એપશહેર

મોદી સરકાર વિરુદ્ધ TDP અને YSR કોંગ્રેસ સંસદમાં આજે રજૂ કરશે અવિશ્વાસ પ્રસ્તાવ

Mitesh Purohit | TNN 19 Mar 2018, 8:01 am
નવી દિલ્હીઃ દેશના ઇતિહાસમાં કેટલાય વર્ષો બાદ પહેલીવા બનેલી સ્પષ્ઠ બહુમતની મોદી સરકારની પહેલી પરીક્ષાનો સમય નજીક આવી ગયો છે. ચાર વર્ષ પહેલા વિક્રમી બહુમત સાથે કેન્દ્રમાં સરકાર રચનાર ભાજપના જ સહયોગી TDP દ્વારા મોદી સરકારમાં અવિશ્વાસ દર્શાવાયો છે. આ સાથે YRS કોંગ્રેસ પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે રાજ્યમાં પોતાના ધૂર વિરોધી TDPની સાથે જોવા મળી રહ્યું છે. YRS કોંગ્રેસના વાઈવી સુબ્બા રેડ્ડીએ પાર્ટીના અવિશ્વાસ પ્રસ્તવાને સોમવારે જ સદનની કાર્યસૂચીમાં સમાવવા માટે લોકસભા સચિવાલયને પત્ર લખી માગણી કરી છે. આ પહેલા શુક્રવારે આ બંને પાર્ટીઓ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ સદનમાં પ્રસ્તુત થઈ શક્યો નહતો. આ અંગે સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે તર્ક આપતા કહ્યું કે, ‘સદનમાં થઈ રહેલા હોબાળાને કારણે કાર્યવાહી કરવી શક્ય ન હોવાથી અધ્યક્ષે આ અવિશ્વાસ પ્રસ્તાવને શુક્રવારે નકારી કાઢ્યો હતો. શુક્રવારે રાબેતા મુજબ તમામ વિરોધ પક્ષો સદના વેલમાં ઘુસી જઈને હોબાળો કરતા હતા અને સદનની કાર્યવાહીને અટકાવી દીધી હતી. ત્યારે આજે પણ સોમવારે સદનની કાર્યવાહી થઈ શકશે કે નહીં તે અંગે શંકા છે.’ YRS કોંગ્રેસે સૌથી પહેલા કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ના પાડવામાં આવતા રાજ્યમાં મુખ્ય વિપક્ષમાં રહેલી YRS કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે રાજ્યમાં સત્તામાં રહેલી અને ભાજપના ગઠબંધન NDAમાં એક સહયોગી પાર્ટી હોવા છતા આંધ્રપ્રદેશનો મુદ્દો હોવા ઉપરાંત YRS કોંગ્રેસ સામેની ધૂર હરીફાઇને જોતા TDPના ચંદ્રબાબૂ નાયડુએ ભાજપ સાથેની તેમની મૈત્રી તોડવાની જાહેરત કરી દીધી હતી. જે બાદ ટીડીપીએ પણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. હવે બંને પાર્ટીઓ બીજા પણ વિરોધ પક્ષો પાસેથી આ અવિશ્વાસ પ્રસ્તાવમાં સમર્થન માટે લાગી ગઈ છે. બંધારણીય જોગવાઈ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું આ પ્રસ્તાવને સમર્થન હોવું જરુરી છે. ત્યારે ભાજપનો વિરોધ કરતી તમામ પાર્ટીઓ કોંગ્રેસ, DMK,તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોએ પહેલાથી જ આ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાનું જાહેર કરી દીધું છે. જોકે કેન્દ્ર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બચાવવા માટે સદનમાં તેઓ બહુમત સાબિત કરી દેશે.વર્તમાનમાં લોકસભામાં સભ્યોની સંખ્યા 539 છે. ત્યારે બહુમત સાબિત કરવા માટે 270 સાંસદોની જરુરત છે. જ્યારે એકલા ભાજપ પાસે જ પોતાના 274 સાસંદો છે. આ ઉપરાંત ભાજપને NDA ગઠબંધનમાં રહેલા અન્ય સહયોગી પાર્ટીઓના સાંસદોનું પણ સમર્થન છે. જોકે TDPના 16 સાંસદોએ ભાજપ સાથે છેડો ફાડી લેતા NDAનું સંખ્યાબળ ઓછું જરુર થયું છે પરંતુ બહુતમ સાબિત કરવા માટે પૂરતું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો