એપશહેર

Hathras gangrape: યુપી પોલીસે પીડિતાના રાતોરાત કરાવ્યા અંતિમ સંસ્કાર, ઉઠ્યા સવાલો

પીડિતાના ઉતાવળે કરાયેલા અંતિમ સંસ્કાર બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

I am Gujarat 1 Oct 2020, 8:29 am
લખનૌઃ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ (Safdarjung hospital)માં કથિત હાથરસ ગેંગરેપ પીડિતા (Hathras gangrape victim)ના મોત બાદ મંગળવારે મોડી રાત્રે જ યુપી પોલીસ (UP Police)તેનું શબ ગામડે લઈને આવી. ગામવાળા અને યુવતીના પરિવારજનો વિનંતીઓ કરતા રહ્યા પરંતુ વિરોધ વચ્ચે પોલીસે રાતોરાત જ યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ભલે અધિકારીઓ કહેતા હોય કે ઘરવાળાની મરજીથી અંતિમ સંસ્કાર થયા છે પરંતુ ઘટના સ્થળના વિડીયો અને તસવીરો સામે આવ્યા છે તેમાં લાગી રહ્યું છે કે પોલીસ બળપૂર્વક અંતિમ સંસ્કાર કરાવી રહી છે.
I am Gujarat congress and aap targeted uttar pradesh police over hathras gang rape victims funeral
Hathras gangrape: યુપી પોલીસે પીડિતાના રાતોરાત કરાવ્યા અંતિમ સંસ્કાર, ઉઠ્યા સવાલો


યુપી કોંગ્રેસ (UP Congress) અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યુપી પોલીસની આ કાર્યવાહી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, "નિર્દયતાની હદ છે આ. જે સમયે સરકારે સંવેદનશીલ થવું જોઈએ ત્યારે સરકારે નિર્દયતાની તમામ હદ તોડી નાખી." આપે પણ અંતિમ સંસ્કારનો વિડીયો ફેસબૂક પેજ પર પોસ્ટ કર્યો છે.


આ મામલે ADG પ્રશાંત કુમારે કહ્યું, "પીડિતાનું ડેડબોડી ખરાબ થઈ રહ્યું હતું માટે ઘરના લોકોની સહમતિ સાથે રાત્રે અંતિમ સંસ્કાર કરવાનું યોગ્ય માનવામાં આવ્યું. વધુમાં હજુ સત્તાવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. તેમાં જે તથ્ય હશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે."

નોંધનીય છે કે, યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે નિર્ભયા જેવું રાક્ષસી કૃત્ય થયું છે જે બાદ રાજકારણ ગરમાયું છે, વિરોધીઓ દ્વારા યુપી સરકારની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. દિલ્હીના જે સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાએ અંતિમ શ્વાસ લીધા, તેની બહાર પ્રદર્શન થયું, કેન્ડલ માર્ચ કાઢવામાં આવી. યુપીમાં રાષ્ટ્રપતિ સાશન લગાવવાની માંગ થઈ રહી છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ તો યુપીમં એક વર્ગ વિશેષ જંગલરાજ હોવાનો આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટી, બસપા, આમ આદમી પાર્ટી, ભીમ આર્મી સહિત તમામ રાજકીય દળ અને સંગઠનો ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાનું નિધન થયા બાદ દિલ્હીથી લઈને લખનૌ અને હાથરમ સુધી આક્રોશ છે. સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ટ્વીટર પર હાથસર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને યુઝર્સ પીડિતાને ન્યાય મળે તેવી માગણી કરી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો