એપશહેર

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા કોરોનાના 20 દર્દીનાં મોત

ઓક્સિજનનું પ્રેશર ઘટી જતાં ગંભીર હાલતમાં રહેલા દર્દીઓના શ્વાસ રુંધાયા, રાજધાનીની અનેક મોટી હોસ્પિટલો ઓક્સિજનના અભાવે કફોડી સ્થિતિમાં

I am Gujarat 24 Apr 2021, 12:42 pm
નવી દિલ્હી: રાજધાનીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા કોરોનાના 20 ક્રિટિકલ દર્દીઓના મોત થયા છે. આ ઘટનામાં હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રેશર ઘટી ગયું હતું. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. ડી.કે. બલુજાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, સ્ટોક ખૂટી પડતાં ઓક્સિજનનું પ્રેશર ઘટ્યું હતું. આજે સવારે 10.45 કલાકે પણ હોસ્પિટલમાં 200 દર્દી દાખલ હતા અને ઓક્સિજનનો જથ્થો માંડ અડધો કલાક ચાલે તેટલો જ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
I am Gujarat delhi oxygen crisis
ફાઈલ તસવીર


હોસ્પિટલમાં ગઈકાલે અડધીરાતે ઓક્સિજન રિફીલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં પણ કલાકોનું મોડું થયું હતું. સરકાર તરફથી આ મામલે કોઈ મદદ મળી હતી કે કેમ તે સવાલના જવાબમાં હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, દરેકે થાય તેટલા પ્રયાસ કરીશું તેવી વાતો કરી હતી, પરંતુ કોઈએ મદદ નથી કરી. હોસ્પિટલમાં હાલ 200 દર્દી દાખલ છે, જેમાંથી 80 ટકા ઓક્સિજન પર છે, જ્યારે 35 દર્દી આઈસીયુમાં છે.

દિલ્હીની અન્ય હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ છે. સાઉથ દિલ્હીની મૂલચંદ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર તો પોતાની લાચારી વ્યક્ત કરતાં રડી પડ્યા હતા. બીજી તરફ, જયપુર ગોલ્ડ હોસ્પિટલમાં રાતોરાત ઓક્સિજનની કમીને કારણે 20 લોકોના મોત થતાં મૃતકોના પરિજનોએ જોરદાર હંગામો કર્યો હતો. ઓક્સિજનની કમી અંગે હોસ્પિટલે કોઈ આગોતરી જાણ ના કરી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.

દિલ્હીના મૂલચંદ હોસ્પિટલ તરફથી શનિવારે સવારે પીએમ મોદી, સીએમ કેજરીવાલ તેમજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મદદ માગવામાં આવી હતી. હોસ્પિટલના ડિરેક્ટર મધુ હાંડાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારી પાસે અડધો કલાક જ ચાલે તેટલો ઓક્સિજન બચ્યો છે.

બીજી તરફ, લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં પણ છેલ્લા 4-5 દિવસથી તમામ બેડ ફુલ છે. કેટલાક ક્રિટિકલ પેશન્ટને એક મિનિટનો 40-50 લિટર ઓક્સિજન જોઈએ છે. જોકે, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હોવાનું તેના એમડી ડૉ. સુરેશ કુમારે કબૂલ્યું હતું. રાજધાનીની મહારાજા અગ્રસેન હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય કરવાની માગ સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હોસ્પિટલની દલીલ છે કે હાલ ત્યાં 106 સિરિયસ દર્દીઓ એડમિટ છે. જો ઓક્સિજન તરત ના મળ્યો તો આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરવા પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો