કોલકાતા: ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહેલા કેજરીવાલને શુભેચ્છા આપતા મમતાએ ભાજપને ટોણો માર્યો છે. દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીની જીત લગભગ સ્પષ્ટ થઈ ચૂકીછે. તેવામાં હવે અરવિદ કેજરીવાલને શુભેચ્છા આપવાનું પણ શરુ થઈ ગયું છે. ભાજપના વિરોધી એવા મમતા બેનર્જી કેજરીવાલને શુભેચ્છા આપનારા સૌ પહેલા સીએમ બન્યા છે.મમતાએ દિલ્હીના પરિણામો પર જણાવ્યું હતું કે, હું અરવિંદ કેજરીવાલને જીતની શુભેચ્છા આપું છું. લોકોએ ભાજપને નકાર્યો છે. માત્ર વિકાસ જ કામ લાગશે. સીએએ, એનઆરસી કે એનપીઆરને લોકો ક્યારેય મત આપવાના નથી. ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી એનઆરસી તેમજ સીએએ ઉપરાંત એનપીઆરનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. આ મામલે તેમણે ભાજપ સામે અનેક રેલીઓ પણ કાઢી છે.આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. સંજય સિંહે જણાવ્યું હતું કે દિલ્હીની જનતાએ જણાવી દીધું છે કે અરવિંદ કેજરીવાલને કોઈ હરાવી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે ભાજપે પાંચ-પાંચ મુખ્યમંત્રી, તમામ સત્તા, તમામ તાકાત અને તમામ નફરત ઓક્યા છતાં પણ દિલ્હીની જનતાએ કેજરીવાલને પ્રચંડ બહુમત અપાવ્યું, અને સમગ્ર દેશમાં સંદેશ આપ્યો કે કામનું જ રાજકારણ ચાલશે.