એપશહેર

જયપુર: આમેરના કિલ્લા પર વીજળી પડતાં સેલ્ફી લઈ રહેતા 11નાં મોત

આમેરના કિલ્લા પર આવેલા વૉચ ટાવર ઉપર ચડીને સેલ્ફી લઈ રહ્યા હતા લોકો, આસમાનથી અચાનક આવ્યું મોત

I am Gujarat 12 Jul 2021, 11:41 am
જયપુર: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદ શરૂ થયો છે. હવામાન બદલાતા લોકો બહાર ફરવા માટે નીકળ્યા છે. દરમિયાન રાજસ્થાનના જયપુરમાં આમેરની ટેકરીઓ પર ફરવા ગયેલા લોકો પર વીજળી પડતા 11નાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લોકો આમેરના કિલ્લાના વોચ ટાવર પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના વિવિધ ભાગોમાં વીજળી પડવાના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તર પ્રદેશમાં પણ વીજળીનો કહેર જોવા મળ્યો છે. ત્યાં અલગ અલગ બનાવોમાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે. બિહારમાં પણ વીજળી પડવાના કારણે છ લોકોના મોત નિપજ્યા છે.
I am Gujarat 12


સેલ્ફી લેવા ઉપર ચડયા હતા, વીજળી પડતાં મોત
રવિવારે જયપુરના આમેર કિલ્લા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હવામાન સારું હોવાથી આસપાસના લોકો પિકનિકમાં વરસાદની મજા માણવા આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો સેલ્ફી લેવા માટે ટેકરી પર બનેલા વોચ ટાવર પર ચડ્યા હતા. દરમિયાન જોરદાર ગાજવીજ સાથે આકાશમાંથી વીજળી પડી હતી. જેની ઝપેટમાં આવતા કેટલાક લોકો બેહોશ થઈને નીચે પડી ગયા. એડિશનલ ડીસીપી (ઉત્તર) સુમિત કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, 'મોઠા તળાવની ચારે તરફ ટેકરીઓ છે, જ્યારે આ ઘટના બની ત્યારે પહાડો પર ઘણા લોકો એકઠા થયા હતા, અમે વધુ તપાસ કરી રહ્યા છીએ'
ઉત્તર પ્રદેશમાં ખરાબ મોસમ વચ્ચે વીજળી પડતાં 20 લોકોના મોત, CM યોગીએ વ્યક્ત કર્યો શોક
અકસ્માત પછી નીચે જંગલ વિસ્તારમાં કેટલાક મૃતદેહ મળી આવ્યા છે. આમેર એસપી સૌરભ તિવારીએ જણાવ્યું હતું કે બચી ગયેલા લોકોને શોધવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તિવારીના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા કેટલાક લોકો ખૂબ જ મુશ્કેલીથી જવાબ આપી રહ્યા હતા પરંતુ અમે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. જયપુર પોલીસના જણાવ્યા અનુસાર જંગલમાં દીપડાઓ સહિતના અનેક જંગલી પ્રાણીઓ આ વિસ્તારમાં ફરતા હોય છે, તેથી બચી ગયેલા લોકોને વહેલી તકે શોધવાનું પડકાર છે.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કહેર
માત્ર જયપુર જ નહીં, રવિવારે રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાની ઘટનાઓ બની હતી. કોટા, ઝાલાવાડ અને ધોલપુરમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે શોક વ્યક્ત કર્યો છે.

યુપીમાં વીજળી પડવાથી 40નાં મોતરવિવારે ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં આકાશી વીજળીનો કહેર જોવા મળ્યો હતો.. મળતી માહિતી મુજબ કાનપુર અને આજુબાજુના જિલ્લાઓમાં 18 લોકો, પ્રયાગરાજમાં 13, કૌશંભીમાં 3, પ્રતાપગઢમાં 1, આગરામાં 3 અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કરતાં જિલ્લા વહીવટી તંત્રને પીડિતોનાં પરિવારને યોગ્ય વળતર આપવા જણાવ્યું છે.

Read Next Story