એપશહેર

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભમાં ગરમીથી 13 લોકોના મોત, હીટસ્ટ્રોકથી 600ની હાલત બગડી

મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું. ભરબપોરે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાંથી 13 જેટલા લોકોનું ગરમીના કારણે મોત થઈ ગયું હતું, જ્યારે 600થી વધુને હીટસ્ટ્રોક લાગતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. લોકોએ આ ઘટના માટે સરકારના અણધડ આયોજને જવાબદાર ઠેરવતા કહ્યું કે, લોકોને ગરમીથી બચાવવાની કોઈ વ્યવસ્થા જ કરાઈ ન હતી.

Edited byવિપુલ પટેલ | TNN 16 Apr 2023, 11:38 pm
મુંબઈઃ નવી મુંબઈના ખારઘરમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ દરમિયાન એક હચમચાવી નાખતી ઘટના બની. સમારંભમાં હાજરી આપવા આવેલી ભીડમાંથી 13 લોકોના ગરમીના કારણે મોત થઈ ગયા. જ્યારે 600થી વધુ લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા. મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, હોસ્પિટલમાં એડમિટ કરાયેલા લોકોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
I am Gujarat Maharashta Bhusan Award
મહારાષ્ટ્રમાં રવિવારે આયોજિત કરાયેલા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભમાં ગરમીના કારણે 13 લોકોના મોત નીપજ્યાં હતા. આ મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થઈ શકે છે.


આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીનિયર સામાજિક કાર્યકર્તા ડો. દત્તાત્રેય નારાયણને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કર્યો. પદ્મ એવોર્ડથી સન્માનિત ડો. નારાયણને અપ્પા સાહેબ ધર્માધિકારના નામથી પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારે ડો. અપ્પા સાહેબ ધર્માધિકારને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના સંસ્કૃતિ મંત્રી સુધીર મુંગંરીવાર અને ડો. ધર્માધિકારીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતથી 20 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો માટે બેસવાની વ્યવસ્થા ખુલ્લામાં કરાઈ હતી અને કોઈ શેડ ન હતો. લોકોને 6 કલાક કરતા વધુ સમય ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું. જેના કારણે ઘણા લોકોને ગરમીની અસર થઈ ગઈ હતી અને તેમાં 13 લોકોના મોત નીપજ્યાં હતા અને 600થી વધુને હીટસ્ટ્રોક લાગી જતા હડકંપ મચી ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, જે લોકોએ કાર્યક્રમ દરમિયાન ગરમીથી સમસ્યા અંગે જણાવ્યું તેમને તાત્કાલિક કાર્યક્રમ સ્થળે બનાવાયેલા 30 મેડિકલ બૂથોમાં રિફર કરાયા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13 લોકોના મોતની થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે, કેમકે ગરમીના કારણે લોકોના મોત થવા લાગતા કાર્યક્રમના સ્થળે નાસભાગ પણ મચી હતી અને તેમાં ઘણા ઘાયલ થયા છે.

ખારઘરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનું આયોજન ઘણું ખરાબ હતું. કેટલાક લોકો તો બે દિવસથી આ મેદાન પર હતા. રવિવારે બપોરે તપતા સૂર્યની નીચે લાખો લોકો કોઈ સુરક્ષા વિના બેઠા હતા. સામાજિક કાર્યકર રાજીવ મિશ્રાએ કહ્યું કે, સરકારના અણધડ આયોજનના કારણે લોકોના મોત થયા છે.

રાજ્યમાં 1995માં શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર સત્તામાં આવી તે પછી મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. શરૂઆતમાં આ એવોર્ડ સાહિત્ય, ખેલ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા લોકોને અપાયો હતો, પરંતુ બાદમાં તે સામાજિક કાર્ય, પત્રકારિતા, જાહેર વહીવટ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્ર માટે પણ આપવાનું શરૂ કરાયું હતું.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો