ભોપાલ: લોકસભા ચૂંટણી દરમિયાન વૈરાગ્યનંદ ગિરી ઉર્ફે મિર્ચી બાબાએ કહ્યું હતું કે, જો દિગ્વિજય સિંહ ચૂંટણી હારશે તો તેઓ જળસમાધિ લઈ લેશે. ચૂંટણીમાં દિગ્વિજય સિંહ હારી ગયા અને હવે વચન મુજબ મિર્ચી બાબા જળસમાધિ લેવા ભોપાલ પહોંચી ગયા છે. જોકે, તેમને એવું કરતા રોકવા માટે મધ્ય પ્રદેશ પોલીસ સતત તેમના પર નજર રાખી રહી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આ પહેલા મિર્ચી બાબાએ 14 જૂને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રવિવારે બપોરે 2.11 મિનિટના મુહૂર્તમાં જળસમાધિ લેવાની મંજૂરી માંગી હતી. જોકે, ભોપાલ કલેક્ટર તરુણ કુમાર પિથોડેએ તેની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો અને પોલીસને બાબાની સુરક્ષા કરવા કહ્યું હતું. જેથી ભોપાલ પોલીસનો મોટો કાફલો ભોપાલના મોટા તળાવ પર શીતલદાસની બગિયા પર તૈનાત કરી દેવાયો હતો. મિર્ચી બાબા રવિવારે બપોરે 2.11 કલાકે નિશ્ચિત મુહૂર્ત પર જળસમાધિ લેવા તળાવે ન પહોંચી શક્યા, કેમકે પોલીસે તેમને હોટલમાંથી બહાર ન નીકળવા દીધા. પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, બાબાને જળસમાધિ લેવા દેવામાં આવશે નહીં અને તેની મંજૂરી પણ નહીં આપવામાં આવે કેમકે આવી મંજૂરી આપવાની કોઈ જોગવાઈ નથી. બાબાના વકીલ માજિદ અલીએ કહ્યું કે, ‘ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં તપસ્યા બાદ બાબા ભોપાલ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તે પછી પોલીસ સતત તેમની પર નજર રાખી રહી છે.’ ઉલ્લેખનીય છે કે, દિગ્વિજયની જીત માટે યજ્ઞ કરતી વખત બાબા વૈરાગ્યનંદે જાહેરાત કરી હતી કે, જો દિગ્વિજય સિંહ લોકસભા ચૂંટણીમાં ભોપાલ બેઠક પરથી નહીં જીતે તો તે (બાબા વૈરાગ્યનંદ) સમાધિ લઈ લેશે. તેમની આ જાહેરાત બાદ નિરંજની અખાડાએ રાજનીતિ કરવાના આરોપમાં તેમને અખાડામાંથી બહાર કરી દીધા. બાબા વૈરાગ્યનંદે રવિવારે ભોપાલમાં કહ્યું હતું કે, પોતાની જાહેરાત મુજબ, તેઓ જળસમાધિ લેવા ઈચ્છે છે, પરંતુ તંત્ર તેની મંજૂરી નથી આપી રહ્યું. તેમણે કહ્યું કે, તેઓ ફરી એકવખત મંજૂરી માગશે. જો 20 જૂન સુધી મંજૂરી નહીં આપવામાં આવે તો હું અનિશ્ચિત ભૂખ હડતાળ પર ઉતરીશ. આ ચૂંટણીમાં દિગ્વિજય સિંહને ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે 3.64 લાખ કરતા વધારે મતોથી હરાવી દીધા, તે પછી બાબા વૈરાગ્યનંદની સમાધિને લઈને ઘણા સવાલ ઉઠવા લાગ્યા હતા અને પછી તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા.