એપશહેર

ગ્રીન લર્નિંગની દિશામાં સુરતની પહેલ: સ્કૂલના અભ્યાસક્રમમાં કર્યો 'સાઈક્લોલોજી'નો સમાવેશ

સાઈકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને ફાયદો થાય છે. બાળકોમાં નાનપણથી જ સાઈકલિંગની ટેવ વિકસે તે હેતુથી સુરતમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

TNN 15 Sep 2020, 8:47 am
યજ્ઞેશ ભરત મહેતા, સુરત: બાળકોમાં સાઈકલિંગને પ્રોત્સાહન આપીને ડાયમંડ સિટી સુરત ગ્રીન લર્નિંગની દિશામાં એક ડગલું આગળ વધી રહી છે. આ પ્રયત્નોને આગળ ધપાવવા માટે કોર્પોરેશને 'સાઈક્લોલોજી' નામનો કોર્સ ડિઝાઈન કર્યો છે, જે બાળકોને ઈ-લર્નિંગ દ્વારા શીખવવામાં આવે છે. જેથી નાની ઉંમરથી જ તેમનામાં પર્યાવરણને શુદ્ધ રાખવાની સમજ વિકસે.
I am Gujarat CYCLING N
શહેરની બે સ્કૂલોમાં સાઈક્લોલોજીનો કોર્સ શરૂ કરાયો છે


પાઈલટ પ્રોજેક્ટના ભાગરૂપે બે સ્કૂલોમાં સાઈક્લોલોજીનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)નું લક્ષ્ય આ કોર્સને તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં શરૂ કરવાનું છે. RSM એક્સપેરિમેન્ટલ અને સી.સી. શાહ સ્કૂલમાં ધોરણ 3 અને 4માં 'સાઈક્લોલોજી'નો પ્રારંભિક તબક્કાનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ કોર્સ સાઈકલિંગને પ્રોત્સાહન આપતી એમ્સ્ટર્ડમની સોશિયલ એન્ટરપ્રાઈઝ BYCS, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (SES) અને નેચર ક્લબ સુરત (NCS)એ તૈયાર કર્યો છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ 'સાઈકલ ફોર ચેન્જ ચેલેન્જ'ના ભાગરૂપે આ 10 કલાકનો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાયા છે. સ્કૂલો ફરી ખુલે ત્યારે વિદ્યાર્થીઓમાં આ પુસ્તકો વહેંચવામાં આવશે.

રંગભૂમિના જાણીતા કલાકાર અને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત યઝદી કરંજીયાએ આ કોર્સ લોન્ચ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, યઝદી કરંજીયા 83 વર્ષની ઉંમરે પણ સાઈકલ ચલાવે છે. શહેરના 'બાઇસિકલ મેયર' સુનીલ જૈને અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, "આ પૂરક વિષય ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. પાઈલટ પ્રોજેક્ટ દરમિયાન કોર્સમાં વિવિધ ફેરફાર કરવામાં આવી શકે છે. હાલ તો બે સ્કૂલોમાં આ કોર્સ ભણાવાઈ રહ્યો છે અને નક્કી થયા પછી બધી જ શાળાઓના અભ્યાસક્રમમાં સમાવાશે."

વિદ્યાર્થીઓને સાઈકલનો ઈતિહાસ, ટ્રાફિકના નિયમોની સાથે તેનાથી આસપાસના વાતાવરણ, સ્વાસ્થ્ય, સમાજ અને આર્થિક દ્રષ્ટિએ થતાં લાભ વિશે શીખવવામાં આવશે. SESના ચેરમેન કમલેશ યાજ્ઞિકે કહ્યું, "દેશના અન્ય કોઈપણ શહેરમાં 'સાઈકલિંગ'ને એક વિષય તરીકે ભણાવાતું નથી. પર્યાવરણના શિક્ષણના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને સાઈકલિંગનું મહત્વ કવિતાઓ, વાર્તાઓ અને પ્રેક્ટિલ સેશન દ્વારા સમજાવીશું. કોર્સમાં સુધારા-વધારા કરીને તેમજ શિક્ષણ વિભાગના સહકારથી અમે આ કોર્સને તમામ શાળાઓમાં શરૂ કરીશું."

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજેશ પંડ્યાએ કહ્યું, "આજકાલ બાળકોમાં સાઈકલિંગ ઓછું પ્રચલિત છે. શહેરમાં સાઈકલિંગને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયત્નોમાંથી એક છે, સાઈકલિંગને સ્કૂલોમાં વિષય તરીકે ભણાવવો. જો નાની ઉંમરથી જ બાળકોને આ શીખવવામાં આવશે તો જીવનભરની એક સુટેવનું તેમનામાં સિંચન થશે."

Read Next Story