એપશહેર

ખંભાત રમખાણ: આણંદ જિલ્લાના પોલીસ વડા અને ખંભાતના DySPની બદલી કરી દેવાઈ

નવરંગ સેન | I am Gujarat 25 Feb 2020, 4:50 pm
ગાંધીનગર: આણંદ જિલ્લાના ખંભાતમાં રવિવારે થયેલા રમખાણો બાદ સરકારે આજે જિલ્લા પોલીસવડા અને ખંભાતના DySPની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી છે. બંને અધિકારીઓને હાલ કોઈ પોસ્ટ ફાળવવામાં આવી નથી. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ખંભાતના ડીવાયએસપી રીમા મુન્શીની ટ્રાન્સફર કરાઈ છે.આ બંને અધિકારીઓના સ્થાને અમદાવાદના ડીસીપી ટ્રાફિક અજીત રાજિયાનને આણંદ જિલ્લાના એસપી બનાવાયા છે, અને એસીબીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ભારતી પંડ્યાને ખંભાતના ડીવાયએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ખંભાતમાં રવિવારે થયેલા રમખાણો બાદ આજે સવારે પણ હિંસા થઈ હતી. હાલ પોલીસનો મોટો કાફલો ખંભાતમાં ઉતારી દેવામાં આવ્યો છે, અને શહેરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. સંવેદનશીલ મનાતા ખંભાતમાં અગાઉ પણ રમખાણો થઈ ચૂક્યા છે. જોકે, રવિવારે ટ્રમ્પના આગમનના એક દિવસ પહેલા જ થયેલા રમખાણોને કારણે સરકાર પણ ભીંસમાં આવી ગઈ હતી.સૂત્રોનું માનીએ તો, ખંભાત અને આણંદના બંને સિનિયર અધિકારીઓની બદલી રમખાણોને કારણે જ કરવામાં આવી છે. સરકારે આ બંને અધિકારીઓને હાલ કોઈ ચાર્જ પણ ન સોંપતા આ બદલી ચર્ચાનો વિષય બની છે.રવિવારે થયેલા રમખાણો બાદ આજે ખંભાતમાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે. સવારથી જ શહેરના બજારો તેમજ શાળા-કોલેજો બંધ રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ટાવર ચોક ખાતે ભેગા થઈને હિંસાનો વિરોધ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માગ કરી હતી. બીજી તરફ, શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ખંભાતમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, તેમજ રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.આજે સવારે પણ ખંભાતમાં હિંસાની ઘટના બની હતી. જોકે, રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા, અને પોલીસે તુરંત કાર્યવાહી કરીને તોફાન કરી રહેલા ટોળાંને વિખેરી નાખ્યું હતું. પોલીસનું માનવું છે કે, આજ સાંજ સુધીમાં જ ખંભાતમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.કોમી સંવેદનશીલ ગણાતા ખંભાતના સ્થાનિકોનું માનીએ તો, નજીવા કારણસર શહેરમાં અદાવત રાખીને રમખાણો કરવામાં આવે છે. રવિવારે જે રમખાણ થયા તેના આરોપી થોડા દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યા હતા. ખંભાતના સંવેદનશીલ વિસ્તારમાં કાયમ એસઆરપીનો પોઈન્ટ રહે છે, પરંતુ જ્યાર પણ પોઈન્ટ ઉઠાવી લેવાય કે તે સાથે જ રમખાણો શરુ થઈ જતા હોય છે.ટ્રમ્પના આગમન ટાણે એસઆરપીનો પોઈન્ટ ઉઠાવી લેવાયા બાદ રવિવારે રમખાણો થયા હતા.રમખાણો દરમિયાન લૂંટની ઘટના બની હોવાનું પણ આણંદના સાંસદ મિતેષ પટેલે એક ન્યૂઝ ચેનલને ફોન પર જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં પ્રિપ્લાન્ડ હોય તે રીતે લૂંટફાટ કરાઈ છે અને વાહનોને આગ ચાંપવામાં આવી છે. રમખાણોને અંજામ આપનારા ગુનાઈત ઈતિહાસ ધરાવે છે, અને તેમની સામે કડક હાથે કામગીરી થવી જોઈએ.ખંભાતમાં રવિવારે થયેલા રમખાણોમાં જોરદાર પથ્થરમારો તેમજ આગજનીની ઘટના બની હતી. આ મામલે પોલીસે 45 લોકોની અત્યારસુધી ધરપકડ કરી છે. રવિવારની ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. પોલીસે ચાર અલગ-અલગ એફઆઈઆર નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસ 1000 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, અને 95 લોકોનો નામજોગ ઉલ્લેખ કરાયો છે.રમખાણના આરોપીઓ હરિજનવાસ, સાકરપુર, જગનાથ મહાદેવની ચાલી, લીમડા શેરી, મદારનગર, જહાંગીરપુરા, કડિવાલ, લાલ મહેલ, છીપવાડ, બંદ્રા બુર્જ તેમજ જુમ્મા મસ્જિદ વિસ્તારના છે. ઉલ્લેખનીય છે કે, રવિવારની ઘટના બાદ પોલીસે ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસના 30 શેલ છોડાયા હતા. હાલ શહેરમાં આરએએફની એખ ટૂકડી તૈનાત કરવામાં આવી છે, અને પોલીસ પણ અહીં ખડેપગે બંદોબસ્તમાં છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story