એપશહેર

ઉદયપુર: કનૈયાલાલના હત્યારાએ પાકિસ્તાનમાં 45 દિવસ ટ્રેનિંગ લીધી હોવાનો ઘટસ્ફોટ

2014-15ના ગાળામાં પાકિસ્તાન ગયો હતો હત્યારો ગૌસ મહોમ્મદ જ્યાં તેણે ટ્રેનિંગ લીધી હતી, કનૈયાલાલની હત્યા કરાઈ તે ગાળામાં પણ હત્યારા પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાની વિગત બહાર આવી. NIAએ ફરિયાદ નોંધીને કેસની તપાસ પોતાના હાથમાં લીધી. કનૈયાલાલની હત્યા આતંકી કૃત્ય હોવાના એંગલથી જ કરવામાં આવશે સંપૂર્ણ તપાસ. આજે તણાવપૂર્ણ સ્થિતિમાં થયા કનૈયાલાલના અંતિમ સંસ્કાર.

Authored byનવરંગ સેન | I am Gujarat 29 Jun 2022, 4:23 pm

હાઈલાઈટ્સ:

  • કનૈયાલાલના ફોનથી થયેલી પોસ્ટ બદલ તેમની સામે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની ફરિયાદ થઈ હતી
  • ધરપકડ બાદ કનૈયાલાલને બીજા દિવસે જામીન પર મુક્ત કરાયા હતા, ત્યારથી તેમને મળી રહી હતી ધમકી
  • કનૈયાલાલે પોતાને ધમકીઓ મળતા પોલીસ ફરિયાદ કરી, પરંતુ પોલીસે રક્ષણ આપવાને બદલે સમાધાન કરાવ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kanhaiya lal last rites
નૂપુર શર્માના સમર્થનમાં કથિત પોસ્ટ કરવા બદલ કનૈયાલાલની હત્યા કરાઈ હોવાનો હત્યારાનો દાવો
જયપુર: સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉદયપુરના કનૈયાલાલ મર્ડર કેસમાં હવે એક નવો જ ખુલાસો થયો છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ યાદવે જણાવ્યું છે કે, આરોપી ગૌસ મહોમ્મદ પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે અને તેણે 2014-15ના ગાળામાં પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં રાજસ્થાન પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ દેખાવો પણ થયા હોવાના અહેવાલ છે. રાજસમંદ જિલ્લામાં થયેલા દેખાવોમાં થયેલી ઝપાઝપીમાં એક કોન્સ્ટેબલ ઘવાયો હોવાના પણ અહેવાલ છે.
NIAની ટીમ ઉદયપુર પહોંચી

બંને ગ્રાહકના સ્વાંગમાં મૃતક કનૈયાલાલની દુકાને ગયા હતા, જ્યાં તેમણે શર્ટ સીવડાવવો છે તેવી વાત કરી હતી. કનૈયાલાલ માપ લઈ રહ્યા હતા ત્યારે એક આરોપી વિડીયો ઉતારી રહ્યો હતો, તે જ વખતે અન્ય એક આરોપી ચાકૂથી કનૈયાલાલ પર તૂટી પડ્યો હતો. બંને આરોપીએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો હતો અને કનૈયાલાલની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આ મામલે NIAએ કેસ દાખલ કર્યો છે અને તેની ટીમ પણ ઉદયપુર પહોંચી ગઈ છે. આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદમાં હત્યા, કાવતરું રચવા ઉપરાંત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

કનૈયાલાલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, હત્યારાને ફાંસી આપવાની માગ
પોસ્ટ ડિલીટ કર્યા બાદ પણ મળી રહી હતી ધમકી

કનૈયાલાલના પરિવારજનોનો દાવો છે કે તેમણે 15 જૂને પોતાને અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે તેના પર કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરવા કહ્યું હતું. પોતાના પર હુમલો થઈ શકે છે તેવા ડરથી કનૈયાલાલે છ દિવસ સુધી દુકાન પણ નહોતી ખોલી. જો પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હોત તો આજે કનૈયાલાલ જીવતા હોત. કનૈયાલાલે નૂપુર શર્માના સમર્થનવાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે, કનૈયાલાલનો દાવો હતો કે તેમનો દીકરો મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો ત્યારે તેનાથી ભૂલથી આ પોસ્ટ શેર થઈ હતી. તેમણે આ પોસ્ટને પણ ડિલીટ કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, કનૈયાલાલે શેર કરેલી પોસ્ટ પર તેમના વિરુદ્ધ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની ફરિયાદ થઈ હતી, જેમાં તેમની 10 જૂને ધરપકડ કરાઈ હતી, અને બીજા દિવસે તેમને જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારબાદ તેમણે પોતાને ધમકીઓ મળી રહી હોવાનું કહી પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી.

રાજસ્થાનમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ

બીજી તરફ, આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કનૈયાલાલની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા સેક્ટર 14માં આવેલા તેમના ઘરેથી નીકળીને અશોકનગર સ્મશાનમાં પહોંચી હતી. કેટલાક લોકો અંતિમયાત્રામાં ભગવા ઝંડા લઈને જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકો હત્યારાને ફાંસી આપવાની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. કનૈયાલાલની હત્યા બાદ ઉદયપુરના સાત પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે, અને રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story