નવી દિલ્હીઃ વર્તમાન નાણાકિય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2019)માં રેલવેની પેસેન્જર્સની આવક ગત ક્વાર્ટર કરતા 400 કરોડ રૂપિયા ઓછી થઈ છે. જ્યારે માલ ભાડાથી થતી આવક અંદાજીત 2,800 કરોડ રૂપિયા વધી ગઈ છે. આરટીઆઈ અંતર્ગત પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી મળી છે. અગાઉ બીજા ક્વાર્ટરમાં ભારતીય રેલવેના મુસાફર ભાડાથી આવક પ્રથમ ક્વાર્ટરની તુલનામાં 155 કરોડ રૂપિયા ઘટી હતી. તાજેતરમાં રેલવેએ મુસાફર ભાડામાં વધારો કરાયો છે જેની અસર ચોથા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મધ્ય પ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્ર શેખર ગૌડ તરફથી કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે રેલવેને 2019-2020ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં મુસાફર ભાડાથી 13,398.92 કરોડ રૂપિયા થઈ હતી જ્યારે બીજા ક્વાર્ટર (જૂલાઈ-ડિસેમ્બર)મા ઘટીને 13,243.81 કરોડ રૂપિયા થઈ હતી. ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં મુસાફર આવક વધારે ઘટી ગઈ છે અને 12,844.37 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે, માલ ભાડાથી થતી આવકમાં ત્રીજા ક્વાર્ટરમાં જબરદસ્ત ઉછાળો થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય રેલવેને માલ ભાડાથી 29,066.92 કરોડ રૂપિયા આવક થઈ હતી. જ્યારે બીજા ક્વાર્ટરમાં આ આવક ઘટીને 25,165.13 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં માલ ભાડામાં વધારો થયો છે અને તે 28,032.80 કરોડ રૂપિયા થઈ ગઈ છે.