એપશહેર

કોરોનાને એક વર્ષ: ચીનથી આવેલી ભારતની પહેલી પેશન્ટની લાઈફ કેટલી બદલાઈ ગઈ?

વુહાનની મેડિકલ કોલેજમાં ભણતી કેરળની યુવતી હતી દેશની સૌ પહેલી કોરોના પેશન્ટ, તેને કોરોના તો મટી ગયો છે પરંતુ હવે તેની સામે એક મોટી અસમંજસ સર્જાઈ છે

Authored byT Ramavarman | TNN 30 Jan 2021, 2:26 pm
ત્રિશુર: દેશમાં કોરોનાની એન્ટ્રી થયાને એક વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. એક સમયે હાહાકાર મચાવનારો આ વાયરસ હવે ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે, પરંતુ દેશની સૌ પહેલી મહિલા પેશન્ટ હજુય તેની અસરમાંથી બહાર નથી આવી શકી. તેને કોરોનામાંથી તો મુક્તિ મળી ગઈ છે, પરંતુ તેના કારણે તેની જિંદગી સાવ બદલાઈ ગઈ છે. આ વાત છે કેરળની એ યુવતીની, જે વુહાનમાં MBBSનો અભ્યાસ કરતી હતી, અને જાન્યુઆરીમાં ભારત પરત ફરી હતી.
I am Gujarat covid first patient of india
પ્રતિકાત્મક તસવીર


આમ તો 2019ના અંતમાં જ કોરોનાની ઓળખ થઈ ચૂકી હતી, પરંતુ જાન્યુઆરીમાં તેણે અચાનક જ માથું ઉંચક્યું હતું, અને ચીનનું વુહાન આખી દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતું. વુહાનની મેડિકલ કોલેજમાં ભારતમાંથી પણ મોટી સંખ્યામાં સ્ટૂડન્ટ્સ ભણવા માટે જાય છે. તેમાંની જ એક હતી કેરળની યુવતી પાર્વતી (નામ બદલ્યું છે). વુહાનમાં કોરોનાએ કાળો કેર મચાવવાનું શરુ કર્યું તે જ અરસામાં એટલે કે 30 જાન્યુઆરી 2020ના રોજ પાર્વતી કેરળ પરત ફરી હતી. જોકે, ચીનથી પરત ફર્યાના થોડા જ સમયમાં તેને તાવ આવવાનો શરુ થયો, અને કોરોનાના બીજા લક્ષણો પણ દેખાતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.

પાર્વતીની ટ્રીટમેન્ટ શરુ કરી તેનું સેમ્પલ લેવાયું, અને તેની ખરાઈ કરવા માટે તેને બાય એર પુણેની લેબમાં મોકલવામાં આવ્યું. આખરે જેનો ડર હતો તે જ થયું. પાર્વતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોનાએ તે વખતે જે ડર ફેલાવ્યો હતો તેનાથી પાર્વતી પોતે અને તેના માતા-પિતા પણ ખૂબ જ ચિંતામાં હતાં. વળી, તે વખતના નિયમો અનુસાર, જ્યાં સુધી કોઈ દર્દીનો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ નહોતો અપાતો. આથી, પાર્વતીને દિવસોના દિવસો હોસ્પિટલમાં કાઢવા પડ્યા, એટલું જ નહીં તેના એટલીબધી વાર ટેસ્ટ કરાયા કે તેને પોતાને જ યાદ નથી કે કેટલીવાર તેના નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા.

હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધા બાદ કોરોનામાંથી મુક્ત બનેલી પાર્વતી થોડા દિવસોમાં ઘરે તો પરત આવી ગઈ હતી, પરંતુ આજે આ ઘટનાને એક વર્ષ થયું હોવા છતાંય જૂના દિવસોને તે ભૂલી નથી શકી. પાર્વતી કોરોના વિશે કોઈની સાથે વાત કરવા માટે તૈયાર જ નથી. તેના પિતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે તેને કોરોના થયો તે વખતે તેની જે સ્થિતિ હતી તે અંગે પાર્વતી કશુંય કહેવા જ નથી માગતી. કોરોનાને કારણે તે હજુય ચીન પરત ફરીને પોતાનો MBBSનો અભ્યાસ ચાલુ નથી કરી શકી. તેને શંકા છે કે જો આવું જ રહ્યું તો તે ખરેખર ડૉક્ટર બની શકશે કે કેમ? હાલ પાર્વતી કોચિંગ ક્લાસ અટેન્ડ કરીને અભ્યાસમાં જેટલું થઈ શકે તેટલું રિકવર કરવા મથી રહી છે, પરંતુ ભવિષ્યને લઈને તે અનિશ્ચિત છે.

કેરળના ત્રિશૂર જિલ્લાના મેડિકલ ઓફિસર ડૉ. કે.જે. રીનાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તે વખતે ચીનમાં ભણતા અનેક સ્ટૂડન્ટ્સ વિન્ટર વેકેશનને કારણે ભારત પરત ફરી રહ્યા હતા. જેથી તંત્રને પહેલાથી જ શંકા હતી જ કે સ્ટૂડન્ટ્સ સાથે કદાચ કોરોના પણ કેરળમાં આવી શકે છે. સ્થિતિને જોતા કેરળમાં સૌ પહેલો કેસ ત્રિશૂર જિલ્લામાં આવે તેવી શક્યતા હતી, પરંતુ બધાને નવાઈ ત્યારે લાગી જ્યારે માત્ર કેરળનો જ નહીં, પરંતુ આખાય દેશનો સૌ પહેલો કોરોનાનો કેસ ત્રિશૂરમાં નોંધાયો.

કેરળ સરકારે શરુઆતમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે જે કામગીરી આરંભી હતી તેના આખાય દેશમાં વખાણ થયા હતા. સઘન ટેસ્ટિંગ, ક્વોરન્ટાઈનના કડક નિયમ તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગને કારણે કેરળમાં એક સમયે કોરોના કાબૂમાં પણ આવી ગયો હતો. આ તે સમય હતો જ્યારે આખાય દેશમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધતા હતા, પરંતુ કેરળમાં ઘટતા હતા. જોકે, આ સ્થિતિ લાંબો સમય ના ટકી, અને બીજા વેવમાં કેરળમાં પણ અકલ્પનિય રીતે કોરોનાના કેસ વધ્યા. હાલ આખાય દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે કેરળમાં પણ નવા કેસોનો આંકડો ઘટ્યો ચોક્કસ છે, પરંતુ કોરોના હજૂય સંપૂર્ણ કાબૂમાં નથી આવી શક્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો