એપશહેર

‘મને લાગતુ હતું કે જાણે જીવ જતો રહેશે...’, એનેસ્થેસિયા વગર સર્જરી થઈ તે મહિલાઓએ યાદ કર્યો ભયાનક દિવસ

લગભગ એક મહિના પહેલા બિહારમાં ચોંકાવનારી અને સ્વાસ્થ્ય તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા કરતી ઘટના બની હતી. અહીં લગભગ 24 મહિલાઓની ટ્યુબેક્ટોમી સર્જરી કરવામાં આવી હતી, પરંતુ સર્જરી સમયે તેમને એનેસ્થેસિયા આપવામાં નહોતુ આવ્યું. આ મહિલાઓ સર્જરી વખતે સંપૂર્ણપણે હોશમાં હતી. મહિલાઓ માટે તે પીડા અસહ્ય હતી. હજી પણ તેમના ઘા રુઝાયા નથી.

Authored byManoj Chaurasia | Edited byZakiya Vaniya | TNN 6 Dec 2022, 9:56 am
અલૌલી- આપણને એક સામાન્ય કાપો વાગી જાય તો ચીસ નીકળી જાય છે, તેવામાં તમે એ મહિલાઓની પીડાની કલ્પના પણ નહીં કરી શકો જેમની ટ્યુબેક્ટોમીની સર્જરી એનેસ્થેસિયા વગર કરવામાં આવી. વિચાર માત્રથી કંપારી છુટી જાય તેવી સ્થિતિનો તેમણે સામનો કર્યો હશે. પરંતુ દયામણી દેવી નામના પીડિત મહિલા જણાવે છે કે, બ્લેડ જ્યારે મારા શરીર પર મૂકવામાં આવી તે અનુભવ અને તે પીડા થોડા સમયમાં જતી રહેશે, પરંતુ મારા બાળકો બેરોજગાર ફરે તે તકલીફ નહીં ભૂલી શકાય.
I am Gujarat bihar
24 મહિલાઓની એનેસ્થેસિયા વગર કરવામાં આવી હતી સર્જરી.


સરકારી દવાખાનામાં એનેસ્થેસિયા વગર કરી નાખી સર્જરી, મહિલાઓની આપવિતી સાંભળીને કંપારી છૂટી જશે
પોતાના બે મહિનાના દીકરાને ખોળામાં લઈને બેઠેલા 30 વર્ષીય દયામણી દેવી જણાવે છે કે, હું નથી ઈચ્છતી કે મારા બાળકો મજૂરી કરે. મારા પતિ હરિયાણામાં મજૂરી કરે છે અને મહિને લગભગ 15000 રુપિયા કમાય છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા બિહારના ખાગરિયા જિલ્લામાં આવેલા અલૌલી બ્લોકમાં 24 મહિલાઓની ટ્યુબેક્ટોમી કરવામાં આવી હતી, પરંતુ સર્જરી સમયે એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. આ મહિલાઓ સર્જરી દરમિયાન ભાનમાં હતી. આમાંથી મોટાભાગની મહિલાઓ ત્રણથી લઈને પાંચ બાળકોની માતા છે.

આ ઘટના સામે આવી પછી લોકોમાં રોષ ભરાયો હતો અને સ્વાસ્થ્ય વિભાગ સામે પ્રશ્નો ઉઠ્યા હતા. જિલ્લા તંત્રએ તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ ખાસ કોઈ કાર્યવાહી હજી સુધી થઈ નથી. સ્વાસ્થ્ય વિભાગના એક કર્મચારીનો દાવો છે કે, એનેસ્થેસિયાનો ઉપયોગ થયો હતો પરંતુ અમુક મહિલાઓ પર તેની અસર નહીં થઈ હોય, કારકણે પ્રત્યેત વ્યક્તિના શરીરનું મિકેનિઝમ અલગ હોય છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જ્યારે દયામણી દેવીનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, મારા બાળકોની ખુશી આગળ મારી પીડા કંઈ જ નથી. મારા જીવનમાં સૌથી વધારે મહત્વ મારા બાળકોનું છે. નોંધનીય છે કે મોટાભાગની મહિલાઓએ બાળકોના જન્મને રોકવા માટે આ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. કારણકે તેમના પતિ મોટાભાગે મજૂરીકામ કરે છે અને પરિવારની આવક મર્યાદિત છે.

દયામણી દેવી તે અનુભવ યાદ કરતાં કહે છે કે તેમણે બે વાર અસહ્ય પીડાનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તો ડોક્ટરે સર્જરી કરી ત્યારે અને પછી ટાંકા લીધા હતા ત્યારે. દયામણી દેવી જણાવે છે કે, મને ખૂબ પીડા થતી હતી. અને ડોક્ટરોએ સર્જરી વખતે શિખાઉ નર્સોને સાથે રાખી હતી. માત્ર દયામણી દેવી જ નહીં, તમામ મહિલાઓ માટે આ અનુભવ અત્યંત પીડાદાયક હતો. 26 વર્ષીય પૂજા કુમારી તે સર્જરીનું નામ સુદ્ધા સાંભળીને ગભરાઈ જાય છે. પૂજા જણાવે છે કે, હું 100 ટકા ભાનમાં હતી. કાપો મૂક્યો, ટાંકા લીધા..આ તમામ પ્રક્રિયા હું અનુભવી શકતી હતી પણ હું લાચાર હતી.

કુમારી પ્રતિમા બે દીકરીઓની માતા છે. જ્યારે તેના પરિવારમાં દીકરાનો જન્મ થયો તો તેણે ટ્યુબેક્ટોમીનો નિર્ણય કર્યો. પ્રતિમા જણાવે છે કે, હું નાનો પરિવાર ઈચ્છતી હતી. પણ મને લાગે છે કે આ જે ઘટના બની તે હંમેશા મારી સાથે રહેશે. હું તે ભૂલી નથી શકતી. મને તો એ નથી સમજાતું કે હું બચી કેવી રીતે ગઈ. હું અત્યારે મારા માતા-પિતાના ઘરે છું. કારણકે હજી પણ ઘાવ છે અને સારવાર ચાલી રહી છે. મારા પતિ ખેડૂત છે.

35 વર્ષીય કુમકુમ દેવી જણાવે છે કે, જ્યારે સર્જને નસ ખેંચી ત્યારે મને અસહ્ય દુખાવો થયો હતો. મને લાગ્યું કે હું કદાચ હવે મરી જ જઈશ. હું 3 બાળકોની માતા છું. ગરીબ માણસ વધારે બાળકોને કેવી રીતે ઉછેરે? પૂજા દેવી પણ પીડિત મહિલા છે. તે જણાવે છે કે, હું બે બાળકોની માતા છું. મને નાના પરિવારનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. માટે હું આ સર્જરી માટે તૈયાર થઈ ગઈ હતી.

આશા વર્કર મનિષા કુમારી જણાવે છે કે, આ સર્જરી કરાવવા માટે અમારે મહિલાઓને ઘણી સમજાવવી પડતી હતી. પરંતુ હવે જ્યારે આ ઘટના બની છે, અમારું કામ વધારે મુશ્કેલ બની ગયું છે. હવે અન્ય મહિલાઓમાં ડર વધી જશે.
લેખક વિશે
Manoj Chaurasia
Manoj Chaurasia is a senior political journalist having experience of working for top national and international media in a career spanning over 25 years. He loves writing political, offbeat and human-interest stories.... વધુ વાંચો

Read Next Story