નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રફાલ ડીલ પર પોતાના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરી હતી. આ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે કેટલીક મહત્વની ફાઈલો ચોરી થઈ હોવાનો મુદ્દો કોર્ટમાં રજૂ કર્યો હતો. હાલમાં જ પાકિસ્તાન સાથે થયેલા તણાવનો મુદ્દો ઉઠાવી સરકારે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના F16નો સામનો કરવા રફાલ જરુરી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આપના સાંસદ સંજય સિંહ તરફથી આ મામલે કરાયેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. હવે માત્ર યશવત સિન્હા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કરેલી અરજી પર સુનાવણી થઈ રહી છે. જેમાં એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, રફાલ સોદા સાથે જોડાયેલી કેટલીક ફાઈલો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ છે. ફાઈલો ચોરાવા પર સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેવો સવાલ સુપ્રીમ કોર્ટે ઉઠાવી તેનો જવાબ આપવા જણાવ્યું હતું. સરકારી વકીલે જણાવ્યું હતું કે, પ્રશાંત ભૂષણ જે દસ્તાવેજોનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ ગયા છે. એટર્ની જનરલ વેણુગોપાલે રફાલ ડીલ પર ગુપ્ત દસ્તાવેજોનો ઉલ્લેખ કરી ઓફિશિયલ સિક્રેટ એક્ટનો હવાલો અપાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સામો સવાલ કર્યો હતો કે જો રફાલ ડીલમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો પણ સરકાર ઓફિશિયલ સિક્રેટ એક્ટનો સહારો લઈ શકે છે? કોર્ટે કહ્યું હતું કે તે એમ નથી કહી રહી કે કોઈ ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ માની લો કે આવું કંઈ થયું હોય તો સરકાર ઓફિશિયલ સિક્રેટ એક્ટનો સહારો ન લઈ શકે.