એપશહેર

ગર્ભમાં 7 મહિનાનું બાળક હોવા છતાં એ ડોક્ટરનો ધર્મ નિભાવતા રહ્યાં, કોરોનાથી થયું મોત

પોતાની કે પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વિના ડો. પ્રતીક્ષા વાલ્દેકર સતત દર્દીઓની સેવા કરતા હતા. આ દરમિયાન તેમને કોરોના થઈ ગયો હતો.

TNN 22 Sep 2020, 10:22 pm
નાગપુર: કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના દિવસ-રાત એક કરીને ડોક્ટરો કોઈ યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યા છે. જે રીતે દેશના સૈનિકો દેશની સરહદની સુરક્ષા કરે છે, એવી જ રીતે ડોક્ટરો મહામારી સામે લડી રહ્યા છે. આ જંગમાં ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એક એવું જ નામ છે યુવાન ડોક્ટર પ્રતીક્ષા વાલ્દેકરનું.
I am Gujarat Dr. Pratiksha Waldekar
ડો. પ્રતીક્ષા વાલ્દેકર મહારાષ્ટ્રના અમરાવતીમાં ઈરવિન હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં ફરજ બજાવતા હતાં. (તસવીર ટ્વીટર પરથી સાભાર)


મહારાષ્ટ્રના અમરાવતીમાં ઈરવિન હોસ્પિટલમાં 32 વર્ષના ડો. પ્રતીક્ષા વાલ્દેકર સેવા આપી રહ્યા હતાં. તેઓ 7 મહિનાના ગર્ભવતી પણ હતા. તેમ છતાં તેઓ સતત કામ કરતા રહ્યાં. ડો. પ્રતીક્ષા હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં કામ કરતા હતાં. આ દરમિયાન તેઓ કોરોના વાયરસના સંક્રમણના ઝપેટમાં આવી ગયાં.

32 વર્ષના ડો. પ્રતીક્ષાની તબિયત ખરાબ થઈ ગઈ. તે પછી તેમને નાગપુર શિફ્ટ કરવા પડ્યાં. પરંતુ, તેમની તબિયત સતત બગડતી ગઈ અને ગત 10 દિવસથી તેઓ જિંદગી સામે જંગ લડી રહ્યા હતાં. તેમને ઓક્સીજન પર પણ રખાયાં, પરંતુ કમનસીબે તેમનું નિધન થઈ ગયું. તેમના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું સારવાર દરમિયાન પહેલા જ મોત થઈ ગયું હતું. 20 સપ્ટેમ્બરની રાત્રે પ્રતીક્ષાએ છેલ્લા શ્વાસ લીધાં.

અમરાવતીના ડોક્ટરોએ અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ડો. પ્રતીક્ષા હોસ્પિટલના પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતાં. તેમને ઘણી રાહ જોવા પછી પ્રેગ્નન્સી રહી હતી. ડો. પ્રતીક્ષાએ નાગપુરની GMCH કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. તેમણે સેવાંગીની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાંથી વર્ષ 2006માં એમડી પેથોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

ડો. પ્રતીક્ષાના ભાઈ થંગરાજે કહ્યું કે, તેમની બહેન એક કર્તવ્યનિષ્ઠ ડોક્ટર હતી અને પોતે પ્રેગ્નન્ટ હોવા છતાં દર્દીઓની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે, 'એક પરિવાર તરીકે અમને મોટી ખોટ પડી છે. મારી લોકોને અપીલ છે કે, કોવિડ-19ને હળવાશમાં ન લેશો. મહેરબાની કરીને માસ્ક પહેરો અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.'

હાલમાં ડોક્ટર જીવ રેડીને કામ કરી રહ્યા છે. ગત દિવસોમાં એક ડોક્ટરે પોતાના હાથના પંજાની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સતત પીપીઈ કિટ પહેરવાના કારણે તેમના હાથ સંકોચાઈ ગયા હતા. તેમણે કેપ્શન લખ્યું હતું કે, પીપીઈ કિટ પહેરવાથી નીકળેલા પરસેવાથી હાથ આ રીતે સંકોચાઈ ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો