એપશહેર

ગુજરાતી પરિવારની દીકરી અરિહા શાહ જર્મન સરકારની કસ્ટડીમાં, ભારતે મહેમાન બનેલા ત્યાંના વિદેશમંત્રી સમક્ષ રજૂ કર્યો મુદ્દો

S Jaishankar With german Counterpart: ભારતના વિદેશમંત્રી એસ જયશંકારે જર્મન સરકારે પોતાની કસ્ટડીમાં લીધેલી બાળકી અરિહા શાહના મુદ્દાને જર્મનીના વિદેશમંત્રી સમક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક માહોલમાં પરત કરવાનો મુદ્દો રજૂ કર્યો છે. આ મામલે ભારતીય એમ્બેસી જર્મની સાથે સંપર્કમાં હોવાની વાત પણ જણાવી છે. એક ઘટના બન્યા બાદ જર્મનીએ બાળકીની કસ્ટડી પોતાની પાસે લઈ લીધી હતી. આ મુદ્દાને તેના માતા-પિતા દ્વારા ભારત સમક્ષ રજૂ કરીને અરિહા શાહને પરત અંગે રજૂઆત કરી હતી.

Edited byTejas Jingar | I am Gujarat 6 Dec 2022, 12:32 pm
Dr S Jaishankar With Annalena Baerbock: નવી દિલ્હીઃ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સોમવારે પોતાના સમકક્ષ જર્મનીના એનાલેના બેયરબોકને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતી પરિવારની દીકરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરિહા શાહ કે જે બર્લિનમાં 'સરકારી સંરક્ષણ કેન્દ્ર'માં રાખવામાં આવી છે અને તેને તેના પરિવાર સાથે મળવા દેવામાં આવી રહી નથી તે અંગે જયશંકરે બેયરબોક સાથે વાત કરી છે. જયશંકરે કહ્યું કે બાળકી પોતાની ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક માહોલમાં રહેવી જોઈએ.
I am Gujarat Ariha Shah Matter
જર્મની સરકારે પોતાની કસ્ટડીમાં લીધેલી અરિહાના માતા-પિતા અને ભારત તથા જર્મનીનાં વિદેશમંત્રી


જર્મનીની સરકારે એક વર્ષ પહેલા અરિહા શાહને તેના માતા-પિતા દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના મુદ્દે તેને પોતાના સંરક્ષણમાં લેવામાં આવી હતી. હવે તેના માતા પિતા બાળકી સાથે મુલાકાત કરવા દેવામાં ના આવી રહી હોવાનો મુદ્દો પરિવારે ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. આ બાળકીના પરિવાર દ્વારા દોઢ વર્ષની બાળકીને પોતાની કસ્ટડીમાં પરત લેવા માટે રજૂઆત કરવામાં આવી છે.

આ મુદ્દે ભારતીય વિદેશમંત્રી જયશંકરે યુક્ત પ્રેસમાં જણાવ્યું હતું કે, "અમારી ચિંતા છે કે બાળકી તેની ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક માહોલમાં હોવી જોઈએ. જે તેનો અધિકાર છે. અને અમારી એમ્બેસી જર્મન સરકાર સાથે આ વિષય પર કામ કરી રહી છે પરંતુ આ એક એવો વિષય છે કે જેની રજૂઆત મે મંત્રી સમક્ષ કરી છે."

આ વિષયમાં બેયરબોકે કહ્યું કે, અરિહાનું કલ્યાણ અમારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું જર્મન સરકારના માનસમાં એ મુદ્દો પણ છે કે દરેક બાળકની સાંસ્કૃતિક ઓળખની જર્મનીમાં 'યુવા કાર્યાલય' દ્વારા સંભાળ કરવામાં આવે. તેમણે આ મામલો કોર્ટમાં હોવાનું પણ જણાવ્યું છે.

શું છે આખો મામલો?મળતી વિગતો પ્રમાણે બર્લિનમાં ભાવેશ શાહ અને ધારા 2018થી સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. 2021 અરિહા શાહનો જન્મ થયો હતો. તેઓ એક દિવસ અરિહાને પ્રાઈવેટ પાર્ટીમાં ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું, જે પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે હોસ્પિટલ દ્વારા ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમને જાણ કરવામાં આવતા તેઓએ પ્રાથમિક રીતે બાળકી પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું ટાંક્યું હતું, જે બાદ બાળકીને જર્મ પ્રોટેક્શન ઓથોરિટીને સોંપવામાં આવી હતી. જોકે, આ પછી ત્રાસ ગુજારવાવાળો મુદ્દો સાબિત નહોતો થયો, આમ છતાં માતા-પિતાને અરિહા સોંપવામાં આવી નથી. હવે જ્યારે જર્મનીના મંત્રી ભારતમાં આવ્યા છે ત્યારે તેમની સમક્ષ ભારત તરફથી બાળકી અરિહાને તેના માતા-પિતાને સોંપવામાં આવે તે અંગેનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે.

Read Next Story