એપશહેર

Messenger Apps Ban:ભારતે 'ત્રાસવાદીઓના ફેવરિટ' 14 મોબાઈલ મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મુક્યો

Mobile Messenger Apps : જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક ત્રાસવાદીઓ મોબાઈલ મેસેન્જર એપ્સ (14 Mobile Messenger Apps Banned) દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમાં રહેતા હતા અને ભારત માટે જોખમી મેસેજ ફેલાવતા હતા. આ મોબાઈલ મેસેન્જર એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગના ચાઈનીઝ એપ્સ છે. અગાઉ પણ ભારતે ડઝનબંધ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યા છે.

Authored byઅજિત ગઢવી | I am Gujarat 1 May 2023, 2:42 pm
ભારતની સુરક્ષાને જોખમમાં મુકી શકે તેવા કેટલાક મોબાઈલ મેસેન્જર એપ્સ પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. સરકારની દલીલ છે કે અમુક ત્રાસવાદીઓ આ મોબાઈલ મેસેન્જર એપ્સનો ઉપયોગ કરીને પાકિસ્તાન સાથે સંપર્કમાં રહેતા હતા અને ત્યાંથી સંદેશ મેળવતા હતા.
I am Gujarat Mobile Apps.
મોબાઈલ મેસેન્જર એપ્સ પર ફરી એક વખત પ્રતિબંધ ઝીંકાયો છે.


કેન્દ્ર સરકારે કુલ 14 મોબાઈલ મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. ઘણા ત્રાસવાદીઓ આ એપ્સ દ્વારા પાકિસ્તાનથી મેસેજ મેળવતા હતા અને તેને ફેલાવતા હતા. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા આ એપ્સનો ઉપયોગ થતો હતો. કાશ્મીરમાં ત્રાસવાદીઓ પોતાના સમર્થકો સાથે કોન્ટેક્ટમાં રહેવા અને મેસેજની આપલે કરવા માટે આ એપ્સ વાપરતા હતા તેવું કહેવામાં આવે છે.

કયા મોબાઈલ મેસેન્જર એપ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેના નામ હજુ જાહેર નથી થયા. પરંતુ Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threema વગેરે મોબાઈલ મેસેન્જર એપ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય તેમ લાગે છે. અગાઉ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે સરકારે જણાવ્યું હતું કે આ એપ્સથી ભારતની સુરક્ષા સામે ખતરો પેદા થાય છે અને તેનાથી દેશનું ડિફેન્સ જોખમાય છે.

જૂન 2020થી અત્યાર સુધીમાં સરકારે 200થી વધારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. તેમાં ટિકટોક, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, Xender, Camscanner સામેલ છે. આ ઉપરાંત જાણીતી મોબાઈલ ગેમ PUBG મોબાઈલ અને Garena Free Fire પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ત્રાસવાદીઓ દ્વારા ચીનના એપ્સનો વધારે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ભારતીય સત્તાવાળાઓ દ્વારા આંતરી શકાતા નથી અને તેઓ આસાનીથી પાકિસ્તાન સ્થિત પોતાના ઓપરેટર સાથે સંપર્કમાં રહી શકે છે. મોબાઈલ મેસેન્જર એપ્સ દ્વારા ત્રાસવાદીઓ વચ્ચે વર્ષોથી કોમ્યુનિકેશન થાય છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે તે પહેલેથી એક પડકારજનક મુદ્દો રહ્યો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story