એપશહેર

સદીઓની પ્રતિક્ષા બાદ રામ આવી ગયા, આજથી નવા કાળચક્રની શરૂઆત: નરેન્દ્ર મોદી

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પીએમે ભગવાન રામની ક્ષમા માગતા કહ્યું, 'આપણા પ્રયાસોમાં કંઈક તો કમી રહી હશે કે જેથી આ ઘડી માટે આપણે ૫૦૦ વર્ષ રાહ જોવી પડી'

Authored byનવરંગ સેન | I am Gujarat 22 Jan 2024, 2:48 pm
અયોધ્યા: રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરના પ્રાંગણમાં જનસભા સંબોધતા જણાવ્યું હતું કે સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. આપણા રામલલા હવે તંબૂમાં નહીં પણ હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. પીએમે કહ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની દિવ્યતાની અનુભૂતિ દેશ-વિદેશમાં રહેતા રામ ભક્તોને અનુભવાઈ રહી છે.
I am Gujarat narendra modi
આ અવસર વિજયનો નહીં, વિનયનો પણ છે: નરેન્દ્ર મોદી


૨૨ જાન્યુઆરી ૨૦૨૪નો આ સૂરજ એક અદ્ધભૂત આભા લઈને આવ્યો છે, આજનો દિવસ કેલેન્ડર પર લખાયેલી તારીખ નહીં પણ નવા કાળચક્રનું ઉદ્ગમ છે. રામમંદિરના ભૂમિ પૂજન બાદ રોજેરોજ સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહ વધતો જ રહ્યો છે, મંદિરના નિર્માણ કાર્યને જોઈ દેશવાસીઓમાં રોજ એક નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો છે, તેમ પણ પીએમ મોદીએ કહ્યું હતું. પીએમે કહ્યું હતું કે, આજથી હજાર વર્ષ બાદ પણ આજની તારીખ અને આજની ઘડીની ચર્ચા કરશે, અને આ પળને આપણે જીવી રહ્યા છીએ. આ સામન્ય સમય નથી, કાળના ચક્ર પર સર્વકાલિન શાહીથી અંકિત થઈ રહેલી અમિટ રેખાઓ છે.

PMએ રામ ભગવાનની ક્ષમાયાચના કરી

પીએમે કહ્યું હતું કે આપણા પ્રયાસોમાં કોઈક તો કમી રહી ગઈ હશે કે જેથી આપણે આટલી સદીમાં આ કાર્યને પૂરૂં ના કરી શક્યા, પરંતુ તે કમી આજે પૂરી થઈ છે. ત્રેતાયુગમાં ભગવાન રામ ૧૪ વર્ષ માટે વનમાં ગયા ત્યારે પણ તેમનો વિયોગ અસહ્ય થઈ ગયો હતો, પરંતુ આપણે તો ૫૦૦ વર્ષ સુધી ભગવાન રામથી વિયોગ સહન કરવો પડ્યો છે. ભારતના બંધારણની પહેલી કોપીમાં જ ભગવાન રામનું ચિત્ર છે, પરંતુ બંધારણ અમલમાં આવ્યા બાદ પણ રામ મંદિરના નિર્માણ માટે કાયદાકીય લડાઈ લડવી પડી.

રામ આગ નહીં, ઊર્જાનું સ્વરૂપ

પીએમ કહ્યું હતું કે, કેટલાક લોકો એવું કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે, આવા લોકો ભારતના સામાજિક ભાવની પવિત્રતાને જાણી નથી શક્યા. રામલલાના આ મંદિરનું નિર્માણ ભારતીય સમાજના ધૈર્ય, પરસ્પરની શાંતિ અને સમન્વયનું પણ પ્રતિક છે. આ મંદિરનું નિર્માણ કોઈ આગ નહીં, પરંતુ ઊર્જાને જન્મ આપી રહ્યું છે. રામ મંદિર સમાજના દરેક વર્ગને એક ઉજ્જવળ પથ પર આગળ વધવાની પ્રેરણા લઈને આવ્યું છે. રામ આગ નહીં, પરંતુ ઊર્જાનું સ્વરૂપ છે. રામ વિવાદ નહીં, સમાધાન છે.. રામ ફક્ત આપણા નહીં, સૌના છે. રામ વર્તમાન જ નહીં, અનંતકાળ છે.

આજે માત્ર ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ

પીએમે જણાવ્યું હતું કે આજે જે રીતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આયોજનથી આખુંય વિશ્વ જોડાયેલું છે તેનાથી રામની સર્વવ્યાપકતાના દર્શન થઈ રહ્યા છે. આજે અયોધ્યાનો આ ઉત્સવ રામાયણની તે વૈશ્વિક પંરપરાનો ઉત્સવ બન્યો છે, મંદિરની પ્રતિષ્ઠા વૈસુધૈવ કુટુંબકમના વિચારની પણ પ્રતિષ્ઠા છે.

આજે અયોધ્યામાં માત્ર શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા નથી થઈ, પરંતુ તેના સ્વરૂપમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અતૂટ વિશ્વાસની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે, માનવીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની પ્રાણપ્રતિષ્ઠા છે, અને તેની આજે આવશ્યકતા આખાય વિશ્વને છે. સર્વે ભવન્તુ સુખીન:નો સંકલ્પ આપણે સદીઓથી દોહરાવતા આવ્યા છે, જેને આજે મંદિરના સ્વરૂપમાં સાક્ષાત આકાર મળ્યો છે.

આ મંદિર માત્ર એક દેવ મંદિર નહીં, પણ ભારતની દ્રષ્ટિ, દર્શન અને દિગ્દર્શનનું મંદિર છે. આ મંદિર રામના સ્વરૂપમાં રાષ્ટ્ર ચેતનાનું મંદિર છે. રામ ભારતની આસ્થા અને દેશનો આધાર છે. રામ ભારતની ચેતના, ભારતનું ચિંતન છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું હતું.

મંદિર તો બની ગયું, હવે આગળ શું?

હજાર વર્ષ બાદની પેઢી રાષ્ટ્ર નિર્માણના આજના આપણા કાર્યોને યાદ કરશે તેમ જણાવતા પીએમે કહ્યું હતું કે આપણે આ પવિત્ર સમયથી એક હજાર વર્ષ પછીના ભારતનો પાયો નાખવાનો છે. મંદિર નિર્માણથી આગળ વધીને હવે આપણે સૌ દેશવાસીઓએ સમર્થ, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણની સોગંધ લઈએ છઈએ. રામના વિચાર માનસની સાથે જનમાનસમાં પણ હોય તે જ રાષ્ટ્ર નિર્માણની સીડી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story