નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં દોષીઓને ફાંસી આપવાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ફ્રેશ ડેથ વોરન્ટ આપ્યું છે જેમાં નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસીના માંચડે લટકાવવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી 2020 કરી દેવામાં આવી છે. અગાઉ ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નિશ્ચિત કરવામાં આવી હતી. હવે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ચારેય દોષીઓને ફાંસી આપવામાં આવશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો ઉલ્લેખનીય છે કે ચાર દોષીમાંથી એકે દયા અરજી દાખલ કરી હતી. તેની અરજી ફગાવી દેવામાં આવી છે. હવે આ પ્રક્રિયા અંતર્ગત નવું ડેથ વોરન્ટ આપવું પડ્યું છે અને ફાંસીની તારીખ લંબાવવી પડી છે.ડેથ વોરન્ટ અપાયા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું છે કે પહેલા કેસમાં તારીખ પર તારીખ પડતી હતી અને હવે ડેથ વોરંટમાં આવું થઈ રહ્યું છે. જ્યાં સુધી દોષીઓને ફાંસીના માંચડે નહિ લટકાવાય મને શાંતિ નહિ મળે. તિહાર જેલના અધિકારીઓએ દોષીઓને મોતની સજા માટે ફરી ડેથ વોરંટ આપવાની અપીલ કરી હતી. એડિશનલ સેશન જજ જસ્ટિસ સતીશ કુમાર અરોરાએ જેલના વ્યવસ્થાપકોને કહ્યું કે તે અદાલતને સાંજે 4.30 સુધી એ જણાવી દે કે નિર્ભયા કેસમાં ચાર દોષીઓમાંથી એક મુકેશ કુમાર સિંહને એ જણાવાયું છે કે નહિ કે રાષ્ટ્રપતિએ તેની દયા અરજી અસ્વીકાર કરી છે.ઉલ્લેખનીય છે કે ચાર અપરાધીમાંથી એક મુકેશ કુમાર સિંહે રાષ્ટ્રપતિને દયા અરજી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અરજીનો અસ્વીકાર કર્યો હતો. અદાલતમાં મુકેશ કુમાર સિંહની અરજી પર સુનવણી હતી. તેમાં તેને ફાંસી આપવા માટે 22 જાન્યુઆરીની તારીખ બદલવાની વિનંતી કરવામાં આવી હતી. હવે તેમને ફાંસી આપવા માટે 1 ફેબ્રુઆરીનો દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
નિર્ભયાના દોષીઓને ફાંસીએ લટકાવાની તારીખ બદલાઈ, હવે 1 ફેબ્રુઆરીએ સજા-એ-મોત મળશે
I am Gujarat 17 Jan 2020, 5:17 pm