એપશહેર

અશાંત ધારો: ફિરોઝે ફિરોઝને મકાન વેચ્યું, મામલો કોર્ટમાં પહોંચ્યો

વડોદરાની એક સોસાયટીના ચેરમેને પારસી સમાજના શખસ સામે પોતાની ઓળખ છૂપાવી મુસ્લિમ બનીને પ્રોપર્ટી વેચ્યાની ફરિયાદ નોંધાવી છે.

Written bySaeed Khan | TNN 21 Oct 2020, 5:57 pm
અમદાવાદ: મહાન નાટ્યકાર શેક્સપિયરે કહ્યું હતું કે, નામમાં શું રાખ્યું છે? પણ, પ્રોપર્ટી સેલના એક કેસમાં આ વાત કદાચ લાગુ પડતી નથી. કેમકે, તે માત્ર નામ જ મહત્વનું પરિબળ બન્યું છે. ફિરોઝ ફલિભાઈ કોન્ટ્રાક્ટર નામના એક પારસી વ્યક્તિ પર પોતાને મુસ્લિમ જણાવી પોતાની પ્રોપર્ટી ફિરોઝ પટેલ નામના એક મુસ્લિમ વ્યક્તિને વેચ્યાનો આરોપ છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી સમર્પણ કો-ઓપરેટિવ સોસાયટીમાં આ પ્રોપર્ટી આવેલી છે. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે.
I am Gujarat Gujarat High Court


પારસી નામ ફિરોઝનો અર્થ છે વિજેતા, વિજયી કે સફળ. જ્યારે મુસ્લિમમાં ફિરોઝનો અર્થ થાય છે ભેટ (ગિફ્ટ).

સમર્પણ સોસાયટીના ચેરમેન મનિષ મલ્હોત્રાએ ઓગસ્ટ મહિનામાં જેપી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, પારસી શખસે પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ ઊભી કરવા ફિરોઝ નામનો ગેરલાભ ઉઠાવ્યો અને આશાંત ધારા અંતર્ગત થતી વધુ તપાસમાંથી છટકી ગયો.

અશાંત ધારા અંતર્ગત અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રોપર્ટીનો સોદો કરવામાં આવે તો વેચાણ માટે મંજૂરી આપતા પહેલા વહીવટી તંત્ર (આ કેસમાં ડેપ્યુટી કલેક્ટર) દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરને મુસ્લિમ શખસને પ્રોપર્ટી વેચવા માટે 15 દિવસમાં મંજૂરી મળી ગઈ હતી.

ફરિયાદને પગલે કોન્ટ્રાક્ટર સામે અશાંત ધારા ભંગ અને ખોટી માહિતી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની સામે કોન્ટ્રાક્ટરે ગત મહિને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

પોતાની અરજીમાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, પોતાના બર્થ સર્ટિફિકેટ મુજબ તે પારસી સમાજમાંથી આવે છે. તેમની અરજીમાં કહેવાયું છે કે, 'અરજીકર્તાએ ડેપ્યુટી કલેક્ટર ઓફિસના કોઈપણ અધિકારી સમક્ષ ક્યારેય એવી છાપ નથી ઊભી કરી કે તેઓ મુસ્લિમ સમાજમાંથી આવે છે. એટલે, તંત્ર તરફથી જરૂરી મંજૂરી મેળવવા અરજીકર્તાએ કોઈ છેતરપિંડી કે ગુનો કર્યો નથી.'

કોન્ટ્રાક્ટરની અરજીના જવાબમાં ફરિયાદી મલ્હોત્રાએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે પાંચ વર્ષ પહેલા આ જ પ્રોપર્ટી એક હિંદુ પાસેથી ખરીદી હતી. પારસી હોવાથી કોન્ટ્રાક્ટરે આ સોદાની મંજૂરી માટે તેમને બે વર્ષ કરતા વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.

સમર્પણ સોસાયટીના ચેરમેન મલ્હોત્રાએ કહ્યું કે, આ વખતે તેમણે (કોન્ટ્રાક્ટરે) પોતે મુસ્લિમ હોવાની છાપ ઊભી કરવા તાંદળજાની મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારનું ખોટું સરનામું આપ્યું. નહીં તો. તેમને 15 દિવસમાં મંજૂરી કઈ રીતે મળી જાય?

સોસાયટીના ચેરમેને વધુમાં આરોપ લગાવ્યો કે, ફિરોઝ ફલિભાઈ કોન્ટ્રાક્ટરે સરકારી અધિકારીઓ સાથે રમત રમી છે. મલ્હોત્રાએ હાઈકોર્ટને એમ પણ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે વચન આપ્યું હતું કે, તે કોઈ મુસ્લિમને આ પ્રોપર્ટી વેચતા પહેલા સોસાયટીની એનઓસી લેશે, પરંતુ તેમણે એવું કર્યું નથી.

મલ્હોત્રાના દાવાના જવાબમાં કોન્ટ્રાક્ટરે એફિડેવિટ કરી છે કે, તેમણે અધિકારીઓ પર પોતે મુસ્લિમ હોવાની છાપ ઊભી કરવા ક્યારેય પ્રયાસ કર્યો નથી.
લેખક વિશે
Saeed Khan
Saeed Khan is special corespondent at The Times of India, Ahmedabad. He reports on courts and legal issues. He also covers the income tax and customs departments. He loves spending time at roadside tea stalls, chatting up friends and getting news at the same time.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો