એપશહેર

નીતિશે ભાજપ સાથે છેડો ફાડી રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, RJD સાથે બનાવશે સરકાર

Bihar Politics: નીતિશના રાજીનામાં સાથે અટકળોનો અંત. આરજેડી, ડાબેરી તેમજ કોંગ્રેસ નીતિશ કુમારને ટેકો આપવા માટે તૈયાર. લાલુની પણ સમગ્ર સ્થિતિ પર નજર, પરંતુ તમામ નિર્ણયો તેજસ્વી યાદવ લઈ રહ્યા છે. જેડીયુ અને આરજેડીની સરકારમાં તેજસ્વી યાદવ ગૃહમંત્રી બને તેવી શક્યતા. વિભાગોની વહેચણીની ડીલ પણ નક્કી હોવાની ચર્ચા. થોડા જ દિવસોમાં શપથ ગ્રહણ કરશે નીતિશ.

Authored byનવરંગ સેન | I am Gujarat 9 Aug 2022, 3:54 pm

હાઈલાઈટ્સ:

  • ખાસ વિશ્વાસુ આરસીપી સિંહની ઓડિયો ક્લિપથી નીતિશ કુમાર ધૂંઆપૂંઆ થયા!
  • રાજીનામું સોંપ્યા બાદ નીતિશ કુમાર ગણતરીના સમયમાં જ ફરી સીએમ બને તેવી શક્યતા
  • ભાજપનો દાવો, નીતિશને ના ગમે તેવું કોઈ કામ પક્ષ દ્વારા કરવામાં નથી આવ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat nitish kumar
નીતિશ આજે સાંજે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપે તેવી શક્યતા
પટણા: બિહારમાં જેડીયુ અને ભાજપના ચાર વર્ષ જૂના ગઠબંધનનો આજે અંત આવી ગયો છે. પોતાના જ વિશ્વાસુના ખભે બંદૂક મૂકીને ભાજપ મોટો ખેલ ખેલી રહ્યો હોવાનો અંદેશો આવી ગયા બાદ નીતિશ કુમારે છેલ્લા કેટલાક દિવસોથી શરુ થયેલી રાજકીય હલચલ વચ્ચે આજે પક્ષના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. જેમાં JD(U) એનડીએમાંથી એક્ઝિટ કરશે તેવો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, નીતિશને ટેકો આપવા માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યો તૈયાર છે. નીતિશે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું પણ સોંપી દીધું છે.
બિહારમાં JDU-BJPના છૂટાછેડાનો મુદ્દોઃ સૌથી વધારે ખુશ થશે ચિરાગ પાસવાન!
લાલુ પણ સક્રિય રસ લઈ રહ્યા છે

નીતિશને ટેકો આપવા મામલે આજે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની પણ બેઠક થઈ હતી. જેમાં સર્વસંમતિએ તેજસ્વી યાદવને આ અંગે કોઈપણ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો લાલુ પ્રસાદ યાદવ પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે, પરંતુ તમામ નિર્ણય તેમજ ચર્ચા તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બિહારના સ્પીકર કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ પણ આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં અચાનક આવેલા રાજકીય તોફાન વચ્ચે નીતિશ કુમારના નિવાસસ્થાન પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ભાજપ ગઠબંધન ચાલુ રાખવાની તરફેણમાં

કેન્દ્રિય મંત્રી તેમજ ભાજપના નેતા કૌશલ કિશોરે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેઓ બિહારની હાલની રાજકીય સ્થિતિ વિશે કંઈ કહેવા નથી માગતા, પરંતુ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ભાજપ તરફથી ક્યારેય એવું કંઈ નથી કરવામાં આવ્યું કે જેનાથી વિવાદ સર્જાય અને સાથી પક્ષ સાથેના ગઠબંધન પર તેની અસર પડે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેડી(યુ) પોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે, પરંતુ ભાજપ સીએમના પદે નીતિશ કુમાર યથાવત રહે તેવું ઈચ્છે છે.

મહારાષ્ટ્ર પછી હવે બિહારમાં નવાજૂનીના એંધાણ, નીતિશ આજે સાંજે કરી શકે છે મોટી જાહેરાત
RJDએ તો નીતિશને ઘણા સમયથી 'પલ્ટુરામ' કહેવાનું છોડી દીધું છે!

નીતિશ કુમારના ભાજપ સાથેના મતભેદ ભલે હાલ ખૂલીને બહાર આવ્યા હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની વચ્ચે બધું યોગ્ય રીતે નહોતું ચાલી રહ્યું. બીજી તરફ, તેજસ્વી યાદવ પણ નીતિશની સ્થિતિ જોઈને ફરી સત્તામાં આવવાનો મોકો શોધી રહ્યા હતા. એક સમય હતો જ્યારે તેજસ્વી નીતિશ કુમારને પલ્ટુરામ કહેવાનો એકેય મોકો છોડતા નહોતા. જોકે, એપ્રિલથી જ તેમણે નીતિશની ટીકા કરી હોય ત્યારે પણ તેમને પલ્ટુરામ નથી કહ્યા. હવે નીતિશ કુમારે ભાજપ સાથે સત્તાવાર રીતે છેડો ફાડી દીધો છે ત્યારે આરજેડી અને જેડીયુ વચ્ચે ફરી ગઠબંધન થવાની ઘડીઓ ગણાઈ રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે વિભાગો વેચવાને લઈને પણ સમજૂતી થઈ ચૂકી છે. 2005થી પોતાની પાસે ગૃહ વિભાગ રાખતા નીતિશ આ વખતે તેજસ્વીને ગૃહમંત્રી બનાવે તેવી પણ શક્યતા છે.

નીતિશે પોતાની સાથે ઉદ્ધવવાળી ના થવા દીધી

રાજકીય પંડિતોનું માનીએ તો, મહારાષ્ટ્રમાં જેમ ઉદ્ધવ ઠાકરેના એક સમયના ખાસ એકનાથ શિંદેના ખભે બંદૂક મૂકીને ભાજપે સરકારને ઘરભેગી કરી તે જ રીતે બિહારમાં નીતિશના ખાસ આરસીપી સિંહને આગળ ધરીને જેડીયુમાં તોડફોડ કરીને નીતિશને ઘરભેગા કરવાનો ભાજપનો પ્લાન હતો. જોકે, નીતિશ કુમાર પહેલાથી જ સ્થિતિ પામી ગયા હતા. વળી, મહારાષ્ટ્રની ઘટના બાદ તો તેઓ વધુ સાબદા થઈ ગયા હતા. આરસીપી કેન્દ્ર સરકારમાં જેડીયુના ક્વોટાથી સ્ટીલ મંત્રી પણ હતા. જોકે, નીતિશે તેમની રાજ્યસભાની ટર્મ ના વધારતા સિંહને મંત્રીપદું છોડવાની ફરજ પડી હતી. એવી પણ ચર્ચા છે કે, નીતિશ કુમાર સુધી આરસીપી સિંહની ભાજપના એક નેતા સાથેની વાતચીતનો ઓડિયો પણ પહોંચાડવામાં આવ્યો હતો, જેનાથી નીતિશ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો