એપશહેર

સંસદમાં ગુલામ નબી આઝાદને PM મોદીએ કર્યું સેલ્યુટ, તેમના ફોનને યાદ કરીને રડી પડ્યા

I am Gujarat 9 Feb 2021, 12:23 pm
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં 4 રાજ્યસભાના સાંસદોના વિદાય ભાષણ આપી રહ્યાં હતાં. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદના ભારોભાર વખાણ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતની એક પ્રવાસીઓ ભરેલી બસ પર થયેલા એક આતંકવાદી હુમલાને યાદ કરતા રીતસરના રડી પડ્યાં હતાં.
I am Gujarat pm modi salutes ghulam nabi azad in parliament get emotional while remembering his phone
સંસદમાં ગુલામ નબી આઝાદને PM મોદીએ કર્યું સેલ્યુટ, તેમના ફોનને યાદ કરીને રડી પડ્યા



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ આતંકી ઘટના ઘટી ત્યારે ગુલામ નબી આઝાદે રાજનીતિથી ઉપર ઉઠીને કઈ કઈ રીતે મદદ કરી તેને લઈને આખી કહાની સંભળાવી હતી. આ દરમિયાન અનેકવાર પીએમ મોદી સદનમાં રીતસરના રડી પડ્યાં હતાં.પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ દળની સાથો સાથ દેશની પણ ચિંતા કરે છે. તેમની જગ્યા ભરવી કોઈ પણ માટે મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીની રાજનીતિમાં નહોતો ત્યારે ગુલામ નબી આઝાદ અને અમે એકવાર લોબીમાં વાતચીત કરી રહ્યાં હતાં. ત્યારે નજર ટાંપીને બેઠેલા મીડિયાકર્મીઓને આઝાદે મજેદાર જવાબ આપ્યો હતો.

આ દરમિયાન તેમણે અમરનાથની યાત્રાએ જઈ રહેલી ગુજરાતના તીર્થયાત્રીઓથી ભરેલી એક બસ પર જમ્મુ-કાશ્મીર થયેલા આતંકી હુમલાની ઘટનાને યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ આતંકી ઘટનાને લઈને ગુલામ નબી આઝાદ સાથે મારી ફોન પર વાતચીત થઈ હતી. આ વાત કરતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં. તેમણે આઝાદના વખાણ કરતા કહ્યું હતું કે, એક મિત્રના રૂપમાં ગુલામ નબી આઝાદને ક્યારેય નહીં ભુલી શકું.

પીએમ મોદીએ કહ્યું હ્તું કે, કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. પરંતુ એક વાર ગુજરાતના પ્રવાસીઓની એક બસ પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 8 લોકોના મોત થયા હતાં. ત્યારે ગુલામ નવી આઝાદનો મારા પર ફોન આવ્યો હતો. આ કહેતા જ પીએમ મોદીનું ગળુ ભરાઈ ગયુ હતું. તેમણે રૂંધાયેલા સ્વરે વાત આગળ ધપાવતા કહ્યું હતું કે, આઝાદનો આ ફોન માત્ર ઘટનાની સૂચના આપવા માટે નહોતો. એ રાત્રે તેમણે મને ફોન કર્યો અને તેમણે પરિવારની ચિંતા કરે તે પ્રકારની ચિંતા કરી હતી. પદ અને સત્તા તો જીવનમાં આવતી જતી રહે છે પણ તેને કેવી રીતે પચાવવી તે આઝાદ પાસેથી શિખવું જોઈએ તેમ રૂંધાયેલા સ્વરે પીએમ મોદીએ ઈશારો કરીને કહી સંભળાવ્યુ હતું.

તેમણે કહ્યું હતું કે, આ મારા માટે ખુબ જ ભાવુક ઘડી હતી. ગુલામ નબી જ્યારે મારી સાથે ફોન પર આ આતંકી ઘટનાની વાત કરી રહ્યાં હતાં ત્યારે તેમના આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા.પીએમ મોદીએ આ ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે આ ઘટના ઘટી ત્યારે પ્રણવ મુખરજી દેશના રાષ્ટ્રપતિ હતાં. તેમણે સેના દ્વારા એક હવાઈ જહાંજની વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા મૃતકોના મૃતદેહ લાવવા માટેની હતી. આ દરમિયાન ગુલામ નબી આઝાદે એરપોર્ત પરથી જ ફોન કર્યો હતો. તેમણે કોઈ જાણે કે કોઈ પોતાના પરિવારની ચિંતા કરતુ હોય તેવી રીતે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આમ કહેતા જ પીએમ મોદી રડી પડ્યા હતાં. તેનો અનેકવાર બોલવાના પ્રયાસ કર્યા પણ રડવાના કારણે તેઓ બોલી શકતા નહોતા. વારંવાર પાણી પી ને તેઓ પોતાનું ભાષણ આગળ વધારવાનો પ્રયાસ કરતા હતાં પરંતુ પીએમ એ હદે ભાવુક થઈ ગયા હતાં કે, કંઈ જ બોલી શકતા નહોતા. અનેકવાર તો તેમણે ઈશારા દ્વારા પોતાની વાત કહેવી પડી હતી.

પીએમ મોદી ભાવુક થતા ખુદ ગુલામ નબી આઝાદ પણ ગળગળા થઈ ગયા હતાં. આ પળે આખી રાજ્યસભાનો માહોલ ગમગીન બની ગયો હતો. ઉપલા ગૃહમાં હાજર તમામ સાંસદોના ચહેરા ધીર ગંભીર બની ગયા હતાં અને સદનમાં સન્નાટો છવાઈ ગયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો