એપશહેર

PAKની શાન ઠેકાણે આવી, ભારતની દવાઓ પર મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લીધો

પાકિસ્તાનની સરકારે રોગચાળાના કારણે દવાઓની અછત ટાળવા ભારતથી દવાઓ અને કાચા માલની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો

I am Gujarat 13 May 2020, 3:28 pm
દીપાંજનરોય ચૌધરી, નવી દિલ્હી: કોવિડ-19 અને અન્ય રોગોના કેસમાં વૃદ્ધિને કારણે પાકિસ્તાન ભારત પાસેથી જીવનરક્ષક દવાઓની આયાત કરી રહ્યું છે. ETને મળેલી માહિતી અનુસાર પાકિસ્તાનની સરકારે રોગચાળાના કારણે દવાઓની અછત ટાળવા ભારતથી દવાઓ અને કાચા માલની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
I am Gujarat medicine


પાકિસ્તાનના નેશનલ હેલ્થ સર્વિસિસ (NHS) મંત્રાલયના દસ્તાવેજને ટાંકી તેના અંગ્રેજી દૈનિક 'ડોન'એ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતથી વિટામિન્સ, ડ્રગ્સ સહિતની ચીજોની આયાત કરવામાં આવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના ભારતના નિર્ણયને પગલે ઇમરાન ખાન સરકારે ભારત સાથે તમામ પ્રકારનો વેપાર બંધ કરી દીધો હતો. જોકે, ત્યાંના ફાર્મા ઉદ્યોગે ભારત સાથે પહેલેથી આયાત માટે કરાર થઈ ચૂક્યો હોય એવા ગૂડ્ઝ માટે મંજૂરી આપવાની અપીલ કરી હતી, પણ પાકિસ્તાન સરકારે મચક આપી ન હતી.

થોડા સમય પછી પાકિસ્તાનના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે ભારતની દવાઓ અને દવાઓ માટે વપરાતા કાચા માલ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરી હતી. કારણ કે આગામી સમયમાં પાકિસ્તાનમાં દવાઓ અને ખાસ કરીને જીવનરક્ષક દવાઓની તંગી ઊભી થવાની શક્યતા છે.



સ્થિતિને જોતાં પાકિસ્તાન સરકારે ભારતથી દવાઓ અને તેના કાચા માલની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ઇમરાન ખાન સરકાર સામે રજૂ કરાયેલા NHSના દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર "વડાપ્રધાને NHSના ઈન-ચાર્જ તરીકે ભારતથી આયાત થતી દવાઓનું લિસ્ટ માંગ્યું છે."

'ડોન'ના અહેવાલ અનુસાર NHS સેક્રેટરી ડો. તનવીર અહેમદ કુરેશીના હસ્તાક્ષરવાળો દસ્તાવેજ દર્શાવે છે કે, ટીબી, પોલિયો અને ધનુર સહિતની ઘણી વેક્સિન આયાત કરવામાં આવે છે. વધુમાં B1, B2, B6, B12, D3 અને ઝિંક સલ્ફેટ સહિતના વિટામિન્સ પણ ભારતથી મંગાવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાનને દવાની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના સિનિયર વાઇસ ચેરમેન સૈયદ ફારુક બુખારીએ સોમવારે કરાચીના પ્રેસ ક્લબ ખાતેની ન્યૂઝ કોન્ફરન્સમાં સૂચન કર્યું હતું કે, દેશમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પાકિસ્તાન સરકારે ભારત કે અન્ય કોઈ દેશમાંથી દવા આયાત નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ નહીં.

બુખારીએ કહ્યું હતું કે, "ભારત કે અન્ય કોઈ પણ દેશમાંથી દવાના કાચા માલની આયાત યોગ્ય નિયમન હેઠળ કરવામાં આવે છે. તેની પર ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન તેમજ અન્ય સંબંધિત એજન્સી નજર રાખે છે. પાકિસ્તાનના ફાર્મા ઉદ્યોગ સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનને ખોરવી નાખવાનો કોઈ પણ નિર્ણય કોવિડ-19ની સારવારની પાકિસ્તાનના તબીબોની ક્ષમતા પર અસર કરશે."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો