એપશહેર

મહારાષ્ટ્રના શિક્ષકને મળ્યું 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ', ઈનામના 7 કરોડમાંથી અડધી રકમ વહેંચી દેશે

પારિતેવાડીના સરકારી સ્કૂલના શિક્ષકને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ દેશમાં ક્યૂઆર કોડવાળી પાઠ્યપુસ્તક ક્રાંતિ લાવવાના પ્રયાસ માટે ઈનામ મળ્યું છે.

I am Gujarat 5 Dec 2020, 8:42 am
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિક્ષક રણજીતસિંહ દિસાલેને ગ્લોબર ટીચર પ્રાઈઝ 2020 એનાયત કરવામાં આવ્યો છે. 140 જેટલા દેશોના 12,000થી વધુ શિક્ષકોમાંથી તેમની પસંદગી થઈ છે. હંમેશા વહેંચવામાં માનતા રણજીતસિંહ 10 લાખ યુએસ ડોલર (7,38,50,150 રૂપિયા)ના ઈનામની અડધી રકમ સમગ્ર દુનિયાના અન્ય નવ શિક્ષક ફાઈનલિસ્ટોમાં વહેંચી દેશે.
I am Gujarat ranjitsinh


રણજીતસિંહ દિસાલેએ કહ્યું, "કોવિડ-19 મહામારીની મુશ્કેલ સ્થિતિમાં શુક્ષકો તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણનો જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત થાય. શિક્ષકો ખરેખર પરિવર્તન લાવનારા હોય છે. હું સહર્ષ જાહેર કરું છું કે, ટોપ 10માં સ્થાન પામનારા અન્ય ફાઈનલિસ્ટ શિક્ષકોની અદ્વિતિય કામગીરીને સપોર્ટ આપવા માટે હું મારા ઈનામની 50 ટકા રકમ તેમની સાથે સરખા ભાગે વહેંચીશ. હું માનું છું કે આપણે સાથે મળીને આ દુનિયામાં પરિવર્તન લાવી શકીએ છીએ."


મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાડી ગામમાં બાળલગ્નની સમસ્યા હતી. બાળકીઓને શિક્ષણ આપવામાં ઉદાસીનતા જ એકમાત્ર અડચણ નહોતી. અહીં ભાષાની પણ સમસ્યા હતી. આ બાળકીઓ કન્નડ ભાષા જ જાણતી હતી પરંતુ આ ભાષાનાં કોઈ અભ્યાસક્રમ ઉપલબ્ધ નહોતો. રણજીતસિંહે આ સમસ્યાનું સમાધાન તો કર્યું ઉપરાંત 1થી4 ધોરણના તમામ પાઠ્યપુસ્તકોને યૂનિક ક્યૂઆર કોડ્સની સાથે નવેસરથી તૈયાર કર્યા હતા. જેમાં કન્નડ ભાષામાં કવિતાઓ, વિડીયો લેક્ચર્સ, સ્ટોરીઝ અને એસાઈનમેન્ટ્સ એમ્બેડ કરેલા હતા. મહારાષ્ટ્રમાં આવો પ્રયાસ કરનારી આ પ્રથમ શાળા હતા. તેમના પ્રયાસોના પરિણામે શાળામાં 100 ટકા હાજરી રહી હતી. 2016માં આ શાળાને જિલ્લાની સૌથી શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પણ મળ્યો હતો.

રણજીતસિંહ દિસાલેને 2016માં કેન્દ્ર સરકાર દ્વારા 'ઈનોવેટિવ રિસર્ચર ઓફ ધ યર' અવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના બે વર્ષ પછી તેમણે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનનો ઈનોવેટર ઓફ ધ યર અવોર્ડ જીત્યો હતો. માઈક્રસોફ્ટના સત્ય નડેલાના પુસ્તક 'હિટ રિફ્રેશ'માં પણ રણજીતસિંહનો ઉલ્લેખ થયો હતો. તેમણે ભારત અને પાકિસ્તાન, પેલેસ્ટાઈન અને ઈઝરાયલ, ઈરાક અને ઈરાન તેમજ અમેરિકા અને ઉત્તર કોરિયાના યુવાનોને જોડવા માટેના મંચ તરીકે લેટ્સ 'ક્રોસ ધ બોર્ડર્સ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

જો કે, રણજીતસિંહનું સપનું શિક્ષક બનવાનું નહોતું. તેઓ IT એન્જિનિયર બનવા માગતા હતા. પરંતુ એ સપનું પૂરું ના થતાં પિતાએ શિક્ષક બનવા પ્રેર્યા હતા. 32 વર્ષના રણજીતસિંહે 2009થી શિક્ષક તરીકેની કારકીર્દિ શરૂ કરી હતી. 2009માં તેઓ સોલાપુરના પારિતેવાડીની જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કૂલમાં પહોંચ્યા હતા. અહીંની જર્જરિત સ્કૂલમાં તેમની પ્રથમ નોકરીની શરૂઆત થઈ હતી. આ સ્કૂલમાં આદિવાસી સમુદાયની છોકરીઓને શિક્ષણ અપાતું હતું. આ સ્કૂલને જોયા પછી જ તેમણે પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો