નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ કેન્દ્ર સરકારને વધારાના ફંડની મદદથી 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે સોમવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા આક્ષેપ લગાવ્યો કે રિઝર્વ બેન્કનું બેલ આઉટ પેકેજ કે પ્રોત્સાહન પેકેજ લેવાનો અર્થ એ વાતનો પુરાવો છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પાર્ટીના સ્પીકર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સરકારે એ ન જણાવ્યું કે આ રૂપિયાનો ઉપયોગ ક્યાં થશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “સરકારે પોતાની જાતને પ્રોત્સાહન પેકેજ આપ્યું છે એનો અર્થ એ કે અર્થવ્યવસ્થા સંકટમાં છે. સરકાર પોતાના એક એકમ એટલે કે રિઝર્વ બેન્ક પાસેથી મળતા દાન પર નિર્ભર છે.” તેમણે વધુમાં જણાવ્યું, “આ પૈસાના ઉપયોગને લઈને કોઈ યોજનાનો ખુલાસો નથી કરવામાં આવ્યો. જો તેનો ઉપયોગ પ્રાથમિકતા વિનાના ક્ષેત્ર કે પછી વહીવટી ખર્ચ માટે થશે તો અમે બધા ચિંતામાં મૂકાશુ.” તેમણે ટોન્ટ મારતા કહ્યું કે, “જ્યારે સરકાર પોતે રિઝર્વ બેન્કથી પ્રોત્સાહન પેકેજ લઈ રહી છે તો તે ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા નાના કે લઘુ ઉદ્યોગ જેવા ખરાબ હાલત ધરાવતા ક્ષેત્રોને શું પ્રોત્સાહન પેકેજ આપશે.” ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો સોમવારે નિર્ણય લીધો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં રિઝર્વ બેન્કના ડિરેક્ટર મંડળે રિઝર્વ બેન્કની વિમલ જાલાનના વડપણવાળી સમિતિના પ્રસ્તાવોનો સ્વીકાર કર્યા બાદ આ પગલુ ભર્યુ છે.
RBIએ સરકારને કરી 1.76 લાખ કરોડની મદદ, તેનો ખરેખર શું અર્થ થાય?
TNN 27 Aug 2019, 8:37 am