એપશહેર

કેટલા હાથી જેટલું ધરાવે છે નર્મદા ડેમનો એક દરવાજો? જાણશો તો આંખો પહોળી થઈ જશે

ગુજરાતના અનેક વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા આ ડેમમાં કુલ 30 મહાકાય દરવાજા લગાડવામાં આવ્યા છે

I am Gujarat 3 Sep 2020, 4:22 pm
અમદાવાદ: ભારે વરસાદ બાદ નર્મદા ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે એન્જિનિયરિંગની અજાયબી સમાન આ ડેમની કેટલીક ચોંકાવનારી વિગતો નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ પર કુલ 30 રેડિયલ દરવાજા છે, અને એક દરવાજાનું વજન 450 ટન છે.
I am Gujarat narmada dam
નર્મદાના પાણીથી ગુજરાતના 25 ડેમ અને 750 તળાવો ભરાય છે


ડેમના એક જ દરવાજાનું 450 ટન વજન 150 હાથીના વજનની બરાબર થાય છે. મતલબ કે, ડેમના સ્લીપ વે (જ્યાંથી પાણી બહાર આવે છે) પર 4500 હાથી બેઠા હોય તેમ કહી શકાય. ડેમના તમામ દરવાજાની પાણી છોડવાની કેપેસિટી 30 લાખ ક્યૂસેક જેટલી છે.

આ વિશાળ ડેમ બનાવવા માટે 6.8 લાખ ક્યૂબીક મીટર કોંક્રિટનો ઉફયોગ કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી ઉંચા ગણાતા દુબઈના બુર્જ ખલીફા જેવા 27 બિલ્ડિંગ બની જાય તેટલું કોંક્રીટ માત્ર આ ડેમ બનાવવામાં વાપરવામાં આવ્યું છે.

એટલું જ નહીં, ડેમમાંથી નીકળતી દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલમાં હાલ 77 ટકા ક્ષમતાથી પાણી ભરેલું છે. આ પાણી 17 હજાર કરોડ લિટર જેટલું થવા જાય છે. 458 કિમી લાંબી આ કેનાલમાં હાલ અમદાવાદને બે વર્ષ, જ્યારે ન્યૂયોર્ક જેવા શહેરને બે મહિના ચાલે તેટલું પાણી સંગ્રહાયેલું છે.

નર્મદા કેનાલ દ્વારા રાજ્યની કુલ 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે, જે આખા રાજ્યની કુલ ખેતીલાયક જમીનના 15 ટકા થાય છે. નર્મદા કેનાલમાં કુલ 22,000 કરોડ લીટર પાણી સમાઈ શકે છે, જેની સરખામણીએ હાલ 17,100 કરોડ લીટર પાણી ભરેલું છે. નર્મદાના પાણી દ્વારા જ રાજ્યના 25 ડેમ અને 750 તળાવો ભરાય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટની શોભા પણ નર્મદાનું પાણી જ વધારે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો