એપશહેર

મહારાષ્ટ્ર: તહેવારો ટાણે દરિયાકાંઠેથી હથિયાર ભરેલી બોટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ

રાયગઢ જિલ્લાના દરિયાકાંઠે આવેલા ગામ પાસેથી બીચ પર બે બોટ મળી આવી, જેમાં ત્રણ એકે-47 રાઈફલ તેમજ વિસ્ફોટકો ઉપરાંત કેટલાક દસ્તાવેજો પણ મળ્યા છે. બોટમાં સવાર થઈ કોઈ વ્યક્તિએ અહીં ઘૂસણખોરી કરી છે કે કેમ તેની પોલીસે તપાસ શરુ કરી. ગણેશોત્સવ અને જન્માષ્ટમી પહેલા જ બનેલી આ ઘટનાથી પોલીસ એલર્ટ થઈ.

Authored byનવરંગ સેન | I am Gujarat 18 Aug 2022, 3:43 pm
રાયગઢ: મહારાષ્ટ્રના રાયગઢમાં દરિયાકાંઠેથી હથિયારો ભરેલી બે સંદિગ્ધ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બોટ્સમાંથી 3 એકે-47 રાયફલ અને વિસ્ફોટકો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હરિહરેશ્વર સમુદ્ર તટ પરથી આ બંને બોટ મળી હતી, જેમાંથી એકમાં એકે-47 રાયફલ હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. બોટમાં સવાર થઈ કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં ઘૂસ્યા છે કે કેમ તેની પણ તપાસ શરુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 26/11ના મુંબઈ ટેરર અટેકમાં પણ આતંકવાદીઓ બોટમાં સવાર થઈને જ ભારતની હદમાં ઘૂસ્યા હતા.
I am Gujarat raigad boat with weapons
દરિયાકાંઠેથી 16 મીટર લાંબી એક બોટ તેમજ લાઈફબોટ મળી આવી


ગૃહમંત્રીએ બોટ અંગે કરી મહત્વની વાત

જોકે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બોટ મળવા પાછળ કોઈ આતંકવાદી કનેક્શન હોવાની વાત નકારી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે 16 મીટર લાંબી આ બોટ ઓસ્ટ્રેલિયાના એક નાગરિકની હોવાનું બહાર આવ્યું છે. બોટ મસ્કતથી યુરોપ જઈ રહી હતી ત્યારે તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી. બોટમાં સવાર લોકોને કોરિયાના એક યુદ્ધ જહાજ દ્વારા બચાવી લેવાયા હતા. જોકે, દરિયો તોફાની હોવાથી બોટને પકડી નહોતી શકાઈ, અને તે વહેતી-વહેતી મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ હતી. બોટને હાલ પોલીસે રિકવર કરી છે, અને તમામ તપાસ પૂરી કરવામાં આવશે.

તહેવારો ટાણે જ મળી બોટ

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના જણાવ્યા અનુસાર, આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં સમુદ્રના રસ્તે આતંકવાદી હુમલાના એલર્ટ અવારનવાર આવતા રહે છે. તેવામાં બોટમાંથી હથિયાર મળવાની ઘટનાને સામાન્ય માની શકાય તેમ નથી. આ કોઈ મોટા આતંકવાદી હુમલાની તૈયારી છે કે કેમ તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આવતીકાલે જનમાષ્ટમી નિમિતે દહીંહાંડીનું ઠેર-ઠેર આયોજન કરાયું છે, જેમાં મોટી જનમેદની ઉમટી પડે છે. આ ઉપરાંત, ગણેશ ચતુર્થી પણ નજીકમાં છે. તેવામાં 720 કિલોમીટર લાંબી સમુદ્ર સીમા ધરાવતા મહારાષ્ટ્રમાં કોઈ આતંકવાદી હુમલાને અંજામ આપવાની તૈયારી ચાલી રહી છે કે કેમ તેવી આશંકાએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

બોટમાંથી કેટલાક દસ્તાવેજ પણ મળ્યા

એનસીપીના નેતા અને રાયગઢના ધારાસભ્ય અદિતિ તટકરેના જણાવ્યા અનુસાર, જિલ્લાના હરિહરેશ્વર અને હરરકોટ ગામ નજીક આ બોટ મળી આવી છે. પોલીસને તેમાંથી કેટલાક દસ્તાવેજ પણ મળ્યા છે. તેમણે માગ કરી છે કે આ મામલાની તપાસ માટે જરુર પડે તો કેન્દ્રિય એજન્સીઓની મદદ પણ લેવી જોઈએ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. એક બોટ હરિહરેશ્વર બીચ પરથી જ્યારે બીજી લાઈફબોટ ભરાડખોલમાંથી મળી છે. બોટમાં કોઈ વ્યક્તિની હાજરી નથી જણાઈ. આ મામલે કોસ્ટ ગાર્ડ અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડને પણ જાણ કરાઈ છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story