એપશહેર

Rahul Gandhi: મોદી અટક પર ટિપ્પણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી જામીન આપ્યા

Rahul Gandhi Defamation Case: 2019માં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં મોદી અટક પર કરેલી ટિપ્પણી પર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો દાવો, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સજાનું એલાન કર્યું. જે કલમ હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં મહત્તમ 2 વર્ષની સજા તેમજ આર્થિક દંડની જોગવાઈ છે. રાહુલ ગાંધીના વકીલનો દાવો, તેમણે જે નિવેદન આપ્યું હતું તેનાથી કોઈને હાનિ નથી થઈ.

Authored byનવરંગ સેન | I am Gujarat 23 Mar 2023, 12:45 pm
સુરત: ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા માનહાનિના કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોંગ્રેસના નેતા અને વકીલ બાબુ માંગુકિયાએ કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોર્ટે કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનું એલાન કર્યું હતું. જોકે, તેમને સંભળાવાયેલી સજા પર 30 દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ફેસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.
I am Gujarat rahul gandhi
રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા (તસવીર: ગૌરાંગ જોષી)


કોર્ટની માફી માગવાનો ઈનકાર કર્યો

કોંગ્રેસના નેતા બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા તેની બે મિનિટમાં જ જજે તેમને કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. રાહુલ ગાંધીના વકીલે કોર્ટની માફી માગવાનો પણ ઈનકાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે પોલિટિકલ લીડરની હેસિયતથી દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવો તેમની પ્રાથમિક ફરજ છે.

પૂર્ણેશ મોદી શું બોલ્યા?

કોર્ટના ચુકાદાને આવકારતા ભાજપના ધારાસભ્ય તેમજ આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક જાહેર સભા સંબોધતા એવું નિવેદન આપ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે, હજુય શોધો બીજા પણ ઘણા નીકળશે. રાહુલ ગાંધીના આ નિવેદનથી સમગ્ર ભારતના મોદી સમાજની માનહાનિ થઈ હતી. જે બાબતે સુરતની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી સવારે સુરત પહોંચ્યા હતા

કોર્ટ આજે ચુકાદો આપવાની હોવાથી રાહુલ ગાંધી સવારે જ સુરત આવી પહોંચ્યા હતા અને કોર્ટમાં હાજરી આપી હતી. બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં સુરતમાં ઉમટી પડ્યા છે. 2019મા રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભા સંબોધતા મોદી સમુદાય વિશે એક વાંધાજનક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે તમામ ચોરની મોદી અટક કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદનથી પોતાની માનહાનિ થઈ હોવાનો પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. પૂર્ણેશ મોદી ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હાલ તેઓ સુરત પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે, પરંતુ તેમને નવી સરકારમાં મંત્રી નથી બનાવાયા.

મહત્તમ સજા અપાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાહુલ ગાંધીને માનહાનિની જે કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં મહત્તમ 2 વર્ષની સજા અને આર્થિક દંડની જોગવાઈ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં ફરિયાદીના વકીલે રાહુલ ગાંધીને મહત્તમ સજા થાય તેવી અપીલ કરી હતી, જ્યારે બચાવ પક્ષના વકીલ તરફથી એવી દલીલ કરાઈ હતી કે રાહુલ ગાંધી સાંસદ છે, તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે અને તેમને લઘુત્તમ સજા થવી જોઈએ. કોર્ટ આ મામલે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ સજાનું એલાન કરશે. રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી દેવાયા છે તેવામાં જો તેમને સજા થાય તો કોર્ટમાંથી તેમના તાત્કાલિક જામીન કરાવી આ મામલે ઉપલી કોર્ટમાં અપીલ કરવાની પણ કોંગ્રેસે તૈયારી રાખી હતી. રાહુલ ગાંધી માટે બે જામીનદારો પણ કોર્ટમાં ઉપસ્થિત હતા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story