એપશહેર

ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જઈ રહેલા ડમ્પરે 3 મહિલાઓને કચડી મારી

સવારે 5થી 6 વાગ્યા દરમિયાન બની ઘટના, સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરીને પોલીસને ઘેરાવ કર્યો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો, લોકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી.

I am Gujarat 28 Oct 2020, 2:54 pm
ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ પાસે આજે વહેલી સવારે 5થી 6 વાગ્યાના અરસમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જઈ રહેલા ડમ્પરે બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ટક્કર મારી હતી, જેમાં 3 મહિલાઓનું કચડાઈ જવાથી મોત નીપજ્યું છે. જ્યારે એક પુરુષને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર ચક્કાજામ કર્યો હતો જેના પગલે ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. એટલું જ નહીં, સ્થાનિકોએ રસ્તા પર ઈટ-પથ્થર મૂકીને બંને તરફનો રસ્તો રોકીને રસ્તા પર તંત્ર સામે વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે વારંવાર સ્પીડ બ્રેકર બનાવવા માટે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા હોવાથી અગાઉ કેટલાય લોકોના અકસ્માતે મોત થયા છે.
I am Gujarat hit and run on jhagadia statue of unity road 3 woman dies
ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જઈ રહેલા ડમ્પરે 3 મહિલાઓને કચડી મારી


હિટ એન્ડ રનમાં 3 મહિલાના મોત

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઝઘડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફનો રસ્તો જીવલેણ બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉચેડીયા ગામની મહિલા અને શાકભાજી વેચવા જઈ રહેલી મહિલાઓ ગુમાનદેવ મંદિર પાસે વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 3 મહિલાઓ અને એક પૂરુષને અડફેટ લીધા હતા, જેમાં બે મહિલાનું ઘટનાસ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે પુરૂષને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મંદિરના CCTV બંધ હોવાથી મહારાજને ફટકાર્યા

વહેલી સવારે બનેવી હિટ એન્ડ રનની ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું કે, જ્યાં ડમ્પરે રાહદારીઓને ટક્કર મારી તે મંદિરના સીસીટીવી કેમરા જ બંધ હતાં. જેથી રોષે ભરાયેલા લોકોએ મંદિરનો ઘેરાવ કર્યો હતો અને મંદિરના મહારાજને ફટકાર્યા હતા અને કપડા ફાડી નાખ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાઓના પરિવારજનોમાં શોકનો માહોલ છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં રેખાબેન પટેલ, જશીબેન પટેલ અને તારાબેન વસાવાનો સમાવેશ થાય છે.

સ્પીડ બ્રેકર્સ મૂકવાની ગ્રામજનોની માંગ

ગુમાનદેવ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેથી સ્ટેચ્યૂ તરફ જતા રોડ પર વાહનોની કતાર લાગી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ચક્કાજામના પગલે ટ્રાફિક જીઆઈડીસી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચતા સ્થાનિકોએ તેમનો પણ ઘેરાવ કર્યો હતો અને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ રસ્તા પર બેસીને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

અનેકવાર રજૂઆત છતા તંત્ર સાંભળતું નથી

સ્થાનિકે જણાવ્યા મુજબ આજે સવારે ગામના 4થી 5 લોકો નોકરી અને મજૂરી માટે પીકઅપ સ્ટેન્ડ પાસ ઉભા હતા, આ દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં બેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, અગાઉ ત્રણથી ચાર વખત તંત્રને રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય હજી સુધી મૂકવામાં આવ્યા નથી. એક વર્ષ પહેલા સ્કૂલની વિદ્યાર્થીનું પણ આજ રીતે અકસ્માતમાં મોત થયું હતું. દિવસ દરમિયાન ઘણા વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે સ્પીડ બ્રેકર મૂકવાની ખાસ જરૂર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો