એપશહેર

કોરોના: સુરતના ડૉ. સંકેત મહેતાના ફેફસામાં ઈન્ફેક્શન 99 ટકાથી ઘટી હવે 40 ટકા થયું

પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને અન્ય દર્દીનો જીવ બચાવનારા ડો. મહેતાને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

I am Gujarat 23 Sep 2020, 5:33 pm
સુરતઃ આપણી પ્રાર્થનાઓ ભગવાને સાંભળી છે. કોરોના સામે 53 દિવસની જીવલેણ લડાઈ લડ્યા બાદ, સુરતના કોરોના વોરિયર ડો. સંકેત મહેતા કે જેમણે ગંભીર દર્દીનો જીવ બચાવવા માટે પોતાનો ઓક્સીઝન સપોર્ટ આપી દીધો હતો. આખરે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. ચેન્નઈના મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આરોગ્ય બુલેટિન મુજબ એડવાન્સ યુનિટ ટ્રિટમેન્ટને કારણે ડો. મહેતાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમના ફેફસાંમાં જે 99 ટકા ઈન્ફેક્શન હતું તે ઘટીને હવે 40 ટકા થઈ ગયું છે. ડો. મહેતાની તબિયતમાં સુધારો થતા હવે તેમને ફિઝિયોથેરાપી શરૂ કરવામાં આવી છે.
I am Gujarat surat dr sanket mehtas health shows improvement
કોરોના: સુરતના ડૉ. સંકેત મહેતાના ફેફસામાં ઈન્ફેક્શન 99 ટકાથી ઘટી હવે 40 ટકા થયું


BAPS હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા

સુરતના ડોક્ટર સંકેત મહેતા કોરોના સંક્રમિત થયા બાદ સુરતની BAPS હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા હતા. આ દરમિયાન ICUમાં અન્ય દર્દીનો જીવ બચાવવા માટે પોતાનું હાઈ લેવલનું ઓક્સિજન માસ્ક ઉતારીને ઊભા થઈને અન્ય દર્દીનો તેમણે જીવ બચાવ્યો હતો. તેમને 25 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખાયા હતા. ત્યાર બાદ તેમના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર ઊભી થઈ હતી.

એર એમ્બુલન્સથી તેમને ચેન્નઈ લઈ જવામાં આવ્યા

ડો. મહેતાને 13 સપ્ટેમ્બરે એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં અદ્યતન એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પાછળ અંદાજે 1 કરોડનો ખર્ચ હોવાથી તેમની આર્થિક મદદે ઉદ્યોગપતિઓ અને સુરતના લોકો આગળ આવ્યા અને તેમના માટે રૂપિયા એકત્રિત કર્યા હતા. સહાયનો એટલો ધોધ વહ્યો કે આખરે સહાય માટે તેમણે ના પાડવી પડી.

મદદ માટે અનેક લોકો આગળ આવ્યા

એમજીએમના ડોકટરોએ જણાવ્યું કે તેઓ તેના ફેફસાંને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રાન્સપ્લાન્ટ અંતિમ વિકલ્પ છે. એર એમ્બ્યુલન્સમાં તેમની સાથે આવેલા ડો. જયેશ ઠકરાલે જણાવ્યું હતું કે, 'ડોકટરો, ઉદ્યોગપતિઓ અને સુરતના નાગરિકોએ ડો.મહેતાની સારવાર માટે એક ભંડોળ બનાવ્યું છે. સારવારમાં અત્યાર સુધીમાં 55 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે. અમે અહીં બીજા 4 અઠવાડિયા માટે રહેશું તેવી સંભાવના છે. સારવારનો દૈનિક ખર્ચ લગભગ 1.25 લાખ રૂપિયા સુધી આવે છે. જો ડોકટરો તેના ફેફસાં પ્રત્યારોપણ કરવાનું નક્કી કરે છે, તો તેનો ખર્ચ 50 લાખ રૂપિયા થશે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો