એપશહેર

દાદરાનગર હવેલીમાં ફાર્મા કંપનીના 14 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પ્લાન્ટ બંધ કરાયો

Yogesh Gajjar | TNN 3 Jul 2020, 8:31 am
સુરતઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ગુરુવારે ટોચની ફાર્મા કંપનીના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા બાદ એડમિનિસ્ટ્રેશને કંપનીના પ્લાન્ટને બંધ કરવાની નોટિસ ફટકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દવાનું ઉત્પાદન કરતી સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડના દાદરા પ્લાન્ટને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયો છે. આ દરમિયાન પ્લાન્ટમાં સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને આઈસોલેશન કરવામાં આવશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સૂત્રોએ જણાવ્યું કે, સન ફાર્મા દાદરા અને નગર હવેલીમાં બે પ્લાન્ટ ચલાવે છે. આ પ્લાન્ટ સિલવાસામાં આવેલા પિપારિયા ગામમાં આવેલો છે, જ્યાં હાઈડ્રોક્લોરોક્વીન દવાનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્લાન્ટમાં રોજની લગભગ 10 લાખ ટેબલેટ્સનું ઉત્પાદન થાય છે.દાદરા અને નગર હવેલીના જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સિંહે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, સન ફાર્માના દાદરા પ્લાન્ટમાં દવા અને સીરપ બનતી હતી, જ્યારે પિપારિયા ગામમાં આવેલા પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરોક્વીન દવાઓનું પ્રોડક્શન થતું હતું. તેઓ વધુમાં ઉમેરે છે, કંપનીના પિપારિયા પ્લાન્ટ પર સ્થિત કર્મચારીઓ અને અન્ય સ્ટાફ મેમ્બર્સના સર્વેલન્સ માટે અમારી હેલ્થ ટીમ ત્યાં તહેનાત છે.જિલ્લા કલેક્ટર મુજબ, રોજના 400 સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જ્યારે દમણ, દાદરા અને નગર હવેલી તથા દીવના થઈને 600 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે જાય છે.દાદરા નગર હવેલીમાં 15 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે ગુરુવાર સુધીમાં અહીં કોરોનાના કુલ 123 કેસો થઈ ગયા છે. જેમાંથી 50 એક્ટિવ કેસો છે અને 58 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે દમણમાં 10 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 5 લોકો કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા હોવાથી પહેલાથી જ ક્વોરન્ટાઈન સેન્ટરમાં હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો