એપશહેર

મની લોન્ડરિંગની માયાજાળઃ સ્વીપર્સ, લારી ચલાવનારાઓને કંપનીઓના MD, CEO બનાવી દેવાયા

મની લોન્ડરિંગ માટે ભેજાબાજ લોકો નવા નવા રસ્તા અજમાવી રહ્યા છે. તેઓ અત્યંત સાધારણ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેમના નામે કંપનીઓ બનાવે છે તથા બેન્ક ખાતા ખોલાવે છે. સરકારી એજન્સીઓને આવા ખાતાઓની લાંબા સમય સુધી ગંધ પણ નથી આવતી. આવા બેન્ક ખાતા મારફત બનાવટી કંપનીઓ કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ કરે છે.

Authored byTushar Tere | Edited byઅજિત ગઢવી | TNN 19 Apr 2022, 11:15 am

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં મની લોન્ડરિંગ માટે એક વ્યવસ્થિત ગેંગ કામ કરી રહી છે.
  • એજન્સીઓએ તપાસ કરતા તેના મૂળ અત્યંત સાધારણ લોકો સુધી પહોંચ્યા
  • ગરીબોને તેમના નામે થતા બેન્કિંગ વ્યવહારોની ખબર પણ હોતી નથી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat money
સાધારણ લોકોના નામે શેલ કંપનીઓ ખોલીને કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા છે.
દેશમાં મની લોન્ડરિંગ (Money Laundering) રોકવાનું કામ સરકારી એજન્સીઓ માટે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. ભેજાબાજ લોકો મની લોન્ડરિંગ માટે સતત નવા રસ્તા શોધતા રહે છે જેમાંથી કેટલાક ઉપાય તો ખરેખર આશ્ચર્યમાં મુકી દે તેવા હોય છે. વડોદરામાં રહેતા રાજુભાઈ (નામ બદલ્યું છે) વર્ષોથી સ્વીપર તરીકે કામ કરે છે અને બહુ સાધારણ ઘરમાં રહે છે. થોડા દિવસો પહેલાં તપાસકર્તા એજન્સીઓના માણસો તેમના ઘરે આવ્યા અને પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે કોઈએ તેમને કોઈ ખાનગી કંપનીના MD બનાવી દીધા છે અને તેમના નામે તગડો પગાર પણ અપાય છે. સરકારી અધિકારીઓને પણ કોઈ કંપનીના MD ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હોય તે જોઈને આશ્ચર્ય થયું હતું.
આ કેસની તપાસ કરતા ACP (સાઈબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ કહ્યું કે "અમને ત્યારે ખબર પડી કે કેટલીક ગેંગ આવું વ્યાપક નેટવર્ક ચલાવે છે અને મની લોન્ડરિંગ માટે અત્યંત સાધારણ માણસોના નામ અને ઓળખનો ઉપયોગ કરીને સોદા પાર પાડે છે."

વડોદરામાં તાજેતરમાં લોકોને જંગી વળતર આપવાનું વચન આપીને રૂપિયા પડાવનાર કંપની (Shell Company) છુમંતર થઈ ગઈ હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે કંપનીમાં એમડી અને સીઈઓના પદે એવી વ્યક્તિઓના નામ હતા જેમને હકીકતમાં આવી કોઈ વાતની ખબર પણ ન હતી અને બહુ સાધારણ જીવન જીવતા હતા.

માકડિયાએ જણાવ્યું કે, "અમે આ કંપનીઓના સિનિયર મેનેજમેન્ટના સંપર્કની વિગત મેળવી હતી. જુદી જુદી કંપનીઓના આવા બે ડઝન જેટલા સીઈઓની વિગત મેળવાઈ હતી. તપાસકર્તા એજન્સીઓ જ્યારે આ CEOના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે જે તે વ્યક્તિને પોતાના નામનો ઉપયોગ થયા વિશે ખબર પણ ન હતી."

આ કંપનીઓના CEO તરીકે જેમના નામ અને સરનામા અપાયા હતા તેઓ રસ્તા પર લારી ચલાવતા હતા, રેંકડીમાં ઈંડા વેચતા હતા અથવા રસ્તા પર ઝાડુ મારતા હતા. આ લોકોને ખબર પણ ન હતી કે તેમના નામે બેન્ક ખાતા ખોલાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે આવા કૌભાંડ કરતા લોકો સૌથી પહેલા સાવ ગરીબ અને સાધારણ લોકોના ડોક્યુમેન્ટ મેળવે છે, ત્યાર પછી તેમના નામે પ્રાઈવેટ કંપનીઓ બનાવે છે. તેઓ જાણે છે કે આ લોકોને સરળતાથી પરેશાન કરી શકાય છે અને તેઓ વળતી કાર્યવાહી પણ કરી શકતા નથી. એક વખત આ લોકોના નામે બનાવટી કંપનીઓ બની જાય ત્યાર પછી બેન્ક ખાતા ખોલાવીને મની લોન્ડરિંગ કરવામાં આવે છે. મની લોન્ડરિંગ માટે આવા ડઝનબંધ ખાતા ખોલવામાં આવ્યા છે અને પછી ક્રિપ્ટોકરન્સી દ્વારા તેમાં રહેલા નાણાં ચીન ટ્રાન્સફર કરવામાં આવે છે.
લેખક વિશે
Tushar Tere
Tushar Tere is an assistant editor. He writes on a range of subjects including crime, politics, sports, court, art, culture and heritage.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો