર્ડ પણ આપવામાં આવ્યો. અત્યારે મહેન્દ્રસિંહ ઝાલા દરેક ચોમાસામાં લગભગ એક લાખ લિટર પાણીનું સંચય કરે છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું કે, હું આ આપણી આગામી પેઢી માટે કરુ છું. લોકો પોતાના બાળકો માટે પૈસા બચાવતા હોય છે, હું પાણી બચાવુ છું. ઉલ્લેખનીય છે કે વર્ષ 1992માં વોલીબોલ રમતી વખતે તેમની બન્ને આંખમાં ગંભીર ઈજા થઈ હતી. આંખમાં ઈજા થવાને કારણે ધીરે ધીરે તેમણે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તેઓ આઈટીઆઈ સાથે સુપરવાઈઝિંગ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા હતા. વર્ષ 2013માં તેમણે રાજીનામુ લઈ લીધુ હતું.

કચ્છઃ જૈનોની વસતિ ઘટતા મહાજનની 'હમ દો, હમારે દો-તીન' યોજના, દંપતીને 10 લાખ સહાયનો નિર્ણય
ઝાલાએ પડકારોનો સામનો કર્યો અને પોતાની ક્ષમતાનો ઉપયોગ જળ સંચય માટે કરવા રાત દિવસ મહેનત કરી. આખરે તેમણે પોતાના બન્ને ધાબા પર કુલ વિવિધ પ્રકારની કુલ સાત ટાંકી તૈયાર કરી. મહેન્દ્રસિંહના ભાઈ ગજેન્દ્રસિંહ તેમના બાજુના ઘરમાં જ રહે છે, તેમણે પોતાના ભાઈને તમામ ટેન્કને પાઈપલાઈન સાથે જોડવામાં મદદ કરી હતી. ધાબા પર જે વરસાદનું પાણી એકઠું થાય તેમાંથી કચરો અને ધૂળ હટાવવા માટે પાઈપની આગળ જાળી પણ લગાવી હતી.
મહેન્દ્રસિંહ આ ટાંકીઓમાં 12,000 લીટર પાણીનો સંગ્રહ કરે છે અને જો પાણી ઓવરફ્લો થાય તો તે પાઈપના માધ્યમથી સીધું અંડરગ્રાઉન્ડ જતું રહે છે. તેઓ જણાવે છે કે, જો આપણે અત્યારે જળ સંચય નહીં કરીએ તો ભવિષ્યમાં પીવા માટે પણ પૂરતું પાણી નહીં હોય. અને પછી લોકોએ આંસુ પીવાનો વારો આવશે. હું મારા ઘરની બહાર 200 યાર્ડના બગીચામાં 1 લાખ લીટર પાણીનો સંગ્રહ કરુ છું. મેં આ પ્રોજેક્ટ જળશક્તિ વિભાગના અધિકારીઓને બતાવ્યો હતો, જેમણે મને વોટર હીરોનો અવોર્ડ આપ્યો હતો. જો કે મને 10,000 રુપિયાના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી નથી મળ્યા. તે પૈસાનો ઉપયોગ હું વધારે પાઈપલાઈન લગાવવામાં કરીશ.

શેરડીનો રસ કાઢતા અજબના 'રસવંતી' સંચાની ગજબની કહાણી
મહેન્દ્રસિંહ ઝાલા જોઈ નથી શકતા, એવામાં જૂના ઘરની સાંકળી સીડીઓ પરથી દરરોજ ધાબા પર જવું અને ઉપરથી રસ્તામાં પાઈપ અને ટાંકીઓ પણ હોય, એ તેમના માટે સરળ નહોતું. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમણે ધાબા પર દોરીઓ બાંધી જેની મદદથી તેમને ચાલવામાં તકલીફ ના પડે. આ સિવાય અમુક વિસ્તારને તેમણે ઘેરો રંગ પણ કરી લીધો છે, જેના કારણકે તેમને તે દૂરથી દેખાઈ જાય. દર વર્ષે ચોમાસા પહેલા તેઓ તમામ પાઈપો કાર્યરત છે કે નહીં તે ચકાસે છે. આ વર્ષે પણ આવતા મહિને તેઓ ધાબા પર જઈને ફિટિંગ વગેરે તપાસશે. મહેન્દ્રસિંહના દીકરા યશરાજસિંહ અને ભાણેજ હર્ષદીપસિંહ જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમની મદદ કરે છે.
લેખક વિશે
Nimesh Khakhariya
Nimesh Khakhariya is an assistant editor with Times Of India.... વધુ વાંચો

Read Next Story