એપશહેર

10% EWS અનામત ચાલુ જ રહેશે, તેનાથી બંધારણની કોઈ જોગવાઈનો ભંગ નથી થતો: સુપ્રીમ

10 Percent EWS: પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં થઈ હતી આર્થિક રીતે નબળા વર્ગને અનામત (10% EWS Quota) આપવાની શરુઆત, 2019માં કેન્દ્ર સરકાર પણ કાયદો લાવી.. જોકે, આર્થિક અનામત બંધારણ સાથે છેતરપિંડી સમાન હોવાની દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધમાં થઈ હતી દલીલ, પરંતુ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ દલીલોને નકારી દેતા EWSને યોગ્ય ગણાવ્યું છે.

Authored byનવરંગ સેન | I am Gujarat 7 Nov 2022, 12:11 pm
નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે આર્થિક રીતે નબળા વર્ગને અપાયેલી 10 ટકા અનામતને (EWS Reservation) યોગ્ય ગણાવી છે. આ અનામત સરકારી નોકરીઓ તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતની (Chief Justice India Uday Umesh Lalit) આગેવાનીમાં પાંચ જજોની બેન્ચે આજે આ મામલે જણાવ્યું હતું કે EWSથી બંધારણની અનામતને લગતી મૂળભૂત જોગવાઈનો કોઈ ભંગ નથી થતો. આ બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ. રવિન્દ્ર ભાટ, બેલા ત્રિવેદી તેમજ જે.બી. પારડીવાલા પણ સામેલ હતા.
I am Gujarat supreme court
જાન્યુઆરી 2019માં પાર્લામેન્ટમાં EWS માટે ખરડો લાવવામાં આવ્યો હતો


સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, બંધારણમાં EWS માટે કરાયેલો 103મો સુધારો યોગ્ય છે, અને તેનાથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ નથી થતો. જસ્ટિસ બેલા ત્રિવેદીએ નોંધ્યું હતું કે, અનામત નીતિ પર ફેરવિચારણા કરવાની જરુર છે, અને તેનો યોગ્ય સમયગાળો પણ હોવો જોઈએ. સંસદમાં જાન્યુઆરી 2019માં 103મા બંધારણીય સુધારાને મંજૂરી આપવામાં આવી હતી.

સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અત્યારસુધી દલિત, આદિવાસી તેમજ OBC સમુદાયને અનામત આપવામાં આવતું હતું. જોકે, 2019માં કરાયેલા સુધારા બાદ EWSનો અમલ શરુ થયો હતો. ગુજરાતમાં તેને પાટીદાર આંદોલન બાદ પહેલાથી જ લાગુ કરી દેવાયું હતું. સુપ્રીમ કોર્ટે તેના પર પોતાના ફેસલામાં કહ્યું હતું કે 10 ટકા EWSથી અન્ય કેટેગરીને અસર નહીં થાય.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાનોમાં અન્ય અનામત વર્ગને અસર ના થાય તે માટે 2.1 લાખ વધુ બેઠકો ઉમેરવા પણ મંજૂરી આપી છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, EWS દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપી નાગરિકોને આર્થિક ન્યાય આપવાની બંધારણની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

EWS વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનારા લોકોની દલીલ હતી કે આર્થિક આધાર પર કોઈને અનામત ના આપી શકાય. તેમણે સવર્ણ વર્ગને અનામત આપવાની બાબતને બંધારણ સાથે છેતરપિંડી સમાન પણ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2019માં EWS માટે ખરડો લાવી હતી જેને સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે તેનો અમલ શરુ કર્યો હતો.

ગુજરાત જેવા રાજ્યમાં પણ EWS અમલી છે, પરંતુ રાજ્ય સરકારો માટે તે ફરજિયાત નથી. તેની જોગવાઈઓ અનુસાર વાર્ષિક 8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારનો વ્યક્તિ EWSનો લાભ ઉઠાવવા પાત્ર ઠરે છે. તેની અન્ય જોગવાઈઓ પર નજર કરીએ તો, 5 એકરથી વધુ ખેતીલાયક જમીન અને શહેરી વિસ્તારોમાં 100 વારની જમીન તેમજ 1 હજાર ચોરસ ફુટથી વધુનું મકાન અને ગ્રામ્ય વિસ્તારોમાં 200 વાર જમીન પર મકાન ધરાવતા લોકોને તેનો લાભ નથી મળી શકતો.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story