એપશહેર

આર્ય સમાજના મેરેજ સર્ટિ.ના આધારે કોર્ટે યુવકને પત્નીની કસ્ટડી આપવાનો ઈનકાર કરી દીધો

સસરાના કબજામાંથી પત્નીને છોડાવી પોતાની પાસે લઈ જવા યુવકે હેબિયર્સ કોર્પસ કરી, પરંતુ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આર્ય સમાજે આપેલું સર્ટિફિકેટ લગ્નનો પુરાવો ગણી શકાય નહીં. કોર્ટે યુવકને કહ્યું કે તેને જો પોતાની પત્નીની કસ્ટડી જોઈતી હોય તો તે કાયદામાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરે, આવી બાબત માટે હેબિયર્સ કોર્પસ ના કરી શકાય.

Edited byનવરંગ સેન | I am Gujarat 6 Sep 2022, 2:27 pm
અલ્હાબાદ: પરિવારની મરજી વિરુદ્ધ ઘણા લોકો ભાગીને આર્ય સમાજમાં લગ્ન કરી તેનું સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલા મેરેજ સર્ટિના આધારે એક યુવકને તેની પત્નીની કસ્ટડી સોંપવાનો ઈનકાર કરી દીધો છે. આ કેસમાં એક યુવકે પોતાની પત્નીને તેના પિતાના કબજામાંથી છોડાવવા માટે હાઈકોર્ટમાં હેબયસ કોર્પસ પિટિશન ફાઈલ કરી હતી. તેણે કોર્ટ સમક્ષ આર્ય સમાજ દ્વારા અપાયેલું મેરેજ સર્ટિ પણ રજૂ કર્યું હતું.
I am Gujarat arya samaj wedding
પ્રતિકાત્મક તસવીર


કોર્ટે આર્ય સમાજ દ્વારા અપાયેલા સર્ટિફિકેટને માનવાનો ઈનકાર કરી દેતા જણાવ્યું હતું કે આર્ય સમાજ કોઈપણ કાયદેસરતા વિના લગ્ન કરાવી તેના સર્ટિફિકેટ ઈશ્યૂ કરે છે. લગ્ન રજિસ્ટર્ડ ના હોવાથી યુવક-યુવતી પરણેલા છે તેવું માની શકાય નહીં. અરજદારના વકીલ ધર્મવીર સિંહે ગાઝિયાબાદ આર્ય સમાજ સોસાયટી દ્વારા સર્ટિ ઉપરાંત રજિસ્ટ્રેશનનું સર્ટિ તેમજ ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે આર્ય સમાજ દ્વારા ઈશ્યૂ કરાતા મેરેજ સર્ટિફિકેટના અનેક મામલા કોર્ટમાં આવે છે, જેની કાયદેસરતા પર ગંભીર સવાલો છે.

માત્ર આર્ય સમાજના સર્ટિફિકેટના આધારે લગ્ન સાબિત ના કરી શકાય તેમ જણાવતા જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીએ જણાવ્યું હતું કે, આર્ય સમાજ સર્ટિફિકેટની યોગ્યતાને ધ્યાનમાં લીધા વિના જ પોતાનામાં રહેલી લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને લગ્નો કરાવે છે. પરંતુ આ સર્ટિફિકેટ કોર્ટમાં ટકવાને પાત્ર નથી.

કોર્ટે પત્નીની કસ્ટડી મેળવવા હેબિયર્સ કોર્પસ પિટિશન કરનારા વ્યક્તિને દિવાની તેમજ ફોજદારી કાયદામાં ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરવાની સલાહ આપતા કહ્યું હતું કે હેબિયર્સ કોર્પસનો ઉપયોગ રેર કેસમાં જ થવો જોઈએ. તેને કોઈ વ્યક્તિ પોતાના હક્ક તરીકે ઉપયોગમાં ના લઈ શકે. કોર્ટે આ ટિપ્પણી કરીને પિટિશનને પણ ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ઘણા કિસ્સામાં પરિવારજનો રાજી ના હોય ત્યારે યુવક-યુવતી આર્ય સમાજમાં વૈદિક વિધિથી લગ્ન કરી લેતા હોય છે. લગ્ન કરાવ્યા બાદ આર્ય સમાજ પોતાના તરફથી તેનું સર્ટિફિકેટ આપતો હોય છે. જોકે, આ સર્ટિફિકેટ પર કોઈ સરકારી અધિકારીની સહિ કે સિક્કા નથી હોતા. તેવામાં તેનું કાયદાકીય રીતે કોઈ મહત્વ નથી. એક્સપર્ટ્સનું માનીએ તો મેરેજને રજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર કરાવી તેનું સર્ટિફિકેટ મેળવવું ખૂબ જ જરુરી હોય છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story