એપશહેર

વડાપ્રધાન મોદી બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ CDS બિપિન રાવત સાથે લેહ પહોંચ્યા

Tejas Jinger | Agencies 17 Jul 2020, 9:40 am

લેહઃ ગલવાન વેલીમાં ભારત અને ચીન વચ્ચે ઉભી થયેલા તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવણે લેહના પ્રવાસ પર પહોંચ્યા છે. પાછલા દિવસોમાં વડાપ્રધાન મોદી બાદ હવે સંરક્ષણ મંત્રીની મુલાકાતને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજનાથસિંહ સવારે ભારતીય વાયુસેનાના સ્પેશિયલ પ્લેન દ્વારા દિલ્હીથી લેહના કુશક બાકુલા રિંપોશે એરપોર્ટ પર પહોંચ્યા હતા. લેહ એરપોર્ટ પર લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ અને સેનાના 14મી કોરના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

LAC અને સુરક્ષા વ્યવસ્થા પર મોટી બેઠક

રાજનાથસિંહ પોતાના પ્રવાસ દરમિયાન સૈન્ય અધિકારીઓ સાથે LACની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ સિવાય તેઓ હોસ્પિટલમાં દાખલ થયેલા જવાનોની પણ મુલાકાત કરી શકે છે, જેઓ જલવાન વેલીમાં થયેલી ઝપાઝપી દરમિયાન ઘાયલ થયા હતા. રાજનાથસિંહ અહીં સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય અધિકારીઓ સાથે બેઠકમાં પણ ભાગ લેશે.

ફોરવર્ડ વિસ્તારની મુલાકાત લેશે સંરક્ષણ મંત્રી

રાજનાથસિંહ શુક્રવારે ફોરવર્ડ વિસ્તારમાં તૈનાત સેનાના જવાનો સાથે મુલાકાત કરીને તેમના ઉત્સાહમાં વધારો કરશે. જે પછી તેઓ શ્રીનગર માટે રવાના થશે. જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર પણ શ્રીનગરના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે. રાજનાથસિંહ શ્રીનગરમાં સૈન્ય અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સરહદ, LoC અને રાજ્યની આંતરિક સ્થિતિ અંગે વાતચીત કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો