એપશહેર

9 મેથી રાજધાની, દુરન્તો અને શતાબ્દી સહિતની 50 ટ્રેનો રદ્ કરવાની રેલવેની જાહેરાત

24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસોના રેકોર્ડ, દેશવ્યાપી લોકડાઉનની વધતી જતી માગ વચ્ચે રેલવેએ 50 જેટલી ટ્રેનો રદ્ કરવાનો નિર્ણય લીધો

I am Gujarat 6 May 2021, 8:00 pm
નવી દિલ્હી: ભારતીય રેલવેએ 9મી મેથી 50 જેટલી પેસેન્જર ટ્રેનોને રદ્ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો 30 જૂન સુધી રદ્ રહેશે, જેમાં રાજધાની, શતાબ્દી તેમજ દુરન્તોનો પણ સમાવેશ થાય છે. રેલવેએ પૂરતા પેસેન્જરો ના મળતા હોવાનું કારણ આગળ ધરીને આ ટ્રેનો રદ્ કરી છે. તેમાં મોટાભાગની ટ્રેનો દિલ્હીથી ઉપડે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર સહિતની ટ્રેનો કેન્સલ કરાઈ છે, અને કેટલીક તો હજુ શરુ જ નથી કરાઈ.
I am Gujarat railways announce to cancel 50 passenger trains including rajdhani shatabdi and duranto
9 મેથી રાજધાની, દુરન્તો અને શતાબ્દી સહિતની 50 ટ્રેનો રદ્ કરવાની રેલવેની જાહેરાત


એક સિનિયર અધિકારીએ અમારી સાથી વેબસાઈટ ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જે ટ્રેનોને પેસેન્જર ના મળતા હોય તેને રદ્ કરવાની કવાયતના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, અને છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4.12 લાખ નવા કેસ તેમજ 3,980 લોકોના મોત થયા છે.

રેલવેનો દાવો છે કે, સામાન્ય સંજોગોમાં પણ આ કવાયત દર વર્ષે કરવામાં આવતી હોય છે. હાલ ટ્રેનો કેન્સલ કરવા પાછળનું મુખ્ય કારણ કોરોના હોવાનો પણ રેલવે મંત્રાલય ઈનકાર કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રદ્ કરાયેલી કેટલીક ટ્રેનો હોલીડે સ્પેશિયલ છે, જે હવે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2020માં જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનો બંધ કરી દીધી હતી, જે ઈતિહાસમાં પહેલીવાર થયું હતું. ત્યરાબાદ જુન 2020થી તબક્કાવાર ટ્રેનો શરુ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી પણ રેલવેએ પોતાનું ઓપરેશન સંપૂર્ણ રીતે શરુ નથી કર્યું. ગયા સપ્તાહની સ્થિતિએ 70 ટકા ટ્રેનો જ ઓપરેશનમાં હતી.

હાલ દેશના મોટાભાગના રાજ્યોએ બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવી દીધો છે. વળી, યુપી, એમપી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોવાથી લોકો હવે બને ત્યાં સુધી પ્રવાસ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં મોટાભાગની ટ્રેનો ખાલીખમ દોડી રહી છે. બીજી તરફ, હાલ કેરળ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન તો એમપીમાં કડક નિયંત્રણો સાથેના જનતા કરફ્યૂનો અમલ થઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો