એપશહેર

માસ્ક ના પહેરનારા પાસેથી દંડ લેવાશે કે નહીં? સુરત પોલીસ કમિશનરે કરી મહત્વની સ્પષ્ટતા

સુરત પોલીસ માસ્ક ના પહેરનારાનો હજાર રુપિયાનો મેમો ફાડવાને બદલે માસ્ક આપી તેને પહેરવા માટે સમજાવશે તેવા અહેવાલો પર પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા

I am Gujarat 26 Mar 2021, 12:30 pm
સુરત: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સુરત પોલીસ માસ્ક પહેર્યા વિના ઝડપાયેલા લોકોને દંડ કરવાને બદલે માસ્ક આપશે તેવા અહેવાલો પર ખુદ પોલીસ કમિશનર અજય તોમરે મહત્વની સ્પષ્ટતા કરી છે. કમિશનરે જણાવ્યું છે કે, નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તો તેની પાસેથી એક હજાર રુપિયા દંડ વસૂલવામાં આવશે જ, અને તેમાં કોઈ સમજૂતી નહીં કરાય.
I am Gujarat surat mask
ફાઈલ તસવીર


ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે પોલીસ માસ્ક ના પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાને બદલે તેમને જાગૃત કરવા માટે તેમને માસ્ક આપશે અને તેને પહેરવા માટે સમજાવશે. પોલીસનું માસ્ક અંગે જાગૃતિ લાવવા માટેનું વલણ ખાસ્સું ચર્ચાસ્પદ પણ બન્યું હતું. જોકે, આ અહેવાલો પર કમિશનરે કલાકોમાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે દંડ લેવાનું બંધ નહીં કરાય.

હાલના દિવસોમાં સુરત શહેર પોલીસ માસ્ક વિના પકડાતા લોકો પાસેથી રોજનો 10 લાખ રુપિયા જેટલો દંડ વસૂલ કરે છે. જો માસ્ક નાક નીચે ઉતરી જાય તો પણ પોલીસ જે-તે વ્યક્તિને અટકાવીને તેનો હજાર રુપિયાનો મેમો ફાડતી હોય છે. જેના કારણે ઘણીવાર પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમ સાથે નિયમનો ભંગ કરનારા લોકોને બોલાચાલી પણ થઈ જતી હોય છે.

સુરત પોલીસે લોકોમાં માસ્ક અંગે સમજ આવે તે માટે 'દંડ નહીં પણ માસ્ક લગાઓ' કેમ્પેઈન શરુ કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓએ પણ એવી વાતો કરી હતી કે પોલીસને દંડ ઉઘરાવવામાં નહીં પરંતુ લોકો માસ્ક પહેરતા થાય તેમાં રસ છે. જેથી લોકોને જાગૃત કરવા માટે તેમને માસ્ક આપવામાં આવશે. શહેર પોલીસ કમિશનરે ત્યાં સુધી કહ્યું હતું કે, પોલીસ અને પબ્લિક વચ્ચેના સંબંધને દંડના સ્વરુપે જ જોવામાં આવે તેવું તેઓ નથી ઈચ્છતા. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો સમજાવવા છતાં કોઈ માસ્ક નહીં પહેરે તો તેની સામે પગલાં લેવાશે.

હાલ સુરતમાં 3054 જેટલા એક્ટિવ કેસ છે, અને 29,871 લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. શહેરમાં ગઈકાલે 501 નવા કેસ નોંધાયા હતા. સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાએ માથું ઉંચક્યું છે. સુરત જિલ્લામાં ગઈકાલે 127 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે શહેરમાં ચાર લોકોના કોરોનાથી મોત પણ થયા હતા.

Read Next Story