અનિર્બાન ચૌધરી/મિહિર મિશ્રા: દેશમાં બે મહિનાના લોકડાઉન બાદ આજે ડોમેસ્ટિક એર ફ્લાઈટ્સ ફરી શરુ કરાઈ છે. જોકે, પહેલા જ દિવસે અનેક મુસાફરોને પારાવાર પરેશાની ભોગવવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના સૌથી વ્યસ્ત એવા દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી જ 200 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. આ ઉપરાંત, ટેકનિકલ સમસ્યા, એરપોર્ટ પહોંચવા માટે વાહન ના મળવાથી લઈને ચેક-ઈન માટે લાંબી લાઈનોથી મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયાં હતાં.મોટાભાગના એરપોર્ટ્સ પર આજે ફ્લાઈટ્સ શરુ થઈ ગયા હોવા છતાં સન્નાટો જોવા મળ્યો હતો. ઘણા પેસેન્જર્સ પીપીઈ કિટ પહેરીને પ્લેનમાં સવાર થયા હતા. મોટાભાગના લોકોએ તો પોતે બે મહિનાથી કોઈ સ્થળે ફસાઈ ગયા હોવાથી હોમટાઉન પરત ફરવા માટે મુસાફરી કરી હતી. જેમાંના અનેક લોકો તો સ્ટુડન્ટ્સ કે પછી ટ્રેઈની હતા. એરપોર્ટ પર પણ પેસેન્જર્સને માસ્ક, ગ્લોવ્સ, સેનેટાઈઝર પૂરા પાડ્યા હતા.સુરત અને વડોદરાથી પણ આજે કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. ઈન્ડિગોએ વડોદરા અને મુંબઈ વચ્ચેની ફ્લાઈટ આજ અને આવતીકાલ માટે કેન્સલ કરી લીધી છે. જ્યારે, સ્પાઈસ જેટે તો સુરતથી દિલ્હી, મુંબઈ અને જયપુર જનારી ત્રણેય ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી. ઈન્ડિગોની મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ પણ આજે કેન્સલ થઈ હતી.દેશમાં બે મહિના બાદ આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ થઈ છે. જોકે, આજની તારીખના થોડા દિવસ અગાઉના સમયગાળા માટે એડવાન્સમાં ટિકિટ બુક કરાવનારા લોકો ટ્રાવેલ નહોતા કરી શક્યા. તેવામાં તેમણે હાલના સંજોગોમાં ડબલ ભાડું આપીને ટિકિટ ખરીદવાની ફરજ પડી હતી. કેટલાક લોકો તો ફ્લાઈટ ઉપડવાના ચાર-પાંચ કલાક પહેલા જ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.બીજા શહેરોમાં કામ કરતા ઘણા પ્રોફેશનલ્સ પણ પોતાના વૃદ્ધ મા-બાપ પાસે તેમજ ફેમિલી પાસે જવા પહેલી જ ફ્લાઈટ પકડીને હોમટાઉન ઉપડી ગયા હતા. સરકારી નિયમો અનુસાર, ફ્લાઈટ માટે વેબ ચેક-ઈન, આરોગ્ય સેતુ એપ, એરપોર્ટ પર વહેલા પહોંચવું, એક જ બેગ રાખવા સહિતના અનેક નિયમો પણ લોકોએ ફોલો કરવા પડ્યા હતા. આ સિવાય કેટલીક રાજ્ય સરકારોએ પણ બહારથી આવેલા પેસેન્જરો માટે ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત બનાવતા તેમના માટે ઈ-પાસની પણ વ્યવસ્થા કરવી પડી હતી.ગઈકાલે મુંબઈ, હૈદરાબાદ તેમજ કોલકાતા એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસીઓને એન્ટ્રી નહીં અપાય તેવી ચિમકી ઉચ્ચારાતા ઘણી ફ્લાઈટ્સના સમયપત્રક ખોરવાયા હતા. જેના કારણે એરલાઈન્સોએ રાતોરાત નિયમોમાં ફેરફાર કરવા પડ્યા હતા, અને ફ્લાઈટ કેન્સલ થઈ હોવાના પેસેન્જર્સને મેસેજ કરવા પડ્યા હતા. જોકે, ઘણાને તેનો મેસેજ ના મળતા એરપોર્ટ પર હોબાળો પણ થયો હતો. કેટલાક શહેરોમાં તો થોડાક દિવસો માટે ઉડાનો જ રદ્દ કરવામાં આવી છે.આ ઉપરાંત, આરોગ્ય સેતુ એપ દરેક પેસેન્જર માટે ફરજિયાત બનાવાઈ હતી, પરંતુ કેટલાક લોકો પાસે સ્માર્ટફોન જ ન હોવાથી એરપોર્ટનો સ્ટાફ પણ મૂંઝવણમાં મૂકાયો હતો. તેના લીધે ઘણી જગ્યાએ લાઈનો અટકી ગઈ હતી, અને ફ્લાઈટ ઉપડવામાં મોડું પણ થયું હતું. આવા પેસેન્જર્સ પાસેથી ફિઝઇકલ ફોર્મ ભરાવવામાં સ્ટાફને પણ નાકે દમ આવી ગયો હતો.ઈન્ડિગોએ આજે 230 ફ્લાઈટ્સ ઓપરેટ કરી હતી, જે તેના નોર્મલ શિડ્યૂલના છઠ્ઠા ભાગની પણ નથી. ગયા સપ્તાહે તેને જેટલું અપ્રુવલ મળ્યું હતું તેના પણ માંડ 50 ટકા ફ્લાઈટ્સ જ આજે ઓપરેટ કરાઈ હતી. વિસ્તારાએ આજે 20 ફ્લાઈટ ઓપરેટ કરી હતી.