એપશહેર

સાઉદીમાં ભીખ માગવા મજબૂર બનેલા 450 બેકાર ભારતીયો જેલના હવાલે

કોરોનાને કારણે કામ મળતું બંધ થઈ ગયું, ભારત સરકારને કરી મદદની અપીલ

I am Gujarat 19 Sep 2020, 2:38 pm
હૈદરાબાદ: કોરોના જ્યારથી શરુ થયો છે ત્યારથી વિદેશમાં મજૂરીનું કામ કરવા ગયેલા ભારતીયોની માઠી દશા શરુ થઈ છે. સાઉદી અરેબિયામાં કામ કરતા 450 જેટલા ભારતીયો પાસે કોઈ કામધંધો ના રહેતા તેમની પાસે પેટ ભરવા માટે ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો. જોકે, આ દેશમાં ભીખ માગવી પણ ગુનો હોવાથી રસ્તા પર ભીખ માગતા ભારતીયોને ડિટેન્શન સેન્ટરમાં કેદ કરાયા છે.
I am Gujarat Saudi indians
ભારતીયોનો આક્ષેપ, પાકિસ્તાન સહિતના દેશોએ તેના નાગરિકોને પરત જવામાં મદદ કરી પરંતુ ભારતે નહીં


તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપી, કાશ્મીર, બીહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના વતની એવા આ કામદારોની વર્કપરમિટ પણ ખતમ થઈ જતાં તેમને ભીખ માગવાની ફરજ પડી હતી. આ લાચાર ભારતીયોનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમનો એકમાત્ર ગુનો ભીખ માગવાનો છે. આ તમામ લોકોને અત્યારે જેદ્દાહ સ્થિત ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે.

આ પણ વાંચો: કોરોનાને કારણે ચાર મહિનામાં 66 લાખ લોકો બેરોજગાર બન્યા

જે 450 ભારતીયો પકડાયા છે, તેમાંથી 39 યુપીના છે, જ્યારે 10 બિહારના, પાંચ તેલંગાણાના અને ચાર-ચાર મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરના તેમજ કર્ણાટકના જ્યારે એક આંધ્ર પ્રદેશનો છે. વિડીયોમાં કેટલાક ભારતીયો રડતા-રડતા કહી રહ્યા છે કે તેમને અસહ્ય માહોલમાં કેદ રખાયા છે. તેમમે કોઈ ગુનો નથી કર્યો, નોકરી ના હોવાથી પેટ ભરવા તેમની પાસે ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો.

કેટલાક ભારતીયો એમ પણ કહી રહ્યા છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને શ્રીલંકાના લોકો પણ અહીં ફસાયા હતા, પરંતુ ત્યાંની સરકારે તેમની સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ ભારતીયો અહીં ફસાઈ ગયા છે. અહેમદ ઉલ્લાહ ખાન નામના એક સામાજીક કાર્યકરના જણાવ્યા અનુસાર, જે લોકો પાસે વર્ક પરમિટ નથી, તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે.

એક ભારતીયએ રડતા-રડતા આ વિડીયોમાં કહ્યું હતું કે તેની માતાનું મોત થઈ ચૂક્યું છે, અને ભાઈની હાલત ગંભીર છે. તે ભારત પરત ફરવા ઈચ્છે છે. આ મામલે પીએમ મોદી, વિદેશમંત્રી એસ જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંઘ પુરી અને સાઉદી સ્થિત ભારતીય રાજદૂત ઔસફ સૈયદને પણ અપીલ કરાઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કર્યો, ત્યારે ત્યાંથી કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત નહોતો થઈ શક્યો. 17 સપ્ટેમ્બરે પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રએ અહેમદ ઉલ્લાહને ટ્વીટર પર પ્રતિભાવ આપતા ફસાયેલા ભારતીયોની તેમના અને તેમના પરિવારજનોના કોન્ટેક્ટ નંબર સાથે યાદી માગી હતી. કોરોના શરુ થયો ત્યારથી ગલ્ફ દેશમાંથી ભારત પરત આવવા માટે 2.4 લાખ ભારતીયોએ અરજી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર 40 હજાર લોકો જ હજુ પરત આવી શક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો