એપશહેર

આજે ફરી ખેડૂતો-સરકાર વચ્ચે વાતચીત, નીકળશે સમાધાન કે ચાલુ રહેશે આંદોલન?

સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડની વાતચીત, આંદોલનકારી ખેડૂતો 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર મક્કમ, સમાધાન નીકળશે કે આંદોલન ચાલુ રહેશે?

I am Gujarat 30 Dec 2020, 8:40 am
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે આજે (બુધવારે) ફરી વાતચીત થશે. અપેક્ષા છે કે છઠ્ઠીવારની વાતચીતમાં કોઈ નક્કર સમાધાનમાં નીકળી શકે અને ખેડુતો તેમનું આંદોલન સમાપ્ત કરવા માટે સહમત થશે, પરંતુ આંદોલનકારી ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાને રદ કરવા પર મક્કમ છે. ખેડૂત સંગઠનોએ બેઠક પૂર્વે કહ્યું હતું કે, ચર્ચા ફક્ત ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની બાંયધરી આપવા માટેના કાર્યપદ્ધતિ પર હશે.
I am Gujarat 3
ફાઈલ તસવીર


ગોયલ અને તોમર શાહને મળ્યા
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેના છઠ્ઠા રાઉન્ડની વાતચીતના એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રીઓએ આ બેઠકમાં ખેડૂતો સાથેની વાતચીતમાં સરકારના વલણ વિશે ચર્ચા કરી હતી. કૃષિ મંત્રી તોમર, ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથેની વાતચીતમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

કૃષિ મંત્રી તોમારે સોમવારે કહ્યું હતું, કે તેઓ અપેક્ષા રાખે છે કે ટૂંક સમયમાં આ પરિસ્થિતિનો ઉકેલ આવશે. તમામ સંબંધિત મુદ્દાઓનો 'તાર્કિક સમાધાન' શોધવા માટે સોમવારે કેન્દ્રએ 40 કૃષિ સંગઠનોને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ ખેડૂત સંઘોનું પ્રતિનિધિત્વ કરનાર યુનાઇટેડ કિસાન મોરચાએ મંગળવારે કેન્દ્રને પત્ર લખ્યો હતો અને કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનો મુદ્દો અને ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) ની કાનૂની ગેરંટી વાતચીતના એજન્ડાનો એક ભાગ હોવો જોઈએ.

ખેડૂત સંગઠનો પણ મક્કમ
મોરચાએ વધુમાં જણાવ્યું હતું કે, બેઠકના એજન્ડામાં એનસીઆર અને આજુબાજુના ક્ષેત્રોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના સંદર્ભમાં જારી કરાયેલા વટહુકમમાં સુધારણા શામેલ હોવા જોઈએ જેથી ખેડૂતોને દંડાત્મક જોગવાઈઓથી દૂર રાખવામાં આવે. પત્ર દ્વારા મોરચાએ સરકારના વાતચીતના આમંત્રણને ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વીજ સુધારણા બિલ 2020 પાછો ખેંચવાનો મુદ્દો પણ ખેડૂતોના હિતોની રક્ષા માટે વાતચીતના એજન્ડામાં શામેલ હોવો જોઈએ. જણાવી દઇએ કે, 5 ડિસેમ્બરે વાતચીતનો છેલ્લો રાઉન્ડ યોજાયો હતો.

9 ડિસેમ્બરે છઠ્ઠા રાઉન્ડની વાતચીત યોજાવાની હતી
9 ડિસેમ્બરે છઠ્ઠા રાઉન્ડની વાતચીત થવાની હતી, પરંતુ ગૃહમંત્રી શાહ અને ખેડૂત સંગઠનોના કેટલાક નેતાઓ વચ્ચે અનૌપચારિક મીટિંગમાં સફળતા ન મળતાં ચર્ચા રદ કરવામાં આવી હતી. કૃષિ સચિવ સંજય અગ્રવાલે સોમવારે ખેડૂત સંગઠનોને લખેલા પત્રમાં તેમને બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રીય પાટનગરમાં વિજ્ઞાન ભવન માટે આમંત્રણ આપ્યું હતું.

Read Next Story