એપશહેર

સરલ વાસ્તુવાળા ચંદ્રશેખર ગુરુજીની ધોળા દિવસે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા

કર્ણાટકના હુબલી-ધારવાડ હાઈવે પર આવેલી એક ખાનગી હોટેલમાં ચંદ્રશેખર પર 'અનુયાયી' બનીને આવેલા બે શખસોએ કર્યો ચાકૂથી હુમલો, પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. થોડા સમય પહેલા જ તેમના કર્મચારીઓએ મહિનાઓનો પગાર ના મળ્યો હોવાનો આક્ષેપ કરીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ચંદ્રશેખરે દેશભરમાં વાસ્તુ પર હજારો વર્કશોપ્સનું આયોજન કર્યું હતું.

Authored byનવરંગ સેન | I am Gujarat 5 Jul 2022, 2:58 pm

હાઈલાઈટ્સ:

  • મંગળવારે બપોરે 12 વાગ્યે હોટેલના રિસેપ્શન પાસે મોતને ઘાટ ઉતારાયા
  • અનુયાયીના સ્વાંગમાં આવેલા બે લોકો ચંદ્રશેખરની હત્યા કરીને ભાગી ગયા
  • સીસીટીવી ફુટેજને આધારે પોલીસે હત્યારાનો પત્તો લગાવવા ચક્રો ગતિમાન કર્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat chandrashekhar guruji saral vastu
ખાનગી હોટેલમાં રોકાયેલા ચંદ્રશેખર પર અનુયાયી બનીને આવેલા બે વ્યક્તિએ કર્યો હુમલો
હુબલી: સરલ વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજી ઉર્ફે ચંદ્રશેખર અંગદીનું ધોળા દિવસે ચાકૂના ઘા ઝીંકીને મર્ડર કરી દેવાયું છે. કર્ણાટકના હુબલી-ધારવાડ રોડ પર એક પ્રાઈવેટ હોટેલમાં તેમની હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે બનેલી આ ઘટનામાં બે વ્યક્તિની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારા મૃતકના અનુયાયી હોવાનું કહીને હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર આવ્યા હતા અને ચંદ્રશેખરની હત્યા કરીને ભાગી ગયા હતા. ચંદ્રશેખરની હોટેલના રિસેપ્શન પાસે જ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. હત્યાને અંજામ આપીને ભાગી રહેલા હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે.
આ ઘટનાની જાણ થતાં જ કર્ણાટક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ચંદ્રશેખરના મૃત શરીરને પીએમ માટે KIMS હોસ્પિટલ લઈ જવાયું છે. પોલીસે તેમના પરિવારજનોને પણ આ ઘટનાની માહિતી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ચંદ્રશેખરને ત્યાં કામ કરતાં કર્મચારીઓએ મહિનાઓથી પોતાને પગાર ના મળ્યો હોવાના આક્ષેપ કરીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. હાલ પોલીસ તેમની હત્યાની તપાસ તમામ પાસાને ધ્યાનમાં રાખીને કરી રહી છે. હત્યારાની ઓળખ કરવા માટે સીસીટીવી ફુટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

ચંદ્રશેખરની હત્યા કરી ભાગી રહેલા બે શખસો


મૂળ કર્ણાટકના ચંદ્રશેખર ગુરુજીએ દેશભરમાં સરલ વાસ્તુના નામે અનેક કાર્યક્રમ કર્યા હતા. તેમણે વાસ્તુ પર કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે બે હજારથી વધુ સેમિનાર કર્યા હતા તેમજ તેમને 16 જેટલા નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તેમજ આર્કિટેક્ચરમાં તેઓ ડોક્ટરેટ થયા હતા.

જે હોટેલમાં તેમનું મર્ડર થયું ત્યાં તેમાં તેઓ 02 જૂલાઈના રોજ આવ્યા હતા, અને 06 જૂલાઈએ તેઓ ચેકઆઉટ કરવાના હતા. તેઓ રિસેપ્શન પાસે મૂકાયેલા સોફા પર બેઠા હતા ત્યારે જ બે લોકો તેમની પાસે આવ્યા હતા. હોટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર, હત્યારા નીચે નમીને જાણે ચંદ્રશેખરના ચરણ સ્પર્શ કરતા હોય તેવો ડોળ કરી રહ્યા હતા અને ત્યારબાત તેમના પર ચાકૂ સાથે તૂટી પડ્યા હતા. ચંદ્રશેખર ગ્લોબલ વિઝનના ચેરમેન હતા તેમજ તેમણે સરળ જીવનના નામે 2016માં એક ટીવી ચેનલ પણ શરુ કરી હતી. તેમણે સીજી પરિવારના નામે 2002માં પ્રાઈવેટ લિમિટેડ કંપની પણ શરુ કરી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો