ભારતની સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન પીનલ કોડની સમલૈંગિક સંબંધોને ગુનો ઠેરવતી કલમ 377 રદ કરી દીધી છે પરંતુ સમાજમાં ખાસ પરિવર્તન આવ્યું નથી. આજે પણ સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. સમાજ તેમને નીચી દૃષ્ટિએ જુએ છે. ઘણા વાલીઓ કાઉન્સેલિંગની મદદથી તેમના બાળકોના વર્તનને ‘સુધારવાની’ કોશિશ કરે છે. આ કારણે ઘણા સમલૈંગિક લોકો માનસિક આઘાતમાં જીવન જીવે છે. હાલમાં મુંબઈમાં એક દુઃખદ ઘટનામાં 20 વર્ષના છોકરાએ પોતે ગે હોવા બદલ પજવણી થતા જીવન ટૂંકાવી નાંખવાનું પસંદ કર્યુ હતુ. મુંબઈનો રહેવાસી અવિનાશુ પટેલ છેલ્લા ત્રણ મહિનાથી ચેન્નાઈમાં રહેતો હતો. 2 જુલાઈના રોજ તે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ઝેર પીને આત્મહત્યા કરતા પહેલા અવિનાશુએ ફેસબુક પ્રોફાઈલ પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં ગે હોવા બદલ તેની કેવી પજવણી થાય છે તેની વિગતે વાત કરી હતી. તેણે લખ્યું, “બધા જાણે છે કે હું છોકરો છું પરંતુ હું જે રીતે ચાલુ છુ, બોલુ છું એ છોકરી જેવું છે. ભારતમાં લોકોને આ પસંદ નથી. મારા પરિવારને દોષી ન ઠેરવશો, તેમની મદદ કરજો. અમે ગરીબ છીએ. હું મારા માતા-પિતા અને બહેનને ખૂબ જ પ્રેમ કરુ છું. હું મને ટેકો આપવા બદલ તેમનો આભાર માનુ છું. હું ગે જન્મ્યો તે મારો વાંક નથી.” ફેસબુક પોસ્ટમાં તેણે પરિવાર અને મિત્રોને હતાશ કરવા બદલ તેમની માફી માંગી હતી અને તેના ગયા પછી પરિવારને સપોર્ટ કરવાની વિનંતી કરી હતી. તેણે પોસ્ટમાં છેલ્લે લખ્યું કે તેને આશા છે કે આવતા જન્મે તે પરફેક્ટ છોકરા અથવા તો છોકરી તરીકે જન્મ લેશે.
"મારો વાંક નથી કે હું ગે છું," 20 વર્ષના યુવાને આત્મહત્યા કરતા પહેલા લખ્યો ઈમોશનલ મેસેજ
I am Gujarat 10 Jul 2019, 3:04 pm