એપશહેર

પેસેન્જર ટ્રેનોના ટાઈમટેબલમાં થશે ધરખમ ફેરફાર, 600 મેલ/એક્સપ્રેસ બંધ કરાશે!

12500 જેટલા સ્ટેશનો પરનો હોલ્ટ રદ્દ થાય તેવી પણ શક્યતા, ટ્રેનોનું સંચાલન સામાન્ય થતાં જ અમલની તૈયારી

I am Gujarat 16 Oct 2020, 10:43 am
નવી દિલ્હી: રેલવે દ્વારા નવું ટાઈમટેબલ બનાવવાની તૈયારી શરુ થઈ ગઈ છે. જેમાં દેશભરમાં 600 જેટલી મેલ/એક્સપ્રેસ ટ્રેનો બંધ કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, નાઈટ હૉલ્ટ સહિત 10,200 જેટલા સ્ટેશનો પણ પડતા મૂકવાની રેલવેની ગણતરી છે. આગામી થોડા મહિનામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
I am Gujarat railways may scrap 600 mail and express trains
પેસેન્જર ટ્રેનોના ટાઈમટેબલમાં થશે ધરખમ ફેરફાર, 600 મેલ/એક્સપ્રેસ બંધ કરાશે!


રેલવેનો પ્લાન 360 જેટલી પેસેન્જર ટ્રેનોને મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં, અને 120 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને સુપર ફાસ્ટની કેટેગરીમાં તબદીલ કરવાનો છે. સૂત્રોનું માનીએ તો, આ સમગ્ર આયોજન ફાઈનલ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, અને જલ્દીથી તેનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે.

રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન વીકે યાદવે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રેલવે સામાન્ય રીતે કામ કરતી થશે ત્યારથી જ નવી સિસ્ટમ લાગુ કરી દેવાશે. હાલની સ્થિતિમાં તેમણે આ અંગેની ચોક્કસ ટાઈમલાઈન આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે રેલવેનું ઓપરેશન સામાન્ય બને તેના પર જ તેનો સમગ્ર આધાર છે. લોકડાઉન શરુ થયું ત્યારે તમામ પેસેન્જર ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું. હાલ તેમાં ધીરે-ધીરે વધારો કરાઈ રહ્યો છે, પરંતુ હજુય ઘણી ટ્રેનો શરુ થવાની બાકી છે.

પેસેન્જર ટ્રેનો તેમજ હૉલ્ટમાં ઘટાડો થવાથી ટ્રેનોની ફ્રિકવન્સી અને ટાઈમ પણ બદલાશે. રેલવે દ્વારા IIT મુંબઈ સાથે મળીને આ પ્લાન બનાવાઈ રહ્યો છે. જેમાં માલગાડીઓને ચલાવવા અને મેઈન્ટેનન્સ માટે અલાયદા સમયના કોન્સેપ્ટને અમલમાં મૂકવા પણ વિચારણા થઈ રહી છે.

રેલવેના નવા પ્લાનથી તેના ખર્ચમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. પેસેન્જર ટ્રેનો ચલાવવામાં રેલવેને મોટું નુક્સાન વેઠવું પડે છે, અને હાલ રેલવે નાણાંકીય બોજ હેઠળ દબાયેલી છે. આવક વધારવાનું તેના પર ભારે દબાણ છે.

સૂત્રોનું માનીએ તો, રેલવે લિંક એક્સપ્રેસ ટ્રેન સર્વિસ પણ બંધ કરી શકે છે. આ સર્વિસમાં કેટલાક કોચને એક ટ્રેનમાંથી છૂટા કરીને તેને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા બીજી ટ્રેન સાથે જોડવામાં આવે છે. લિંક સર્વિસને બદલે હવે રેલવે આવા રુટ પર અલગ ટ્રેન ચલાવવા માટે જ આયોજન કરી રહી છે.

સૂત્રોનું માનીએ તો, રેલવેના ઝીરો બેઝ્ડ ટાઈમટેબલમાં ટ્રેનોના ઉપડવાના અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાના સમયમાં પણ ધરખમ ફેરફાર થશે. આ ટાઈમટેબલનો મુખ્ય હેતુ મોડી રાત્રે કે ખૂબ જ વહેલી સવારે ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો છે. કારણકે, આવી ટ્રેનો પકડવામાં મુસાફરોને ખાસ્સી અગવડ વેઠવી પડતી હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો