નવી દિલ્હી: ભાજપ સાથે મળી બિહારમાં ફરી સરકાર બનાવી લેનારા નીતિશ કુમારને કદાચ ભવિષ્યમાં પક્ષમાંથી જ વિરોધનો સામનો કરવો પડી શકે છે. બિહારમાં નીતિશ કુમારે મહાગઠબંધન તોડીને ભાજપાની સાથે મળી સરકાર તો બનાવી લીધી, પરંતુ પોતાની જ પાર્ટીના નેતાઓને તેઓ હજુ સુધી મનાવી શક્યા નથી. નીતિશના નિર્ણયથી નાખુશ જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે સોમવારે આ અંગે મૌન તોડતા પહેલી વખત નિવેદન આપ્યું છે. યાદવે કહ્યું કે બિહારમાં જે પણ કંઇ થયું તેની સાથે તેઓ સહમત નથી અને તેમણે મહાગઠબંધન તૂટવાનો અફસોસ છે. આજે સંસદ બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં શરદ યાદવે કહ્યું કે જે પરિસ્થિતિ છે, તે અપ્રિય છે. દેશની, બિહારની 11 કરોડ જનતા માટે આ ઠીક નથી. બિહારમાં જે નિર્ણય લેવાયો હું તેની સાથે સહમત નથી, આ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોએ જનાદેશ એટલા માટે નહોતો આપ્યો.’ યાદવના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે હજુ સુધી નારાજ છે અને તેમને મનાવાના એનડીએ નેતાઓના પ્રયાસને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જેડીયુના બીજા નેતા પણ હજુ સુધી ખૂલીને શરદ યાદવની સામે કંઇપણ બોલવાથી બચી રહ્યાં છે. પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગીએ માત્ર એટલું જ કહ્યું કે શરદ તેમની પાર્ટીના મોટા નેતા છે અને પૂરા સમ્માનની સાથે તેમની વાત સાંભળશે. જો કે કેટલાંક જેડીયુ નેતા એમ ચોક્કસ કહી રહ્યાં છે કે શરદ રાજ્યસભામાં ભાજપાના સમર્થનથી જ પહોંચ્યા હતા. શરદે રવિવારના રોજ ટ્વીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાળાનાણાંના મુદ્દાને લઇને નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે વિદેશોમાંથી કાળું નાણું પાછું આવ્યું નથી, જે સત્તાધારી પાર્ટીનું એક મુખ્ય સ્લોગન હતું અને ન તો પનામા પેપર્સમાં સામેલ લોકોના નામમાંથી કોઇન પકડવામાં આવ્યા છે. બીજીબાજુ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ શરદ યાદવ સાથે ફોનમાં વાત કરતાં તેમણે આરજેડીમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. લાલુએ સોશિયલ મીડિયા દ્વારા પણ શરદ યાદવને ભાજપની વિરૂદ્ધ વિપક્ષી દળોની એકતાને મજબૂત કરવાની અપીલ કરી હતી. શરદ યાદવ છેલ્લાં કેટલાંક દિવસોમાં કૉંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂકયા છે.