એપશહેર

સુરતઃ ખેતી માટે પાણી ન મળતા દંપતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો!

Hitesh Mori | I am Gujarat 10 Apr 2018, 8:22 pm
સુરત: હાલમાં સુરતમાં પાણી માટે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી એક ખેડૂત દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે વધારે તપાસ કરતા દંપતિ જયેશભાઈ અને રીટાબહેને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ખેતી માટે પાણી ન મળતા આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના અંગે ઓલપાડના કપાસી ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયેશ મણીલાલ પટેલ ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતા. મૃતકના નજીકના સંબંધીએ આપેલી માહિતી પ્રમાણે જયેશભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પત્ની ઘરકામ કરતી હતી. ડાંગરની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂરીયાત રહે છે. જોકે, કપાસી ગામમાં નહેરનું પાણી પહોંચ્યું ન હતું. જેથી ટેન્કર મારફતે પાણી મગાવવું પડતો હતું. તેમનો ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો હતો. જયેશભાઈએ ખેતી માટે ચાર વખત બોર ખોદાવ્યા પણ એકપણ બોરમાંથી પાણી ન નીકળતા તેઓ આર્થિક સંકડામણમાં હતા. જયેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના દીકરાએ હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે. જયેશ ભાઈએ ઝેરી દવા પીધા બાદ મામાના છોકરા કલ્પેશને ફોન કરી જણાવ્યું કે, તું મારી દીકરીને પરણાવી દેજે. ત્યારબાદ રિટાએ પણ કલ્પેશ સાથે ફોન પર વાત કરી કહ્યું હતું કે, મારી દીકરીના લગ્ન કરાવી મારા દીકરાનું ધ્યાન રાખજે. જેથી ડરના માર્યા કલ્પેશ પૂછ્યું હતું કે, ભાઈ તું છે ક્યાં? તો જ્યેશે કહ્યું હતું કે, અમે ઝેરી દવા પી લીધી છે અને ડુમસ રોડ પર છે. જેને લઈ કલ્પેશ અને પરિવાર બંનેને શોધવા નીકળતા ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો